Art of living : લોકો તમને ચાહે છે—તમે જેવા છો, તેવા જ!
Art of livingArt of living : શું તમે સુખની શોધમાં છો? વાંચો જાણીતા લેખકોના અને શાસ્ત્રોના જીવનલક્ષી વિચારો જે તમને શીખવશે કે કેવી રીતે દુઃખને ખંખેરીને વર્તમાનની સુખદ ક્ષણોને માણી શકાય.
આપણે સૌ જિંદગીભર સુખની શોધમાં મૃગજળ પાછળ દોડતા રહીએ છીએ, પણ ક્યારેય થંભીને એ વિચાર્યું છે કે સુખ એ શોધવાની વસ્તુ છે કે પછી માત્ર અનુભવવાની?
તૈત્તિરીય ઉપનિષદમાં એક અત્યંત સુંદર વાત કહેવાઈ છે:
आनन्दो ब्रह्मेति व्यजानात्
તૈત્તિરીય ઉપનિષદ : "તેણે જાણ્યું કે આનંદ જ બ્રહ્મ છે."
તેમ છતાં, આપણે સુખને કોઈ 'ભવિષ્યના પ્રોજેક્ટ' તરીકે જોઈએ છીએ. જાણીતા લેખકો, ચિંતકો અને આપણા શાસ્ત્રોના મતે સુખ(Happiness) કોઈ મંઝિલ નથી, પણ વર્તમાનની એક સુંદર ભેટ છે.
Art of living : સાચા હોવા કરતાં સુખી હોવું વધુ જરૂરી છે?
આપણને નાનપણથી જ એક પાઠ ભણાવવામાં આવે છે: 'હંમેશા સાચા બનો'. પરંતુ, વ્યવહારુ જગતમાં સાચા હોવું એટલે મોટેભાગે 'બીજાએ નક્કી કરેલી વ્યાખ્યાઓમાં ફિટ થવું'. બ્રિટિશ લેખક ડગ્લસ એડમ્સ આ અંગે એક ક્રાંતિકારી વાત કહે છે: "સાચા હોવા કરતાં હું હેપી થવાનું લાખ દરજ્જે પસંદ કરીશ."
દુનિયા તમને 'સાચા' હોવાનું સર્ટિફિકેટ આપે કે ન આપે, જો તમે અંદરથી આનંદમાં છો અને તમે તમારી જાત સાથે પ્રમાણિક છો, તો તમે ખરા અર્થમાં જીતી ગયા છો.આ જ છે Art of living લોકોની અપેક્ષાઓના ભાર નીચે દબાઈને જીવવા કરતાં, પોતાની મસ્તીમાં જીવવું એ જ સાચું જીવન છે.
સુખ: એક અણધારી ભેટ
વિશ્વપ્રસિદ્ધ લેખક ચાર્લ્સ ડિકન્સ(Charles Dickens) કહે છે કે સુખ (Happiness) એક 'ગિફ્ટ' છે. આપણે અવારનવાર એવું માની લઈએ છીએ કે "જ્યારે આ મુશ્કેલી પતશે, ત્યારે હું શાંતિથી સુખી થઈશ." પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા-Bhagavad Gita માં ભગવાન શ્રીકૃષ્ણઅર્જુનને બહુ સ્પષ્ટ કહે છે:
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥
(આ શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 14મો શ્લોક છે.)
(શિયાળા અને ઉનાળાની ઋતુઓની જેમ સુખ અને દુઃખ આવન-જાવન કરનારા છે, તેને સહન કરતા શીખ.)
સુખની રાહ જોવાની ન હોય
તકલીફો વગરનો સમય ક્યારેય કોઈની જિંદગીમાં કાયમ રહેતો નથી. સુખની રાહ જોવાની ન હોય, એ તો ગમે ત્યારે અણધારી ભેટ બનીને આવે ત્યારે એને વહાલથી માણી લેવાની હોય. કપરી પરિસ્થિતિના અંધકારમાં પણ જ્યારે સુખનું એક નાનકડું કિરણ આવે, ત્યારે એમાંથી એટલી ઊર્જા મેળવી લો કે જે આવનારી મુશ્કેલીઓ સામે લડવાનું બળ પૂરું પાડે.
તમે જેવા છો, તેવા જ વહાલા છો
'લે મિઝરેબલ' જેવી મહાન કૃતિના સર્જક વિક્ટર હ્યુગો જીવનનો એક મોટો સંતોષ સમજાવતા લખે છે: "જિંદગીનો સર્વોચ્ચ આનંદ એ પ્રતીતિમાં છે કે લોકો તમને ચાહે છે—તમે જેવા છો, તેવા જ!"
આપણે સતત આપણા દોષો જોયા કરીએ છીએ અથવા બીજાની આંખમાં સારા દેખાવા માટે મહોરાં પહેરીએ છીએ. પણ જે તમને ખરેખર ચાહે છે, તેમને તમારી ખામીઓ સાથે કોઈ લેવા-દેવા નથી. પોતાની જાતને કોસવાનું બંધ કરો. 'સ્વ-સ્વીકાર' (Self-acceptance) એ જ સુખનો પ્રથમ દરવાજો છે.
સુખનું પોસ્ટમોર્ટમ ન કરો
અમેરિકન લેખક સ્ટીફન કિંગ એક બહુ કીમતી સલાહ આપે છે: "તમારા સુખનું વિશ્લેષણ કરવાનું ટાળો."
જ્યારે તમે બહુ ખુશ હોવ ત્યારે "હું કેમ ખુશ છું? આ સુખ ક્યાંથી આવ્યું? ક્યાંક આ જતું તો નહીં રહે ને?" એવા વિચારોમાં પડશો તો સુખની કુદરતી મજા મરી જશે. ગુજરાતી સાહિત્યના લાડીલા કવિ મકરંદ દવેએ કહ્યું છે તેમ,
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
"સુખને બસ વહી જવા દો. એનું પોસ્ટમોર્ટમ કરશો તો સરખામણીઓ શરૂ થશે અને યાદ રાખો, સરખામણી એ સુખનો સૌથી મોટો દુશ્મન છે.
દુઃખ પર નિયંત્રણ: તમારું બ્રહ્માસ્ત્ર
સુખ કદાચ હંમેશા આપણા હાથમાં ન હોય, પણ 'દુઃખી થવું કે ન થવું' ચોક્કસ આપણા હાથમાં છે. સંસ્કૃત સાહિત્યમાં કહેવાયું છે કે, 'મન એવ મનુષ્યાણાં કારણં બંધમોક્ષયોઃ' (મન જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે).
આપણે હાથે કરીને જૂના પ્રસંગો યાદ કરીને દુઃખી થઈ શકીએ છીએ, અને જો ધારીએ તો એ જ રીતે મક્કમ બનીને દુઃખને કાબૂમાં પણ રાખી શકીએ છીએ. આપણા વિચારો પરનો કાબૂ એ જ આપણું સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે.
જિંદગીમાં સુખના સ્ત્રોત બહાર શોધવા નીકળશો તો ભટકી જશો. એના કરતાં, જે પળ મળે તેને મન ભરીને જીવી લો. દુઃખને ખંખેરી નાખવું અને મળેલા સુખને હૃદયમાં જાળવી લેવું—જો આ કળા આવડી ગઈ, તો તમે દુનિયાના સૌથી અમીર માણસ છો. કારણ કે, દુઃખી થવાનું બંધ કરવું એ જ જીવનની સાચી જડીબુટ્ટી છે!
આ પણ વાંચો : Know thy self : એક ઓળખાણ: પોતાની જાત સાથે

