જો જો આવું ક્યારેય ન કરતા! મહિલાનો આંખોમાં પેશાબ નાખતો વીડિયો વાયરલ, ડૉક્ટરે આપી ચેતવણી
- પેશાબથી આંખો ધોવાનો ભયાનક વીડિયો વાયરલ!
- વીડિયો માટે આરોગ્ય સાથે ચેડાં?
- અનોખા નહી, જોખમી પ્રયોગોનો ટ્રેન્ડ!
- નિષ્ણાતોએ આપી ચેતવણી
Viral Video : આજના ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયા (social media) પ્લેટફોર્મ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર લોકોનું ધ્યાન ખેંચવા અને લાઇક્સ મેળવવા માટે એક મોટું માધ્યમ બની ગયા છે. ઘણા લોકો પોતાના વીડિયો વાયરલ (Video Viral) કરવા માટે અનોખા અને ચોંકાવનારા પ્રયોગો કરે છે, પરંતુ આવા પ્રયાસો ક્યારેક આરોગ્ય (Health) માટે ગંભીર જોખમો ઉભા કરી શકે છે. તાજેતરમાં, એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં પુણેની એક મહિલા, નુપુર પિટ્ટી, પોતાને હેલ્થ ટ્રેનર ગણાવીને પેશાબથી આંખો ધોવાની એક વિચિત્ર અને જોખમી પદ્ધતિની ભલામણ કરે છે.
નિષ્ણાતોની ચેતવણી
આ વીડિયોમાં તે લાઇવ દેખાડે છે કે તે સવારે પોતાના શૌચાલયમાંથી પેશાબ લઈને આંખો ધોઈ રહી છે, અને દાવો કરે છે કે આ પદ્ધતિ આંખોની શુષ્કતા, લાલાશ અને બળતરા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આવા વીડિયોની વાયરલ થવાની લાલચમાં લોકો આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. સેન્ટર ફોર સાઈટ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ્સના ચેરમેન અને મેડિકલ ડિરેક્ટર ડૉ. મહિપાલ સિંહ સચદેવે કહ્યું કે, આવી પદ્ધતિને આંખો માટે અત્યંત જોખમી ગણાવી અને સ્પષ્ટ ચેતવણી આપી કે આવું કરવાથી દ્રષ્ટિને કાયમી નુકસાન થઈ શકે છે, જેમાં અંધત્વનો પણ સમાવેશ થઈ શકે છે. ડૉ. સચદેવે જણાવ્યું કે શરીરમાંથી બહાર નીકળેલું પેશાબ સ્વચ્છ નથી હોતું. તેમાં બેક્ટેરિયા, ઝેરી તત્વો અને અન્ય અશુદ્ધિઓ હોઈ શકે છે, જે આંખોના અત્યંત સંવેદનશીલ પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે. આવા પ્રયોગથી આંખોમાં ગંભીર બળતરા, લાલાશ, નેત્રસ્તર દાહ, કોર્નિયલ અલ્સર અથવા તો કાયમી અંધત્વ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આંખો જેવા સંવેદનશીલ અંગ પર કોઈપણ બાહ્ય પદાર્થ, ખાસ કરીને શરીરના કચરા જેવા પેશાબનો ઉપયોગ કરવો એ આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.
સોશિયલ મીડિયામાં બધું સાચું નથી હોતું
સોશિયલ મીડિયા પર વાયરલ થતા આવા વીડિયો ઘણીવાર લોકોને આંખ બંધ કરીને અનુસરવા માટે પ્રેરે છે, પરંતુ આવી બેજવાબદારીભરી સલાહ આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ડૉ. સચદેવે ચેતવણી આપી કે આવા વીડિયોના આધારે કરવામાં આવેલા પ્રયોગો શરૂઆતમાં હળવી ખંજવાળ કે દુખાવાના રૂપમાં દેખાઈ શકે છે, પરંતુ ટૂંક સમયમાં તે ગંભીર તબીબી સમસ્યામાં પરિણમી શકે છે. ખાસ કરીને, આંખો જેવા સંવેદનશીલ અંગની સંભાળ માટે ફક્ત નિષ્ણાત ડૉક્ટરની સલાહ અને માન્ય સારવારનો જ ઉપયોગ કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર ફેલાતી અપ્રમાણિત અને બિનવૈજ્ઞાનિક સલાહને અનુસરવી એ જાણે જોખમને આમંત્રણ આપવા જેવું છે.
જાગૃતિની જરૂર
ઉલ્લેખનીય છે કે, આંખો માનવ શરીરનું અત્યંત મહત્વનું અને સંવેદનશીલ અંગ છે, જેની સંભાળમાં ખૂબ જ કાળજી લેવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતા આવા ખોટા દાવાઓ અને વીડિયો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે, જેનાથી ન માત્ર આરોગ્યને નુકસાન થઈ શકે છે, પરંતુ જીવનભરની પીડા પણ ભોગવવી પડી શકે છે. માત્ર જાગૃતિ દ્વારા જ આપણે આરોગ્યની રક્ષા કરી શકીએ છીએ અને સોશિયલ મીડિયાના ખોટા પ્રચારથી બચી શકીએ છીએ.
આ પણ વાંચો : Monsoon Makeup Tips : વરસાદમાં મેકઅપ ટકાવવાની શ્રેષ્ઠ રીતો, ત્વચાને આ રીતે રાખો ચમકદાર