સોમનાથથી PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: કહ્યું- 'નેહરુએ રાજેન્દ્ર પ્રસાદને રોક્યા હતા, પણ...’
- સોમનાથથી PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર (PM Modi Somnath Speech)
- તુષ્ટીકરણ કરનારાઓએ કટ્ટરપંથીઓ સામે ઘૂંટણ ટેકવ્યા હતા
- નેહરુએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ આવતા રોક્યા હતા
- સરદાર પટેલના સોમનાથ નિર્માણના સંકલ્પનો પણ થયો હતો વિરોધ
- જામનગરના મહારાજા દિગ્વિજય સિંહે મંદિર નિર્માણમાં આપ્યો હતો સાથ
PM Modi Somnath Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરતી પરથી સોમનાથ મંદિરના સાનિધ્યમાં નામ લીધા વિના કોંગ્રેસ અને વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સંબોધન કરતા પીએમ મોદીએ ઐતિહાસિક ઉલ્લેખો સાથે જણાવ્યું હતું કે, તુષ્ટીકરણની રાજનીતિ કરનારાઓએ કટ્ટરપંથી તાકાતો સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. તેમણે સરદાર પટેલ અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સાથે જોડાયેલા ઐતિહાસિક કિસ્સાઓ યાદ કરીને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર નિશાન સાધ્યું હતું.
PM Modi Somnath Speech : તુષ્ટીકરણ સામે મોદીનો હુંકાર
પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે, જ્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી, ત્યારે પણ તેમને રોકવાના ભરપૂર પ્રયાસો થયા હતા. દુર્ભાગ્યવશ, જે વિચારધારાએ તે સમયે સોમનાથના નિર્માણનો વિરોધ કર્યો હતો, તે તાકાતો આજે પણ દેશમાં સક્રિય છે. મોદીએ ચેતવણી આપતા કહ્યું કે, આજે ભલે તલવારોથી હુમલા નથી થતા, પરંતુ ભારત વિરોધી ષડયંત્રો માટે અન્ય કુત્સિત માર્ગો અપનાવવામાં આવી રહ્યા છે. આ માટે આપણે વધુ સાવધાન અને એકજૂથ રહેવાની જરૂર છે.
#WATCH | Somnath, Gujarat | PM Narendra Modi says, "... Unfortunately, after independence, people with a colonial mindset tried to get rid of our glorious past. They tried all they could to erase history... Those who fought for the Somnath Temple were not given their due… pic.twitter.com/xNrJFCnRQ6
— ANI (@ANI) January 11, 2026
PM Modi Somnath Speech : નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ વચ્ચેનો વિવાદ શું હતો?
ઈતિહાસના પાના ઉખેળતા વડાપ્રધાને 1951ની એક મહત્વપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. 11 મે, 1951ના રોજ જ્યારે સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન થવાનું હતું, ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના હતા. પીએમ મોદીએ કહ્યું કે, તે સમયે પણ રાષ્ટ્રપતિની મુલાકાત સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તે સમયે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ આ સમારોહથી અંતર જાળવ્યું હતું અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પણ ત્યાં ન જવા માટે પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો. નેહરુ માનતા હતા કે સરકારી હોદ્દા પર બેઠેલી વ્યક્તિએ ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવું જોઈએ.
જામનગરના મહારાજા દિગ્વિજય સિંહનું યોગદાન
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજીને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે સોમનાથના કાર્યમાં વિઘ્નો નાખવામાં આવ્યા, ત્યારે સૌરાષ્ટ્રના સપૂત અને જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજી આગળ આવ્યા હતા અને તેમણે સોમનાથના પુનર્નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મોદીએ ભારપૂર્વક કહ્યું કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિ અને વારસાનું જતન કરીએ છીએ, ત્યારે આપણી સભ્યતાના મૂળ વધુ મજબૂત બને છે.
ભારત વિરોધી ષડયંત્રો સામે ચેતવણી
અંતમાં વડાપ્રધાને લોકોને એકજૂથ થવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે આજે દેશને તોડવા અને વહેંચવા માટે અનેક સાજિશો રચાઈ રહી છે. આપણે આપણી શક્તિ ઓળખવી પડશે અને આવી દરેક તાકાતને હરાવવી પડશે. સોમનાથ મહાદેવના સાક્ષીએ પીએમ મોદીએ રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : PM Modi Somnath Speech : સોમનાથથી PM મોદીની દહાડ, યુનસ અને બાંગ્લાદેશી કટ્ટરપંથીઓને ખુલ્લી ચેતવણી


