Junagadh માં રોડની રામાયણમાં લોકો રસ્તા પર ઉતર્યા, 15 દિવસમાં રસ્તો નહીં બને તો...
- Junagadh માં રોડ રસ્તા મુદ્દે આંદોલનનો સિલસિલો રહ્યો યથાવત
- શહેરના મોટાભાગના વોર્ડમાં સ્થાનિકોએ નોંધાવ્યો ભારે વિરોધ
- વોર્ડ નંબર 6 માં ભાજપના શાસનમાં જનતાનો રોષ ભભૂક્યો
Junagadh: ઐતિહાસિક નગરી જૂનાગઢ (Junagadh) માં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો છે. ખાસ કરીને શહેરના મોટાભાગના વોર્ડમાં રોડ-રસ્તાની બિસ્માર હાલતને કારણે આંદોલનનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા જવાહર રોડ પર સ્થાનિકોએ એકઠા થઈને ચક્કાજામ કર્યો હતો. જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વોર્ડ નંબર 6 માં લોકોએ રસ્તો બ્લોક કરી દેતાં ભાજપના નગર સેવક દોડી આવ્યા હતા અને બ્લોક કરેલો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. સાથે જ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવા આશ્વાસન આપ્યું હતુ.
Junagadh: નગરસેવકને દોડવું પડ્યું!
જૂનાગઢના વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ જવાહર રોડ વિસ્તારના લોકો ઘણા સમયથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. જેથી તેમણે આ સમસ્યાને લઈ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતુ.ઉગ્ર બનેલા આંદોલન છેડ્યું હતુ અને ગઈકાલે પથ્થરોથી રસ્તો બંધ કરી દીધો હતો. જેથી અન્ય લોકોની ભારે હાલાકી પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ ભાજપના નગર સેવક દોડી આવ્યા હતા. લોકોને સમજાવવા છતાં નગરસેવકની વાત માનવા તૈયાર નહોતા. જો કે સ્થાનિકોને તાત્કાલિક કામ શરુ કરવાની બાંહેધરી હતી. જે બાદ મામલો થાળે પડ્યો હતો.
આ કારણે રસ્તાનું કામ અટકેલું
નગરસેવકે વિરોધ કરી રહેલા લોકોને સમજાવતા જણાવ્યું હતું કે, વિસ્તારમાં નવી પાઈપલાઈન નાખવાનું કામ ચાલુ હોવાથી રસ્તાનું કામ અટકેલું છે. ખોદકામને કારણે હાલ ચોમાસા કે અન્ય સીઝનમાં હાલાકી પડી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે આજથી જ રસ્તાનું સમારકામ અને સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.
રહિશોએ શું આક્ષેપ કર્યા?
વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ જવાહર રોડ વિસ્તારના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ નિયમિતપણે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેક્સ ભરે છે, છતાં તેમને પાયાની સુવિધાઓ મળતી નથી. સ્થાનિકોની મુખ્ય ફરિયાદ રસ્તા પર ફરી વળતા ગટરના ગંદા પાણીની છે. ગટર લાઈનો ઉભરાવાને કારણે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંદકી અને ધૂળના ડમરીઓ વચ્ચે રહેવું અશક્ય બનતા અંતે લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
15 દિવસનું અલ્ટીમેટમ
નગરસેવકની ખાતરી અને કામ શરૂ કરવાના આશ્વાસન બાદ સ્થાનિકોએ હાલ પૂરતું આંદોલન સમેટ્યું છે. પરંતુ, લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 15 દિવસમાં રસ્તો વ્યવસ્થિત બનાવવામાં નહીં આવે અને ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઉઠેલા આ સવાલો હવે વહીવટી તંત્ર માટે કસોટી સમાન છે.
આ પણ વાંચોઃ Junagadh માં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ Shyam Solanki પકડાયો


