Gujarat: રાત્રિના સમયે સિંહના આંટાફેરા અને ગર્જનાઓને કારણે ખેડૂતોમાં ભયનું લખલખું
- Gujarat: રાતે ખેતરમાં સાવજની ડણક સંભળાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ
- ધોરાજીના કૈલાશનગર પાછળના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહના આંટાફેરા
- ઘટનાની જાણ થતા વન વિભાગે પણ મોડી રાત્રે જંગલ ખૂંદી વળ્યું હતું
Gujarat: સૌરાષ્ટ્રમાં હવે જંગલના રાજા સિંહે (lion) રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા ધરતીપુત્રોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવા માહોલ વચ્ચે હવે સાવજની ડણક સંભળાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ધોરાજીના કૈલાશનગર પાછળના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહના આંટાફેરા અને ગર્જનાઓને કારણે ખેડૂતોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. સ્થિતિ એવી છે કે ખેડૂતોએ હવે સ્વબચાવ માટે ફટાકડા ફોડીને જાગતા રહેવું પડે છે. ઘટનાની જાણ થતા વન વિભાગે પણ મોડી રાત્રે જંગલ ખૂંદી વળ્યું હતું.
રાજકોટ જિલ્લાના ધોરાજી અને બોર્ડર પરના ગામોમાં હવે સિંહો (lion) એ દસ્તક દીધી
રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી અને બોર્ડર પરના ગામોમાં હવે સિંહોએ દસ્તક દીધી છે. ધોરાજીના કૈલાશનગર અને આસપાસના વાડી વિસ્તારોમાં રાત્રિના સમયે સિંહોની ડણક સંભળાતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. આ કોઈ એક ખેડૂતની વાત નથી, પરંતુ અહીં રાતવાસો કરતા અને પિયત કરતા અનેક ખેડૂતો હવે સાવજના ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં હવે શિકારની શોધમાં જંગલી જાનવરો આવ્યા છે. ગત રાત્રે સીમમાં સિંહના અવાજો સંભળાતા ખેડૂતે એકઠા થઈ સ્વબચાવ માટે સુતડી બોમ્બ ફોડવા પડ્યા હતા. થોડા દિવસો પહેલા રેલવે ટ્રેક નજીક પશુનું મારણ પણ થયું હોવાની વિગતો સામે આવી છે, જે સાબિત કરે છે કે આ વિસ્તારમાં હવે હિંસક પ્રાણીઓની અવરજવર વધી ગઈ છે.
અચાનક સિંહની ડણક સંભળાતા દોડધામ મચી ગઈ હતી
ગત મોડી રાત્રે શાંત વાતાવરણમાં અચાનક સિંહની ડણક સંભળાતા દોડધામ મચી ગઈ હતી. આ વિસ્તારના ખેડૂતો અત્યારે રવિ પાકને બચાવવા રાત-દિવસ ઉજાગરા કરી રહ્યા છે, ત્યાં જ હવે જંગલી જાનવરોનો ત્રાસ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત રાત્રે જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં રખેવાળી કરી રહ્યા હતા, ત્યારે અચાનક એરંડાના ખેતરોમાંથી શિકારની શોધમાં નીકળેલા સિંહે (lion) ગર્જનાઓ શરૂ કરી હતી. એકાદ બે વાર નહીં પણ સતત 4 થી 5 વખત સિંહની ત્રાડ સંભળાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. ખેડૂતોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સુતડી બોમ્બ ફોડ્યા હતા, જેથી મોટા અવાજથી પ્રાણી દૂર ભાગી જાય.
મારા માટે ભાગવું પણ મુશ્કેલ પડી ગયું હતું
સ્થાનિક ખેડૂત જીતેશભાઈ વઘાસિયાએ જણાવ્યું છે કે હું રાતના સાડા નવથી પોણા દસના ગાળામાં આવ્યો હતો. ભૂંડ અને રેઢિયા ઢોરના રખોપા માટે હું આવ્યો હતો. ત્યાં અચાનક મને 4 થી 5 અવાજ સિંહના આવ્યા. એરંડાના ખેતરમાંથી અવાજ આવ્યા એટલે હું સીધો નીકળી ગયો. અગાઉ પણ ઢોરનું મારણ કરેલું છે રેલવેના પાટા નજીક. અને પાછું આ સીમમાં જ, જ્યાં મેં સુતડી બોમ્બ ફોડ્યા... એટલે મારા માટે ભાગવું પણ મુશ્કેલ પડી ગયું હતું. ખેડૂતો દ્વારા સિંહ હોવાની જાણ કરવામાં આવતા ધોરાજી વન વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. RFO નિહારિકા પંડ્યા અને તેમની ટીમે મધરાત્રે જ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વન વિભાગને કેટલાક પશુના ફૂટમાર્ક એટલે કે સગડ મળી આવ્યા છે. જોકે, આ પગલાં સિંહના છે કે દીપડાના તે અંગે વન વિભાગ હજુ ચોક્કસ નિષ્કર્ષ પર નથી આવ્યું. પરંતુ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ધોરાજી અને જેતપુરનો વિસ્તાર લાયન ટેરીટરી કોરિડોરનો ભાગ છે અને જૂનાગઢ અભયારણ્ય નજીક હોવાથી સિંહો ખોરાકની શોધમાં અહીં ચડી આવે તે પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat Weather: રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડી ઓછી થઇ, જાણો શું છે કારણ


