Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jatayu : નથી લાગતું કે આપણી ‘જટાયુવૃત્તિ’ જ મરી ગઈ છે?

રામાયણનો જટાયુ માત્ર એક પક્ષી નહોતો, તે એ આદર્શનું પ્રતીક હતો કે જ્યારે અન્યાય થતો હોય ત્યારે વિજયની અપેક્ષા વગર લડવું એ જ સાચો ધર્મ છે. જટાયુ જાણતો હતો કે રાવણ સામે તેનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં તેણે એક સ્ત્રીના સન્માન માટે લડવાનું પસંદ કર્યું. કારણ કે, તેના માટે 'પોતે જીવતા રહીને અન્યાય જોવો' એ 'મૃત્યુ' કરતા વધુ ભયાનક હતું.
jatayu   નથી લાગતું કે આપણી ‘જટાયુવૃત્તિ’ જ મરી ગઈ છે
Advertisement
  • Jatayu :આજે જ્યારે આપણે આસપાસની પરિસ્થિતિ જોઈએ છીએ, ત્યારે ખરેખર લાગે છે કે સમાજમાં 'જટાયુ વૃત્તિ' લુપ્ત થઈ રહી છે.

Jatayu : રામાયણનો જટાયુ માત્ર એક પક્ષી નહોતો, તે એ આદર્શનું પ્રતીક હતો કે જ્યારે અન્યાય થતો હોય ત્યારે વિજયની અપેક્ષા વગર લડવું એ જ સાચો ધર્મ છે. જટાયુ જાણતો હતો કે રાવણ સામે તેનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં તેણે એક સ્ત્રીના સન્માન માટે લડવાનું પસંદ કર્યું. કારણ કે, તેના માટે 'પોતે જીવતા રહીને અન્યાય જોવો' એ 'મૃત્યુ' કરતા વધુ ભયાનક હતું.

Jatayu :સાંપ્રત સમય અને જટાયુ વૃત્તિનો અભાવ

૧. મૂકસાક્ષી (Silent Spectators): આજે રસ્તા પર કોઈ સ્ત્રીની છેડતી થતી હોય કે કોઈ નિર્દોષ પર અત્યાચાર થતો હોય, ત્યારે લોકો 'જટાયુ' બનીને મદદે આવવાને બદલે પોતાના મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવામાં વ્યસ્ત થઈ જાય છે. આપણી સંવેદનાઓ ડિજિટલ બની ગઈ છે, પણ હૃદય પથ્થર જેવા.

Advertisement

૨. 'મારે શું?' ની વૃત્તિ: આજના સમયનો સૌથી મોટો રોગ 'મારે શું?' અને 'મારું શું?' છે. આપણે ત્યાં સુધી અવાજ નથી ઉઠાવતા જ્યાં સુધી આંચ આપણા ઘર સુધી ન પહોંચે. ભીષ્મ પિતામહ જેવી આ નિષ્ક્રિયતા જ અધર્મને બળ આપે છે. આપણે ભૂલી ગયા છીએ કે અન્યાય કરનાર કરતા અન્યાય સહેનાર અને જોનાર વધુ ગુનેગાર છે.

Advertisement

૩. પરિણામનો ડર: જટાયુએ પરિણામનો વિચાર નહોતો કર્યો, તેણે માત્ર કર્તવ્ય જોયું હતું. આજે આપણે કોઈની મદદ કરતા પહેલા 'પોલીસ કેસ થશે', 'સમય બગડશે' કે 'દુશ્મનાવટ થશે' એવા સો ગણતરીબાજ વિચારો કરીએ છીએ. આ ગણતરી આપણી અંદર રહેલા મનુષ્યને મારી નાખે છે.

૪. સ્ત્રી સન્માન માત્ર ભાષણોમાં: આપણે સ્ત્રીને દેવી માનીએ છીએ, પણ જ્યારે પ્રત્યક્ષ રક્ષણની વાત આવે છે ત્યારે આપણે બહાના શોધીએ છીએ. જટાયુએ બતાવ્યું હતું કે સ્ત્રીની સુરક્ષા એ માત્ર તેના પરિવારની નહીં, પણ આખા સમાજની જવાબદારી છે.

Jatayu : જટાયુ વૃત્તિ કેમ જરૂરી છે?

સમાજ માત્ર દુષ્ટોની દુષ્ટતાથી બરબાદ નથી થતો, પણ સજ્જનોની મૌન વૃત્તિથી બરબાદ થાય છે. જો આપણે ફરીથી એક સુરક્ષિત અને નૈતિક સમાજ બનાવવો હોય, તો આપણી અંદર રહેલી 'જટાયુ વૃત્તિ' ને જગાડવી પડશે. એવું જરૂરી નથી કે દરેક વખતે આપણે રાવણને હરાવી જ દઈએ, પણ એટલું તો ચોક્કસ હોવું જોઈએ કે જ્યારે ઈતિહાસ પૂછે કે 'જ્યારે અન્યાય થતો હતો ત્યારે તમે ક્યાં હતા?', ત્યારે આપણે ગર્વથી કહી શકીએ કે 'અમે લડતા હતા'.

જટાયુ પક્ષી હોવા છતાં 'અમર' થઈ ગયો કારણ કે તે લડ્યો હતો. ભીષ્મ મહાન હોવા છતાં 'વિવાદિત' રહ્યા કારણ કે તે મૌન રહ્યા હતા. નિર્ણય આપણે લેવાનો છે: આંખો મીંચીને ભીષ્મ બનવું કે પાંખો કપાવીને પણ જટાયુ થવું?

જ્યારે રાવણે જટાયુની બંને પાંખો કાપી નાખી ત્યારે યમરાજ(મૃત્યુ) જટાયુને લેવા આવ્યા! ગીધરાજ જટાયુએ મૃત્યુને પડકારીને કહ્યું: "સાવધાન ઓ કાળ! આગળ વધવાની કોશિશ ન કરતો...!"

“હું મૃત્યુનો સ્વીકાર તો કરીશ... પરંતુ તું મને ત્યાં સુધી અડી શકશે નહીં જ્યાં સુધી હું સીતાજીના સમાચાર પ્રભુ "શ્રી રામ" ને સંભળાવી ન દઉં...!"

મૃત્યુ તેમને સ્પર્શ કરી શકતું નથી, ઉભું રહીને રાહ જોઈ રહ્યું છે..! અને મૃત્યુ ત્યાં સુધી ઉભું રહ્યું, જ્યાં સુધી જટાયુએ પ્રાણ ન ત્યાગ્યા.

ઈચ્છા મૃત્યુનું વરદાન જટાયુને નહોતું મળ્યું પણ એના ખમીર સામે યમરાજને પણ રોકાઈ જવું પડ્યું.

હવે મહાભારતના ભીષ્મ પિતામહની વાત. એમને તો ઇચ્છામૃત્યુનું વરદાન હતું. તો ય એ  છ મહિના સુધી બાણોની શય્યા પર સુઈને મૃત્યુની પ્રતીક્ષા કરતા રહ્યા... તેમની આંખોમાં આંસુ છે, રડી રહ્યા છે અને ભગવાન મનમાં ને મનમાં હસી રહ્યા છે...!....

કેટલું અલૌકિક છે આ દ્રશ્ય...

રામાયણમાં જટાયુ ભગવાનની ગોદ રૂપી શય્યા પર સૂતા છે...! પ્રભુ "શ્રી રામ" રડી રહ્યા છે અને જટાયુ પ્રભૂશ્રી રામના સાનિધ્યનું સુખ લઇ રહ્યા  છે..!....

બીજી બાજુ  મહાભારતમાં ભીષ્મ પિતામહ રડી રહ્યા છે અને ભગવાન "શ્રી કૃષ્ણ" હસી રહ્યા છે.

કેટલી ભિન્નતા છે બંનેના મૃત્યુમાં?

અંત સમયે જટાયુને પ્રભુ "શ્રી રામ" ના ખોળાની શય્યા મળી!!

પરંતુ ભીષ્મ પિતામહને મરતી વખતે બાણ શય્યા મળી.!

જટાયુ પોતાના કર્મના બળ પર અંત સમયે ભગવાન શ્રી રામની "ગોદ રૂપી શય્યા" માં પ્રાણ ત્યાગી રહ્યા છે અને બાણો પર સૂતા સૂતા ભીષ્મ પિતામહ રડી રહ્યા છે.!

આવો તફાવત કેમ..??

આવો તફાવત એટલા માટે કે ભરેલા દરબારમાં ભીષ્મ પિતામહે દ્રૌપદીની આબરૂ લૂંટાતી જોઈ હતી પણ વિરોધ કરી શક્યા નહોતા.!....

દુઃશાસનને ધમકાવી દીધો હોત, દુર્યોધનને પડકાર્યો હોત.....

પરંતુ દ્રૌપદી રડતી રહી, કકળતી રહી, ચીસો પાડતી રહી, બરાડા પાડતી રહી.

તેમ છતાં ભીષ્મ પિતામહ માથું ઝુકાવીને જ બેસી રહ્યા, નારીના સન્માનની રક્ષા ન કરી શક્યા!....

તેનું પરિણામ એ આવ્યું કે ઈચ્છા મૃત્યુનું વરદાન મળવા છતાં પણ તેમને બાણોની શય્યા મળી!!

અને જટાયુએ નારીનું સન્માન કર્યું, પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી! તો તેમને મરતી વખતે ભગવાન "શ્રી રામ" ના ખોળાની શય્યા મળી.!!

પૂર્ણ પૂરુષોત્તમ રામે કહેવું પડે છે કે:

પરહિત બસ જેહ કે મન માહીં |

તિન્હ કહું જગ દુર્લભ કછુ નાહીં ||

તનુ તજિ તાત જાહુ મમ ધામા | દેઉં કાહ તુમ્હ પૂરનકામા ||

(જેમના મનમાં બીજાનું હિત વસેલું છે, તેમના માટે જગતમાં કંઈ પણ દુર્લભ નથી. હે તાત (પિતા સમાન જટાયુ)! તમે શરીર ત્યાગીને મારા ધામમાં પધારો. તમે પોતે જ પૂર્ણકામ છો. હું તમને વધુ શું આપી શકું?)

જે બીજાની સાથે ખોટું થતું જોઈને પણ આંખો મીંચી લે છે, તેમની ગતિ ભીષ્મ જેવી થાય છે. અને જે પોતાનું પરિણામ જાણતા હોવા છતાં પણ બીજા માટે સંઘર્ષ કરે છે, તેમનું માહાત્મ્ય જટાયુ જેવું કીર્તિવાન હોય છે!

નથી લાગતું કે આપણમાંથી ‘જટાયુવૃત્તિ’ જ મરી ગઈ છે?

ધર્મની વાત હોય,દેશનિવાત હોય કે સ્વમાનની વાત હોય આપણે શરણાગતિ જ સ્વીકારી લઈએ છીએ. ‘જવા દો ,એમાં આપણે શું?”ની વૃત્તિ થઈ ગઈ છે.  

આ પણ વાંચો : BAPS Hindu Temple : અબુધાબીના BAPS હિન્દુ મંદિરને વધુ એક ખાસ સન્માન

Tags :
Advertisement

.

×