Junagadh: ગિરનારના શિખરે મા અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો, ભક્તોએ માના દર્શન કર્યા
- Junagadh: ગિરનારના શિખરે મા અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાયો
- કડકડતી ઠંડીમાં હજારો ભક્તો 5500 પગથિયાં ચડી માના દર્શને પહોંચ્યા
- ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ ગિરનાર ચડીને માતાજીના આશીર્વાદ લીધા
Junagadh: સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ અને સાધુ-સંતોના પિયર ગણાતા ગિરનાર પર્વત (Girnar Mountain) પર આજે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. 51 શક્તિપીઠોમાંની એક અને 'ઉદયન પીઠ' તરીકે પૂજાતા જગતજનની મા અંબાના મંદિરમાં પોષ સુદ પૂનમ નિમિત્તે પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગિરનારના ગગનચુંબી શિખરો "જય અંબે" ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
ધાર્મિક વિધિઓ અને મહાઆરતી
પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. આ પવિત્ર અવસરે મા અંબાના નીજ મંદિરમાં વહેલી સવારે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના વિગ્રહને પંચામૃત અભિષેક અને શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બપોરના સમયે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કડકડતી ઠંડીમાં ભક્તોનો ઉત્સાહ
હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ છે, ત્યારે ગિરનાર પર તાપમાનનો પારો એકાએક નીચો ગયો હતો. આમ છતાં, માઈભક્તોની આસ્થા ઠંડી પર ભારે પડી હતી. વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ 5500 પગથિયાં ચડીને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. ભક્તોના અવિરત પ્રવાહને કારણે ગિરનારના પગથિયાં પર માનવ મહેરામણ ઊમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભક્તોના મુખે "જય માતાજી" ના જયઘોષથી સમગ્ર પર્વતમાળામાં મંગલમય વાતાવરણ પ્રસરી ગયું હતું.
Junagadh: ધારાસભ્યએ દર્શન કરી સુખાકારી માટે પ્રાર્થના કરી
ગિરનારી ગુફાઓ અને શિખરો જ્યાં આદિકાળથી ભક્તિ અને શક્તિના સાક્ષી રહ્યા છે, તેવા ગરવા ગિરનારની ગોદમાં બિરાજતા મા અંબાના સાનિધ્યમાં આજે પૂજા-અર્ચના કરી. સમગ્ર ગુજરાતની સુખાકારી અને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરી. pic.twitter.com/fZbiblXf1q
— Sanjay Koradia (@Sanjay_Koradia) January 3, 2026
આ પવિત્ર અવસરે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા (MLA Sanjay Kordia) એ પણ વહેલી સવારે 5500 પગથિયાં ચડી મા અંબાના દર્શન કર્યા હતા અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરનો વહીવટ હાલ સરકાર હસ્તક હોવાથી વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. યાત્રિકોને પીવાના પાણીની સુવિધા, લાઈટિંગ અને સુરક્ષા વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવી હતી, જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.
આ પણ વાંચોઃ Kheda: "અમે અઠવાડિયાથી ઊંઘતા નથી!", નડિયાદ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ કેમ ભયભીત?


