India-Brain Drain to Brain Gain :ગઈકાલનું 'બ્રેઈન ડ્રેઈન' અને આજની તક
- India-Brain Drain to Brain Gain : જાણો શા માટે ZOHOના શ્રીધર વેમ્બુ વિદેશી ભારતીયોને વતન પરત ફરવા અપીલ કરી રહ્યા છે? બદલાતા વૈશ્વિક પ્રવાહો અને ભારતમાં ટેકનોલોજીના વધતા વ્યાપ વચ્ચે 'બ્રેઈન ડ્રેઈન' થી 'બ્રેઈન ગેઈન' તરફના સ્થળાંતર પર એક વિશેષ લેખ.
India-Brain Drain to Brain Gain : તાજેતરમાં ટેકનોલોજી ક્ષેત્રે સ્વનિર્ભરતાના પ્રખર હિમાયતી અને જાણીતી આઈટી કંપની ‘ઝોહો’ (Zoho) ના સ્થાપક શ્રીધર વેમ્બુ(Sridhar Vembu)એ અમેરિકામાં વસતા ભારતીયોને એક ખુલ્લો પત્ર લખીને વતન પરત ફરવાની અપીલ કરી છે. આ અપીલે વિશ્વભરમાં એક નવી ચર્ચા છેડી દીધી છે. વેમ્બુનું માનવું છે કે ભારતનું ભવિષ્ય તેની ટેકનોલોજીકલ પ્રગતિ પર નિર્ભર છે અને તે માટે વિદેશમાં વસતા ભારતીય ટેલેન્ટની ઘરવાપસી અનિવાર્ય છે.
India-Brain Drain to Brain Gain :ગઈકાલનો 'બ્રેઈન ડ્રેઈન' અને આજની તક
એક સમય હતો જ્યારે ભારતના તેજસ્વી યુવાનો – IIT ગ્રેજ્યુએટ્સ, ડોક્ટરો અને વૈજ્ઞાનિકો – ભારતમાં પૂરતી તકોના અભાવે વિદેશ જતા રહેતા. આ પ્રક્રિયાને આપણે 'બ્રેઈન ડ્રેઈન' Brain drain (બુદ્ધિધનનું પલાયન) તરીકે ઓળખતા. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. ભારત હવે વિશ્વસ્તરીય ટેકનોલોજી વિકસાવવાની ક્ષમતા ધરાવે છે. વેમ્બુના મતે, જે લોકો તકોના અભાવે દેશ છોડી ગયા હતા, તેમના માટે હવે ભારતમાં યોગદાન આપવાનો આ સુવર્ણ સમય છે.
India-Brain Drain to Brain Gain : અમેરિકી રાજનીતિ અને અનિશ્ચિતતાનો ઓછાયો
શ્રીધર વેમ્બુની આ અપીલ અત્યારે આટલી ચર્ચામાં કેમ છે? તેનું મુખ્ય કારણ અમેરિકાનું બદલાતું રાજકીય વાતાવરણ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમયાંતરે ભારતીયો અને H-1B વિઝા ધારકો વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓએ ભારતીયોમાં ચિંતા જગાવી છે.
H-1B વિઝા પર ભીંસ: ટ્રમ્પ પ્રશાસને દાવો કર્યો છે કે વિદેશીઓ રસ્તે અમેરિકનોની નોકરીઓ છીનવી રહ્યા છે, જેના કારણે વિઝાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે.
વિવાદાસ્પદ ટિપ્પણીઓ: અગાઉ ભારતને મિત્ર ગણાવનાર ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત વિશે કેટલીક અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી, જેનાથી ત્યાં વસતા ભારતીયોમાં પોતાની સુરક્ષા અને ભવિષ્યને લઈને અનિશ્ચિતતા જન્મી છે.
અમેરિકાની ઈકોનોમીમાં ભારતીયોનો દબદબો
આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાની વસ્તીમાં ભારતીયોનો હિસ્સો માત્ર 1.5% છે, પરંતુ તેઓ અમેરિકાના કુલ મહેસૂલમાં 6% (અંદાજે $300 બિલિયન) જેટલો જંગી ફાળો આપે છે. ટેકનોલોજી, હેલ્થકેર અને ફાઈનાન્સ જેવા ક્ષેત્રોમાં ભારતીયો સર્વોચ્ચ સ્થાને છે. દુનિયાની મોટી કંપનીઓના CEO ભારતીયો છે. આમ છતાં, ત્યાંના બદલાતા વલણને કારણે હવે ઘણાને પોતાનું ભવિષ્ય વતનમાં વધુ સુરક્ષિત દેખાઈ રહ્યું છે.
ભારત તરફ પાછા ફરવા પાછળના મુખ્ય કારણો
લોકો કેમ ભારત પાછા ફરવા વિચારી રહ્યા છે? તેના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:
વિકસતું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ: ભારતમાં આજે ઇનોવેશન અને નવા વ્યવસાયો માટે ઉત્તમ વાતાવરણ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો: આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીમાં ભારત હરણફાળ ભરી રહ્યું છે.
દેશપ્રેમ અને મૂળ સાથે જોડાણ: ઘણા ભારતીયો પોતાની માતૃભૂમિ માટે કંઈક કરવા માંગે છે.
વિઝાની સમસ્યાઓ: અમેરિકામાં ગ્રીન કાર્ડ અને વિઝાની અનિશ્ચિતતાથી કંટાળીને લોકો સ્વદેશી તકો ઝડપી રહ્યા છે.
પડકારો અને મિશ્ર પ્રતિસાદ
શ્રીધર વેમ્બુની અપીલનો દરેક વ્યક્તિ સકારાત્મક પ્રતિસાદ નથી આપી રહી. કેટલાક લોકોનું માનવું છે કે અમેરિકાનું જીવનધોરણ, શિક્ષણ અને આંતરમાળખું હજુ પણ ભારત કરતા ચડિયાતું છે. પેઢીઓથી ત્યાં સ્થાયી થયેલા પરિવારો માટે બધું સંકેલીને પાછા આવવું એટલું સરળ નથી.
પરિવર્તન રાતોરાત નહીં આવે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે 'બ્રેઈન ગેઈન' -Brain Gain (બુદ્ધિધનની પ્રાપ્તિ) નો પ્રારંભ થઈ ચૂક્યો છે. પછી ભલે તે દેશપ્રેમ હોય કે મજબૂરી, ભારતીય પ્રતિભા હવે ધીરે ધીરે વતન તરફ પાછી વળી રહી છે. જો આ પ્રવાહ વેગ પકડશે, તો ભારતને વૈશ્વિક ટેકનોલોજી લીડર બનતા કોઈ રોકી શકશે નહીં.
આ પણ વાંચો :Norovirus : કેરેબિયન ક્રુઝ પર વાયરસનો વિસ્ફોટ, 3 હજાર પૈકી 115 લોકો સંક્રમિત


