Girnar Wildlife Census: જૂનાગઢ સ્થિત ગિરનાર અભ્યારણ્યમાં રહેતા તૃણાહારી (શાકાહારી) વન્યજીવોની સંખ્યા અને તેમના વસવાટની સ્થિતિ જાણવા માટે વન વિભાગ દ્વારા બે દિવસીય વિશેષ ગણતરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 9 અને 10 જૂન એમ બે દિવસ સુધી ચાલનારી આ કામગીરી દ્વારા જંગલમાં રહેતા પ્રાણીઓના વિતરણ અને તેમના રહેઠાણ અંગેનો મહત્વનો ડેટા એકત્રિત કરવામાં આવશે.
ગિરનાર અભ્યારણ્યમાં બે દિવસીય મેગા સર્વે
આ ગણતરી દરમિયાન મુખ્યત્વે તૃણાહારી પ્રાણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં ચીતલ, હરણ, સાબર, નીલગાય, ચિંકારા, ચોશીંગા અને જંગલી સુવર જેવા વિવિધ વન્યજીવોના સંખ્યાબંધ અવલોકન અને તેમના કુદરતી રહેઠાણની તપાસ કરવામાં આવશે. વન વિભાગના અધિકારીઓ, અનુભવી કર્મચારીઓ અને ખાસ પ્રશિક્ષિત ગણતરીકારોની ટીમો દ્વારા ગિરનાર અભ્યારણ્યના નિર્ધારિત માર્ગો અને જળાશયો નજીકથી પ્રાણીઓની ગતિવિધિઓનું અવલોકન કરવામાં આવી રહ્યું છે.
ગણતરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય
આ ગણતરી માત્ર પ્રાણીઓની સંખ્યા જાણવા માટે જ નથી, પરંતુ તેનાથી આગળ વધીને સંરક્ષણ અને રહેઠાણના વિકાસ માટેની ભાવી યોજનાઓ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. પ્રાણીઓનો વસવાટ, તેમનો વિસ્તાર અને પ્રાદેશિક વિતરણ જાણીને વન વિભાગ તેમના રક્ષણ માટે વધુ અસરકારક આયોજન કરી શકશે. જંગલના અન્નદાતા ગણાતા આ તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી ભવિષ્યમાં તેમના સંરક્ષણ માટેના પાયાના નિર્ણયો લેવામાં અત્યંત મહત્વની સાબિત થશે.
આ પણ વાંચો: Gujarat Latest News: CM ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, આ તારીખથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે મળશે પાણી