Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat : PM Modi વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ગીર-સોમનાથની મુલાકાત લેશે

2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’
gujarat   pm modi વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ગીર સોમનાથની મુલાકાત લેશે
Advertisement
  • ગીર ખાતે પ્રથમ વખત મહિલા બીટ ગાર્ડ્સ અને ફોરેસ્ટર્સની નિમણૂંક કરવામાં આવી
  • ગુજરાતમાં એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા
  • ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી

PM Modi to visit Gir-Somnath : 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે, જેની 2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’. જેમાં આ દિવસની ઉજવણી નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં ગીર-સોમનાથની મુલાકાત લેશે. હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી છે. ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે. વધુમાં, સાસણમાં વન્યજીવન ટ્રેકિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

Advertisement

ગુજરાતમાં એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2024માં ગીર ખાતે 237 બીટ ગાર્ડ્સ (162 પુરુષો, 75 મહિલાઓ) ની ભરતી કરવામાં આવી હતી, જેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં, ગીરના સ્થાનિક લોકોના નાના-નાના પ્રશ્નોના નિરાકરણ માટે ‘ગીર સંવાદ સેતુ’ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, અને અત્યારસુધીમાં આવા 300 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, શાકાહારી પશુઓના સંવર્ધન માટે 9 બ્રીડીંગ સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ્ ગીર વિસ્તારમાં આવેલી રેલવે લાઇનો પર સિંહની અવર-જવરના કારણે સંભવિત અકસ્માત નિવારવા માટે રેલવે સાથે એસ.ઓ.પી. (SOP)ની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

Advertisement

‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણીમાં લગભગ 13.53 લાખ લોકોએ ભાગ લીધો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ 2022માં આયોજિત ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણીમાં લગભગ 13.53 લાખ લોકોએ ભાગ લીધો હતો અને તેના થકી એક વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યો હતો. માનવ-વન્યજીવન સંઘર્ષના મુદ્દા પર ફોકસ કરવા માટે આ પહેલ ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સાસણગીરમાં વસતા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી, અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, તેમણે ગિર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા હતા.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2007માં લેવામાં આવેલા મુખ્ય પગલાંઓ

• 2007માં થયેલા સિંહોના શિકારની ઘટના પછી, ગુજરાત સરકારે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરી, જેનો હેતુ વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવાનો, ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને એશિયાઇ સિંહો તેમજ એશિયાઇ સિંહોના ક્ષેત્રમાં વસતા અન્ય વન્યજીવોના સંરક્ષણને મજબૂત બનાવવાનો હતો.

• નરેન્દ્ર મોદીએ બૃહદ્ ગીરની સંકલ્પના આપી, જેમાં ગીર એટલે ફક્ત ગીર નેશનલ પાર્ક અને સેન્ચુરી જ નહીં, પરંતુ બરડાથી લઇને બોટાદ સુધીનો 30 હજાર ચોરસ કિમીમાં ફેલાયેલો વિસ્તાર, જ્યાં એશિયાઇ સિંહોની વસ્તી જોવા મળે છે. બૃહદ્ ગીરના વિકાસની સાથે ત્યાંના સ્થાનિક લોકોનો વિકાસ પણ સુનિશ્ચિત કર્યો છે.

• તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગીર વિસ્તાર માટે સૌપ્રથમ વખત વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી કરવામાં આવી. આજે, ગીરમાં લગભગ 111 મહિલાકર્મીઓ સક્રિય રીતે કાર્યરત છે.

• ગીર વિસ્તાર અને ગીરના સિંહોની સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે ઇન્સ્પેક્ટર જનરલ (IG), જૂનાગઢ રેન્જની અધ્યક્ષતામાં માસિક સમીક્ષા બેઠક આયોજિત કરવાની શરૂઆત કરવામાં આવી.

• વર્ષ 2007માં, ગુજરાત રાજ્ય સિંહ સંરક્ષણ સોસાયટી (GSLCS) ની સ્થાપના કરવામાં આવી હતી, જે જાહેર ભાગીદારી દ્વારા એશિયાઇ સિંહોના સંરક્ષણને ટેકો આપે છે. તે પશુચિકિત્સા અધિકારીઓ, પશુપાલકો, ટ્રેકર્સ અને સિંહ સંરક્ષણ માટે જરૂરી અન્ય લોકોને ભંડોળ પૂરું પાડે છે. ગીર ઇકો-ટુરિઝમમાંથી થતી આવક GSLCS ને આપવામાં આવે છે, જે વન્યજીવન સંરક્ષણ અને વન વિભાગની માળખાગત સુવિધાઓ માટે ભંડોળનો ઉપયોગ કરે છે.

• ગુજરાત સરકારે સિંહ સંરક્ષણ પ્રયાસોને વધારવા માટે વન્ય પ્રાણી મિત્ર યોજના શરૂ કરી હતી. આ પહેલ જાગરૂકતા વધારવા, સિંહો અને અન્ય વન્યજીવોની હિલચાલ પર દેખરેખ રાખવા તેમજ બચાવ કામગીરી અને સંરક્ષણ પ્રયાસોમાં વન વિભાગને મદદરૂપ થવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ગીરમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ‘ખૂશ્બૂ ગુજરાત કી’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કર્યા. ભારતભરના પ્રવાસીઓની સાથે અન્ય દેશોના પ્રવાસીઓને પણ આમંત્રિત કરીને ગીરના સંરક્ષિત ક્ષેત્રની વિઝિબિલિટીમાં વધારો કરવામાં આવ્યો, જેનાથી ગીર વૈશ્વિક પ્રવાસન નકશા પર આવી ગયું. ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસે વન્યજીવ સંરક્ષણમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ હકારાત્મક પરિવર્તન આણ્યું છે, જેનાથી આ વિસ્તારનો ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 33,15,637 પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે.

ઇકો-ટુરિઝમથી સ્થાનિકોને મળે છે રોજગારીની ભરપૂર તકો

ગીરમાં સંરક્ષણ પ્રયાસો અને પ્રવાસનને સંતુલિત કરવા માટે 2017માં આંબરડી સફારી પાર્કની રચના કરવામાં આવી હતી. ગીર ઓનલાઈન પરમિટ બુકિંગ સિસ્ટમની શરૂઆત થયા બાદ સફારીનો અનુભવ વધુ સુવ્યવસ્થિત બન્યો છે. ઇકો-ટુરિઝમના કારણે સાસણથી તાલાલા અને જૂનાગઢ સુધીના સ્થાનિક કારીગરો, હસ્તકલા કામદારો અને ખેડૂતોને પણ ફાયદો થયો છે, જેઓ તેમનાં ઉત્પાદનો સીધા મુલાકાતીઓને વેચી શકે છે. ગામના ઘણાં લોકો હવે પોતાની દુકાનોમાં સ્થાનિક માલના વેચાણ અને પરિવહન સેવાઓ દ્વારા કમાણી કરે છે, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે. આ વિસ્તારના કુલ 1000 જેટલા પરિવારો ઇકો-ટુરિઝમ સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા સીધી રોજગારી પ્રાપ્ત કરે છે, જ્યારે ગીરની આસપાસના લગભગ 15,400 પરિવારોને રોજગારીની દ્રષ્ટિએ અપ્રત્યક્ષ રીતે ફાયદો થાય છે. સ્થાનિક શેરડીમાંથી બનાવવામાં આવેલો ગોળ, ગીર પ્રદેશની કેસર કેરી, કેરીનો રસ અને તેના અન્ય ઉત્પાદનો, ગીર ગાયનું ઘી, ફળો, કેસુડાના ફૂલો વગેરે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

આ પણ વાંચો: Dahod જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા, ડ્રોનની મદદથી આરોપીની ધરપકડ

Tags :
Advertisement

.

×