ગિરનાર પર્વતની જમીન વેચાઈ રહી છે? Maheshgiri Bapu નો ગંભીર આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ
- મહંત Maheshgiri Bapu નો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- જૂનાગઢના ગિરનાર પર્વત પરની જગ્યાઓ વહેંચવાનો કર્યો આક્ષેપ
- ગિરનાર પર ગુપ્ત અતિક્રમણનો લગાવ્યો ગંભીર આરોપ
- પ્રાચીન જગ્યાઓના નામ બદલવાની પેરવી ચાલી રહી હોવાનો આક્ષેપ
- કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે
Maheshgiri Bapu Controversy: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને ગિરનાર (Girnar) પર્વત પર આવેલી ધાર્મિક જગ્યાઓને લઈને ફરી એકવાર વિવાદના મધપૂડા છંછેડાયા છે. ગિરનાર પર્વત પર આવેલ ગુરૂ દત્તાત્રેય શિખર (Guru Dattatreya Shikhar) ના મહંત મહેશગિરી બાપુએ (Maheshgiri Bapu) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Video Viral) કરીને સનાતન ધર્મ ખતરામાં હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ગિરનાર ક્ષેત્રમાં વધી રહેલા અતિક્રમણ અને પવિત્ર સ્થળોના બદલાઈ રહેલા નામોને લઈને જૂનાગઢના ભુતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરી બાપુએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો સંદેશમાં તેમણે જૂનાગઢવાસીઓ અને સનાતનીઓને ગિરનાર બચાવવા માટે એકજૂથ થવા હાકલ કરી છે.
સીતાવન પાસેની જમીનનો વિવાદ
મહેશગિરી બાપુએ વીડિયોમાં તીખા પ્રહારો કરતા જણાવ્યું છે કે, સીતાવન (Sitavan) ની જગ્યા પાસે અંદાજે બે હજાર વાર જેટલી જમીન અન્ય સંપ્રદાયોને વેંચી દેવામાં આવી છે. જોકે, તેમણે સ્પષ્ટપણે કોઈ સંપ્રદાય કે વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ આક્ષેપ કર્યો છે કે આ વ્યવહારો પડદા પાછળ ચાલી રહ્યા છે. તેમણે જૂનાગઢવાસીઓને પણ જાગૃત થવા હાકલ કરી છે અને સનાતન ધર્મની રક્ષા માટે આગળ આવવા વિનંતી કરી છે.
ગિરનાર પર ગુપ્ત અતિક્રમણનો ગંભીર આરોપ
મહેશગિરી બાપુએ એક ખેડૂત દ્વારા ધીમે-ધીમે પાડોશીનું ખેતર પચાવી પાડવાના ઉદાહરણ સાથે સમજાવ્યું કે ગિરનાર તળેટી અને પહાડો પર પણ અત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ગિરનારના પૌરાણિક સ્થળો અને મંદિરોના નામ બદલવાના ષડયંત્રો થઈ રહ્યા છે. દત્તાત્રેય, ગોરખનાથ અને અંબાજી જેવા શક્તિપીઠોના સ્થાને અન્ય નામો જોડવામાં આવી રહ્યા છે. તળેટીની જમીનો અન્ય સંપ્રદાયોને ગેરકાયદેસર રીતે અપાઈ રહી હોવાનો તેમણે ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કર્યો છે.
જૂનાગઢની નિષ્ક્રિયતા સામે સવાલ
બાપુએ વિડિયોમાં વ્યથા ઠાલવતા કહ્યું કે, જ્યારે અંબાજીમાં માંસ-મદિરા પિરસવાની ઘટના બની ત્યારે અન્ય શહેરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ જૂનાગઢ કેમ શાંત રહ્યું? તેમણે ચેતવણી આપી કે જો અત્યારે નહીં જાગો, તો આવતી પેઢી ગિરનાર તળેટીમાં પગ પણ નહીં મૂકી શકે. 'જો આપણે આજે ગિરનાર બચાવવા ઊભા નહીં રહીએ, તો આવતી પેઢીને તમારે કહેવું પડશે કે તમારા પૂર્વજો દોષી હતા કે જેઓ ગિરનારને બચાવી ન શક્યા.'
જગ્યાઓના નામ બદલવાની પેરવી?
મહેશગિરી બાપુએ વધુમાં સનસનીખેજ દાવો કર્યો છે કે, ગિરનાર પર્વત પર આવેલી સનાતનની તમામ પ્રાચીન જગ્યાઓના નામ બદલવાની પેરવી ચાલી રહી છે. તેમણે ભવનાથ તળેટી (Bhavnath Taleti) માં ચાલતા અન્નક્ષેત્રો પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ અન્નક્ષેત્રો જાણે અન્ય સંપ્રદાયોની દયાથી ચાલતા હોય તેવું લાગી રહ્યું છે.
કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે
આ સમગ્ર મામલે આગામી 23 એપ્રિલ 2026 ના રોજ જૂનાગઢ કલેકટર (Collector) ને એક વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવશે. મહંતે આહવાન કર્યું છે કે આ દિવસે મોટી સંખ્યામાં સનાતનીઓ જોડાય અને પોતાની આસ્થાની રક્ષા કરે. હાલમાં આ વીડિયોને લઈને જૂનાગઢમાં ભારે ચર્ચાઓ જાગી છે, જોકે અન્ય કોઈ મોટા મહંત કે વહીવટી તંત્ર તરફથી આ અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
આ પણ વાંચો: ગિરનાર વિવાદમાં નવો વળાંક! પૂજારીઓના સમર્થનમાં VHP અને બજરંગ દળ મેદાનમાં, કલેક્ટરને અપાયું આવેદન


