Junagadh મેળાનો બીજો દિવસ,સાધુ-સંતોએ ધૂણી ધખાવી, પારંપરિક પહેરવેશમાં મહિલાઓએ જમાવી ભજનની રમઝટ
- Junagadh: ભવનાથ મહાશિવરાત્રી મેળા (Bhavnath Mela) માં બમ બમ ભોલેનો નાદ ગૂંજ્યો
- મહાશિવરાત્રી મેળા (Mahashivratri Mela) માં આજે બીજા દિવસે ભક્તો ઉમટી પડશે
- ભવનાથ (bhavnath) તળેટીમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
- પાંચ દિવસીય મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી આવશે
- ભક્તો માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ
Junagadh: સાધુ-સંતોની તપોભૂમિ અને ગિરનાર (Girnar) ની ગોદમાં વસેલા ભવનાથ (Bhavnath) ક્ષેત્રમાં મહાશિવરાત્રી (Mahashivratri) ના મિની કુંભ મેળાનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે મેળાના બીજા દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું છે. સમગ્ર તળેટી "હર હર મહાદેવ" અને "બમ બમ ભોલે" ના નાદથી ગુંજી ઉઠી છે. આ પાંચ દિવસીય મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો એવો ત્રિવેણી સંગમ રચાયો છે કે જાણે કૈલાસ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય.
દિગંબર સાધુઓ અને ધૂણીનું આકર્ષણ
મેળાના બીજા દિવસે દેશભરમાંથી આવેલા દિગંબર સાધુ-સંતો અને નાગા સંન્યાસીઓએ પોતાની ધૂણી ધખાવી છે. શંખનાદ અને ડમરુના ગુંજારવ વચ્ચે સાધુઓના દર્શન કરવા માટે ભક્તો લાંબી કતારોમાં ઉભા રહી ધન્યતા અનુભવી રહ્યા છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ ભવનાથ મહાદેવના દર્શન અને મૃગી કુંડની પવિત્રતા છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ શીશ નમાવવા આવી રહ્યા છે.
ભોજન અને સેવાના અન્નક્ષેત્રો
ભક્તો માટે સેવાના દ્વાર પણ ખુલી ગયા છે. દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ અને આશ્રમો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. અહીં શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે; પારંપરિક પહેરવેશમાં સજ્જ થઈને મહિલાઓ ભજન અને આરતીમાં મગ્ન બનીને મેળાનો લ્હાવો લઈ રહી છે.
ચુસ્ત વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્ત
મેળામાં આવતા લાખો ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી, અને આરોગ્યની સેવાઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ પહેરા હેઠળ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે જિલ્લા પ્રશાસન સતત નિગરાની રાખી રહ્યું છે. આગામી દિવસોમાં મેળાની રોનક હજુ વધશે અને મહાશિવરાત્રીના દિવસે શાહી રવારી સાથે આ મેળાની પૂર્ણાહુતિ થશે.


