Importance of Lapsi : "મૂકો લાપસીનાં આંધણ..."
Importance of Lapsi : શુભ પ્રસંગોએ શુકનમાં લાપસી જ શા માટે બનાવવામાં આવે છે? જાણો હિન્દુ સંસ્કૃતિની આ પરંપરા પાછળ છુપાયેલું અદ્ભુત વિજ્ઞાન, આયુર્વેદિક પોષણમૂલ્ય અને ઘઉંના ફાડાના સ્વાસ્થ્ય લાભો.
ગુજરાતી સંસ્કૃતિ (Gujarati culture)માં એક બહુ જાણીતી અને વર્ષો જૂની કહેવત છે: "મૂકો લાપસીનાં આંધણ..." જ્યારે પણ ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય, નવું વાહન કે મકાન ખરીદવાનું હોય, દીકરા-દીકરીના વેવિશાળ કે લગ્ન હોય, ત્યારે શુકન તરીકે લાપસી બનાવવાનો રિવાજ આપણા લોહીમાં વણાયેલો છે. આજની ગ્લોબલાઈઝેશનની દુનિયામાં કાજુકતરી, રસગુલ્લા, આઈસ્ક્રીમ કે માવાની મોંઘીદાટ મીઠાઈઓનું ચલણ વધ્યું છે, પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં જે સ્થાન ઘઉંની લાપસી કે ચૂરમાને આપવામાં આવ્યું છે, તેની પાછળ માત્ર પરંપરા નહીં, પણ એક ગૂઢ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક-Ayurvedic રહસ્ય છુપાયેલું છે. આપણા પૂર્વજો દીર્ધદ્રષ્ટિવાળા અને વિજ્ઞાનના સાચા જ્ઞાતા હતા, જેનો પુરાવો લાપસીની આ પરંપરા છે.
Importance of Lapsi : આયુર્વેદિક દ્રષ્ટિકોણ અને યુક્તાહાર
આપણા વડવાઓ અને ઋષિમુનિઓ શારીરિક તંદુરસ્તી અંગે અત્યંત સજાગ હતા. આયુર્વેદના અષ્ટાંગ હૃદયમ્ અને અથર્વવેદમાં વર્ણવેલા સ્વાસ્થ્યના નિયમોનું પાલન પ્રત્યેક સામાન્ય માણસ સહજતાથી કરી શકે તે માટે તેને તહેવારો અને શુભ પ્રસંગો સાથે જોડી દેવામાં આવ્યા હતા. આયુર્વેદમાં 'યુક્તાહાર' -balanced diet એટલે કે સંતુલિત આહારનો મહિમા છે. લગ્ન કે અન્ય ઉત્સવોમાં જમણવાર ભારે હોય છે. જો તેવા સમયે બાસુંદી, શ્રીખંડ કે ઘેબર જેવી પચવામાં અત્યંત ભારે મીઠાઈઓ ખાવામાં આવે તો પાચનતંત્ર બગડે છે. તેની સામે લાપસી એ એક સલામત, સુપાચ્ય અને અત્યંત પૌષ્ટિક આહાર છે. લાપસીની બનાવટમાં વપરાતા ઘઉંના ફાડા, શુદ્ધ ઘી અને ગોળની પૌષ્ટિકતા સામે દુનિયાની કોઈ માવાની મીઠાઈ ટકી શકે તેમ નથી.
ઘઉંના ફાડાનું વિજ્ઞાન અને પોષણમૂલ્ય
આજનું અર્વાચીન વિજ્ઞાન પણ સ્વીકારે છે કે અનાજને જેમ જેમ વધુ પ્રક્રિયા (Process) કરીને બારીક દળવામાં આવે છે, તેમ તેમ તેના પોષક તત્વોનો નાશ થાય છે. લોટ દળવાની મશીનની ઘંટીમાં જ્યારે ઘઉંને એકદમ બારીક પીસવામાં આવે છે, ત્યારે ઘર્ષણને કારણે એટલી બધી ગરમી પેદા થાય છે કે ઘઉંમાં રહેલું કુદરતી વિટામિન 'બી' અને અન્ય જીવંત તત્વો નષ્ટ થઈ જાય છે. પરિણામે બારીક લોટ કે મેંદો પચવામાં ભારે બને છે અને કબજિયાત જેવી બીમારીઓ લાવે છે.
બીજી તરફ, લાપસી માટે ઘઉંને પીસવામાં નથી આવતા પરંતુ તેના કટકા એટલે કે 'ફાડા' કરવામાં આવે છે. આથી ઘઉંનું અસલી પોષણમૂલ્ય અકબંધ રહે છે.
ક્ષાર અને પ્રોટીન: ઘઉંના ઉપરના થૂલા (ફોતરાં)ના પડમાંથી સ્નાયુઓ માટે ઉત્તમ પ્રોટીન મળે છે. તે અંદરના ભાગ કરતાં દસ ગણો ક્ષાર અને જ્ઞાનતંતુઓ માટે ફોસ્ફરસ પૂરો પાડે છે.
લોહીની શુદ્ધિ: તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન, સલ્ફર અને આયર્ન (લોહતત્વ) જેવા 8 પ્રકારના આવશ્યક ક્ષારો કુદરતી સ્વરૂપે હોય છે, જે શરીરમાં નવું લોહી બનાવે છે અને શુદ્ધિ કરે છે.
કુદરતી રેસા (Fibers): લાપસીમાં રહેલા કુદરતી કૂચા કે રેસા આંતરડાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના પેટ સાફ રાખે છે, જે આજના સમયની ગેસ અને એસિડિટીની સમસ્યાનો રામબાણ ઈલાજ છે.
સર્જક વિટામિન 'ઈ' નો સ્ત્રોત
વિજ્ઞાનશાસ્ત્રીઓએ સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે ઘઉંના ફાડા અને થૂલામાં વિટામિન 'ઈ' (Vitamin E) ભરપૂર માત્રામાં હોય છે. વિજ્ઞાન આ વિટામિનને 'રિપ્રોડક્ટિવ વિટામિન' (સર્જક વિટામિન) તરીકે ઓળખાવે છે. આજના આધુનિક યુગમાં અને શ્રીમંત વર્ગમાં મોંઘા માલ-મલીદા ખાવા છતાં નિઃસંતાનપણું વધુ જોવા મળે છે, જ્યારે ગામડાના ગરીબ લોકોમાં થૂલા અને ફાડાવાળો સાદો ખોરાક હોવાથી વિટામિન 'ઈ' કુદરતી રીતે મળી રહે છે. આપણા વડવાઓ આ રહસ્ય જાણતા હતા, તેથી જ બાળકનો જન્મ થાય ત્યારે તેના નામકરણ સંસ્કાર (બારમા દિવસે) વખતે આખા ઘઉંને બાફીને, ઘી-ગોળ નાખીને 'ઘુઘરી' (ટોઠા) વહેંચવાનો રિવાજ રાખ્યો હતો, જે લાપસી કરતાં પણ વધુ શક્તિશાળી આહાર હતો.
આધુનિકતા ભણી આંધળી દોડ
અત્યારની નવી પેઢી વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવ હેઠળ આવીને આપણી સમૃદ્ધ પરંપરાઓને 'વહેમ' કે 'અંધશ્રદ્ધા' ગણાવી તેની મશ્કરી કરે છે. લગ્નપ્રસંગોમાં લાપસી રાંધનારા કે પીરસનારાને તિરસ્કારની નજરે જોઈ, મેંદા અને કેમિકલયુક્ત મીઠાઈઓ પીરસવામાં આધુનિકતાનું ગૌરવ અનુભવે છે. આ આપણી સૌથી મોટી વૈચારિક નાદારી છે. આપણા પૂર્વજો કહેતા કે, "આડા દિવસોમાં તમે કદાચ કામની વ્યસ્તતામાં આવો પૌષ્ટિક આહાર રોજ ન ખાઈ શકો, તો કંઈ નહીં, પણ શુભ પ્રસંગોએ શુકનના બહાને પણ આ લાપસી કે ચૂરમું પેટમાં પધરાવો!"
જગત આજે અનેક શારીરિક વ્યાધિઓથી પીડિત છે. હોસ્પિટલો અને દવાઓ વધતી જાય છે પણ સુખ-શાંતિ ગાયબ થતાં જાય છે, કારણ કે આપણે પ્રકૃતિ અને આયુર્વેદના નિયમોની ઘોર ઉપેક્ષા કરી છે. આરોગ્ય, સંપત્તિ અને સૌંદર્યનો સાચો આધાર પૌષ્ટિક આહાર જ છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાંથી બહાર આવીને, મેંદાના ઝેરને ત્યાગીને, આપણા રોજિંદા આહારમાં ફરીથી લાપસી જેવા પરંપરાગત અને વિજ્ઞાનસભર ખોરાકને અપનાવવામાં જ દેશ અને સમાજની સાચી શાણપણ રહેલી છે.
આ પણ વાંચો : Healthy Street Food Recipe : વરસાદી માહોલમાં ઘરે જ બનાવો સ્ટ્રીટ ફૂડ, સ્વાદની સાથે રાખી શકશો સ્વાસ્થ્યની પણ સંભાળ

