Wu Wei : સંઘર્ષ વિના જીવનના પ્રવાહ સાથે સંપૂર્ણ સુમેળ સાધીને કર્મ કરવાની વાત
Wu Wei- “માણસને બધું પોતાના કાબૂમાં રાખવાનું વળગણ છે અને આ કાબૂ ધરાવવાની વૃત્તિને કારણે જ એનું જીવન સંઘર્ષમય બને છે.” ભર્તુહરિના વૈરાગ્ય શતકની,આ પંક્તિ છે. સમય ક્યાંય નથી જતો, આપણે જઈ રહ્યા છીએ.
યાત્રા સમયની નથી આપણી છે. અપેક્ષાઓ વૃદ્ધ નથી થતી પરંતુ આપણે વૃદ્ધ થતા જઈએ છીએ.આપણે વ્યક્તિ તરીકે વધ્યા, વૃદ્ધિ પામ્યા કે નહીં તેનું ઓડિટ કરવું જ પડે. એટલે જ ચાલો એક નવો વિચાર અપનાવીએ – ‘વુ વેઇ’!
એવું નથી કે કશું’ય ના કરવું કે
‘તાઓ તે કિંગ’ (‘તાઓ તે ચિંગ’ અથવા ‘દાઓદેજિંગ’) એક અદભૂત કહી શકાય એવું પુસ્તક છે. લગભગ અઢી-ત્રણ હજાર વર્ષ પૂર્વે લખાયેલા લાઓત્ઝુના વિચારો આજે એ સમય કરતા પણ વધુ પ્રસ્તુત લાગે છે. પ્રાચીન ગ્રંથો કે એના કાલાતીત ઉપદેશો વાંચતા એક પ્રશ્ન મને હંમેશા રહ્યો છે કે આવા જબરદસ્ત વિચારો મહર્ષિઓ, બુદ્ધ, મહાવીર, લાઓત્ઝુ વગેરેના મનમાં કેવી રીતે આવ્યા હશે કે જે આજે પણ નકારી શકાય એમ નથી.
જેમ ગૂગલના સેન્ટ્રલ સર્વર સાથે જોડાઈને આપણા મોબાઇલ-લેપટોપમાં માહિતી ડાઉનલોડ થાય છે એમ, બ્રહ્માંડ સાથે તાદાત્મ્ય સધાતા કે એકરૂપ થતા તેમનામાં ઉતરી આવેલા આ વિચારો છે અને માટે જ આ વિચારો શાશ્વત છે. ‘વુ વેઇ’ એ તાઓ ધર્મનો આવો જ એક કેન્દ્રવર્તી વિચાર છે. એનો અર્થ છે ‘પ્રયાસ વિનાની ક્રિયા’ (Effortless Action) અથવા ‘કશું’ય નહીં કરવાની કળા’! એટલે Wu Wei
અલબત્ત ના સમજાય તો આખે-આખું કોળું શાકમાં જાય એવો આ કૉન્સેપ્ટ છે. ‘વુ વેઇ’નો અર્થ એવો નથી કે કશું ય ના કરવું કે આળસુ બનીને પેસિવિટીમાં જીવ્યે જવું. આ નિષ્ક્રિયતા કે આળસની વાત નથી, આ તો વાસ્તવમાં, બિનજરૂરી બળ અથવા સંઘર્ષ વિના, જીવનના પ્રવાહ સાથે સંપૂર્ણ સુમેળ સાધીને પોતાના કર્મ કરવાની વાત છે.
બીજમાંથી વૃક્ષની યાત્રા પણ પ્રયાસ વિનાની
નદી કુદરતી વહેણને અનુસરીને સાગર સુધી પહોંચે છે, ઋતુ ચક્ર તેના ક્રમ પ્રમાણે ચાલે જાય છે, બીજમાંથી વૃક્ષની યાત્રા પણ પ્રયાસ વિનાની છે, સમગ્ર જીવસૃષ્ટિ આપમેળે ચાલે જાય છે. કોઈ કંઈ પ્રયત્ન નથી કરતું સહજ કુદરતી રીતે બધું ચાલ્યા કરે છે. પ્રકૃતિના ક્રમથી વિરુદ્ધ માણસ જ એક એવું અસ્તિત્વ છે કે જે અવળચંડાઈ કરવામાં રસ ધરાવે છે.
માણસને બધું પોતાના કાબૂમાં રાખવાનું વળગણ છે અને આ કાબૂ ધરાવવાની વૃત્તિને કારણે જ એનું જીવન સંઘર્ષમય બને છે. જ્યારે લાઓત્ઝુ કહે છે અસ્તિત્વ સાથે સંઘર્ષ નહીં સહયોગ કરો, કુદરતના પ્રવાહની સાથે તાલમેલ સાધીને કર્મ કરતા જાવ. જ્યારે આપણે જીવનના પ્રવાહો સામે સંઘર્ષ કરવાનું બંધ કરીને કુદરતી પ્રવાહ પર વિશ્વાસ કરીએ, ત્યારે આપણે ‘વુ વેઈ’ને જીવનમાં અપનાવ્યું કહેવાય. બ્રહ્માંડના આ સહજ વહેણના ક્રમને પશ્ચિમીઓએ રૂપકડા સૂત્રનું રૂપ આપ્યું – ‘ગો વિથ ફ્લૉ’ અને લાઓત્ઝુની પ્રયાસ વિનાની ક્રિયાને ના સમજી શકેલા લોકો પણ આજે આ સૂત્રથી પ્રભાવિત થયેલા જોવા મળે છે. ‘
Wu Wei 'વુ વેઇ’નો તાઓવાદી સિદ્ધાંતનું પ્રતિબિંબિ
ફ્લૉ’ એક એવી માનસિક સ્થિતિનું વર્ણન કરે છે જેમાં વ્યક્તિ પ્રવૃત્તિમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે, સહેલાઈથી ધ્યાન કેન્દ્રિત કરે છે અને સમયને ભૂલી જાય છે, તેની ક્રિયાઓ સ્વયંસ્ફુરિત અને કુદરતી લાગે છે. વાસ્તવમાં આ ‘ફ્લૉ’નો કન્સેપ્ટ ‘વુ વેઇ’ના તાઓવાદી સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે, જ્યાં પ્રયત્નો અને સરળતાનો સુમેળ સહઅસ્તિત્વ ધરાવે છે.
વાત હાથ જોડીને બેસી રહેવાની, નસીબમાં જે હશે તે મળશે, જે થાય તે જોયા કરો, કશું આપણા હાથમાં નથી વગેરેની બિલકુલ નથી. વાત પ્રકૃતિ સાથે સુસંગત, સ્વયંસ્ફુરિત અને દબાણ વિના કામ કરવાની જીવનશૈલી (The Art of Doing Without Overdoing) અપનાવાની છે. આપણા પ્રયત્નો અને આસપાસની પ્રકૃતિ સાથે એક લય પ્રસ્થાપિત કરવાની છે.
મનની આ એક એવી સ્થિતિ છે જ્યાં ક્રિયાઓ તણાવ, ચિંતા અથવા અતિશય આયોજન વિના કુદરતી રીતે થાય છે. અધીરાઈ, ફળની આશા, કાબૂ ધરાવાની વૃત્તિ, કુદરત પર અવિશ્વાસ, દુનિયા મુઠ્ઠીમાં કરવાનું વળગણ વગેરે આપણને આ ‘ઝોન’માં કે ‘પ્રવાહ’માં આવતા રોકે છે.
શ્રદ્ધાપૂર્વક જે પરિણામ મળે તેને સ્વીકારવાની વાત
સૌથી પહેલી વાત તો જીવનમાં અતિશય નિયંત્રણની ઘેલછા છોડી કુદરત ઉપર વિશ્વાસ કેળવવાની છે, પૂરતા પ્રયત્નો પછી શ્રદ્ધાપૂર્વક જે પરિણામ મળે તેને સ્વીકારવાની વાત છે. બદલાવ કે ચોક્કસ પરિણામ મેળવવા માટે આક્રમક બનવાને બદલે પોતાના પૂરતા પ્રયત્નો અને પ્રકૃતિના તાલમેલથી જે પરિણામ મળે તે સ્વીકારવાની વાત છે. વ્યવહારમાં આ પ્રકારનો અભિગમ ‘વુ-વેઇ’ને જીવનમાં પ્રસ્થાપિત કરે છે.
સંબંધોમાં અન્ય વ્યક્તિને – તેમના પ્રતિભાવોને નિયંત્રિત કરવા કે તેની ઉપર કાબૂ ધરાવવાને બદલે અથવા આપણી અપેક્ષાઓનું દબાણ ઉત્પન્ન કરવાને બદલે સંબંધ સહજ કુદરતી રીતે વિકસે તે પ્રકારનો વ્યવહાર કેળવતા જઈએ અને સંબંધને પરિપક્વ થવાનો સમય આપીએ તો સંબંધ આપમેળે વિકસિત થતો જાય છે.
આ વ્યવહાર એટલે કેવા પ્રકારનો વ્યવહાર, કારણ કે તે દરેકને ખબર જ હોય છે પરંતુ લોકો વિવિધ કારણોસર તેને અવગણતા હોય છે અને સંબંધોમાં ના જોઈતા પ્રશ્નો ઊભા કરતા હોય છે. મારી-મચડીને ઊભા કરેલા સંબંધો બંને સાથીઓના પોતપોતાના મતલબના ટેકે ઊભા હોય છે જ્યારે સહજ કુદરતી વિકસેલા સંબંધો, બહાર દેખાય કે ના દેખાય, અસ્તિત્વને પોષણ આપનારા હોય છે.
જીવનમાં સર્જનાત્મકતા વિકસાવવી હોય, પ્રોબ્લેમ-સોલ્વિંગ અસરકારક બનાવવું હોય અને તણાવ ઓછો કરવો હોય તો માઇક્રોમેનેજિંગ અથવા વધુ પડતા નિયંત્રણને બદલે પરિસ્થિતિઓને કુદરતી રીતે વિકસિત થવા દો.
આ પણ વાંચો-Antibiotics : ડૉક્ટર સલાહ આપે તો જ અને તેટલી જ લેવી