Gujarat Latest News: સુરતના પલસાણામાં મૃણાલ એક્સપોર્ટના ગોડાઉનમાં આગ, સદભાગ્યે જાનહાનિ ટળી
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
જામનગર: અલિયા ગામના ઉપ-સરપંચ પર હુમલો, હાથ-પગમાં ફ્રેક્ચર
July 17, 2026 11:40 pm
જામનગર તાલુકાના અલિયા ગામના ઉપ-સરપંચ પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ (PGVCL) માં અરજી કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ બેઝબોલના ધોકા વડે ઉપ-સરપંચના હાથ અને પગ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ઉપ-સરપંચના હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર થયાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરોને પકડવા તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર: બોરભાઠા ગામ પાસે કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
July 17, 2026 11:20 pm
અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક રોડ પર કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુ મળી આવ્યું છે. આઘાતજનક ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. શહેર એ-ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને નવજાત શિશુના મૃતદેહનો કબજો મેળવ્યો છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બ્રેકિંગ: ડેસરના વાંકાનેડામાં ખનિજ વિભાગનો સપાટો, 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત
July 17, 2026 10:23 pm
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામે ખનિજ વિભાગે ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટર અને વડોદરાના ભુસ્તરશાસ્ત્રી નીરજ ગામિતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં મેસરી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનોને ઝડપી લેવામાં આવ્યા છે. ખનિજ વિભાગની ટીમે સ્થળ પરથી ૨ હિટાચી મશીન અને ૩ ડમ્પર સહિત કુલ ૧ કરોડ ૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિભાગ દ્વારા તમામ વાહનોનો કબજો મેળવી દંડની વસૂલાત સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કચ્છ: ૧૧૨ નવનિયુક્ત તલાટીઓને ફરજ ફાળવણી
July 17, 2026 10:10 pm
કચ્છ જિલ્લામાં ૧૧૨ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને ફરજ સોંપવામાં આવી છે. ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં તલાટીઓને નિમણૂક હુકમો આપવામાં આવ્યા હતા. જેમાં નખત્રાણામાં ૨૩, રાપરમાં ૧૬, માંડવીમાં ૧૫, તેમજ ભુજ ગ્રામ્ય, મુંદરા અને ભચાઉમાં ૧૧-૧૧ તલાટીઓ સહિત વિવિધ તાલુકાઓમાં ફાળવણી કરાઈ છે. આ નિમણૂકથી જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે.
મહેસાણા: કડીમાં ATS દ્વારા ઝડપાયેલા આતંકી મોડ્યુલ કેસમાં 5 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
July 17, 2026 9:48 pm
મહેસાણાની કડી કોર્ટે ગુજરાત ATS દ્વારા પકડાયેલા આઠ આતંકીઓમાંથી પાંચના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે ત્રણને જેલહવાલે કર્યા છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, આરોપીઓએ જમ્મુ-કાશ્મીરમાં AK-47 અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી. તેઓએ પ્રતિબંધિત સાહિત્યમાંથી પ્રેરણા મેળવી ટાઈમ બોમ્બ અને ઝેરી ગેસ બનાવવાની તાલીમ લીધી હતી. વર્ષ 2023થી ખડીયાસન મદ્રેસાથી શરૂ થયેલી તેમની દેશવિરોધી પ્રવૃત્તિઓ અને 43 જેહાદી પુસ્તકો મળી આવતા ATS તપાસ તેજ કરી છે.
સુરત: પલસાણામાં મૃણાલ એક્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે પરિસ્થિતિ કાબૂમાં લીધી
July 17, 2026 9:14 pm
સુરતના પલસાણા ખાતે આવેલા મૃણાલ એક્સપોર્ટના એક બંધ ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. વરસાદી પાણી ભરાવાને કારણે લાંબા સમયથી બંધ રહેલા આ ગોડાઉનમાં રહેલા ઓઈલ અને યાર્નના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. બાજુની મિલના કર્મચારીઓએ ધુમાડો જોઈ માલિકને જાણ કરી હતી. પલસાણા અને બારડોલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મહેસાણા: કડીમાં ક્રિકેટ રમવા બાબતે પાડોશી પર જીવલેણ હુમલો, પતિ-પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ
July 17, 2026 9:14 pm
મહેસાણાના કડી સ્થિત મલ્હારપુરામાં ક્રિકેટ રમવાની નજીવી બાબતે થયેલી તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મારામારી થઈ હતી. આ વિવાદમાં આરોપી પતિ-પત્નીએ પાડોશીને લોખંડની પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ફરિયાદીના માથામાં ગંભીર ઈજાઓ થતા તેમને ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે કડી પોલીસે હુમલાખોર દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: રથયાત્રા દરમિયાન પોલીસની માનવીય કામગીરી, વિખૂટા પડેલા 41 બાળકોને વાલીઓ સાથે મિલન કરાવ્યું
July 17, 2026 8:40 pm
અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં પોલીસ તંત્રએ સક્રિયતા દાખવીને ઉત્તમ કામગીરી કરી છે. રથયાત્રાના રૂટ પર 17 સ્થળોએ ખાસ 'જન સહાય કેન્દ્ર' ઉભા કરવામાં આવ્યા હતા, જેના દ્વારા ભીડમાં પોતાના માતા-પિતાથી છૂટા પડી ગયેલા 41 બાળકોને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ તમામ બાળકોને સુરક્ષિત રીતે તેમના વાલીઓ સુધી પહોંચાડ્યા હતા, જેનાથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરા: ડભોઇમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીના ઘર પર તંત્રનું બુલડોઝર, ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
July 17, 2026 8:11 pm
ડભોઇના સુરજ ફળિયામાં પોલીસ પર જીવલેણ હુમલો કરનાર આરોપી સિકંદર ગરાસિયાના મકાન પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે. થોડા દિવસ પૂર્વે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેના પગલે તે હાલ પાસા હેઠળ જેલમાં છે. આ કાર્યવાહી દરમિયાન પાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા આ આકરી કાર્યવાહીને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
અમરેલી: રાજુલામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બાળ કિશોર ઝડપાયો, પોક્સો હેઠળ ગુનો દાખલ
July 17, 2026 7:28 pm
અમરેલીના રાજુલા પંથકમાં એક સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. આરોપી બાળ કિશોરે સગીરાને ઝાડીઓમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અગાઉ પણ આરોપીએ સગીરા સાથે આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનારને કોઈને જાણ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. રાજુલા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બલુચિસ્તાનમાં ભીષણ હુમલો: BLAનો પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો, 45 સૈનિકોના મોતનો દાવો
July 17, 2026 7:27 pm
બલુચિસ્તાનના મસ્તંગ જિલ્લામાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા પાકિસ્તાની સેનાના કાફલા પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક બસને બોમ્બથી ઉડાવી દેવામાં આવી હતી, જેમાં ડઝનબંધ જવાનો ઘાયલ થયા છે. BLAએ 45 સૈનિકોને ઠાર મારવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત, બચાવ કાર્ય માટે પહોંચેલી વધારાની ટુકડી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ આ હુમલાની પુષ્ટિ કરી છે.
ઓમાનની ખાડીમાં યુએસ મરીનનું મોટું ઓપરેશન: બ્લોકેડ તોડનાર જહાજોને કર્યા કાબૂમાં
July 17, 2026 7:26 pm
ઓમાનની ખાડીમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડની સ્પેશિયલ ફોર્સે આક્રમક કાર્યવાહી કરી બ્લોકેડ તોડવાનો પ્રયાસ કરનાર ત્રણ જહાજોના રૂટ બદલી નાખ્યા હતા. આદેશનું પાલન ન કરનાર ‘M/T વેન યાઓ’ નામના જહાજને યુએસ દળોએ ઘેરી લીધું હતું અને તેને ફ્રીઝ કરી દીધું હતું. આ ઓપરેશન દ્વારા અમેરિકાએ દરિયાઈ સુરક્ષા અને નિયમોના પાલન માટે પોતાની મક્કમતા દર્શાવી છે.
ગિફ્ટ સિટી પાસે સાબરમતી રિવરફ્રન્ટને નવી ગતિ: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કામગીરીની કરી સમીક્ષા
July 17, 2026 6:43 pm
ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ઝડપી ગતિ આપવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રિવરફ્રન્ટ ફેઝ-2 ની ચાલી રહેલી કામગીરીનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે બેઠક કરી કામગીરીની વર્તમાન સ્થિતિ અને પૂર્ણતાના સમયગાળા અંગે વિગતવાર અહેવાલ મેળવ્યો હતો. પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે માટે તેમણે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
અમદાવાદ: સતત બીજા દિવસે વરસાદી માહોલ, શહેરીજનોને ગરમીથી મળી મોટી રાહત
July 17, 2026 6:09 pm
અમદાવાદમાં મેઘરાજાની સવારી યથાવત રહેતા સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. શહેરના એસ.જી. હાઈવે અને સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા અમદાવાદના નાગરિકોને આ વરસાદને કારણે ગરમીમાંથી મોટી રાહત મળી છે. વરસાદી માહોલને પગલે વાતાવરણ ખુશનુમા બન્યું છે.
પેટાચૂંટણી: મતદાનના દિવસે કર્મચારીઓને વેતન સાથે ફરજિયાત રજા મળશે
July 17, 2026 5:57 pm
ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શ્રમ વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ નિર્ણય મુજબ, આગામી 28 જુલાઈના રોજ સ્થાનિક સ્વરાજ્યની અને 30 જુલાઈના રોજ મંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈ કર્મચારીઓને વેતન સાથે ફરજિયાત રજા આપવી પડશે. આ નિયમ તમામ દુકાનો, ખાનગી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોને લાગુ પડશે. કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વેતનમાં કોઈપણ પ્રકારની કપાત કર્યા વિના આ ખાસ રજા આપવી અનિવાર્ય રહેશે, ભલે તે દિવસે સાપ્તાહિક રજા ન હોય.
ખેડા: કલેક્ટરની મુલાકાત દરમિયાન નશામાં ધૂત ઇન્ચાર્જ આચાર્ય ઝડપાયા, પોલીસ કાર્યવાહી શરૂ
July 17, 2026 5:50 pm
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાણીયેલ ગામમાં જિલ્લા કલેક્ટરની મુલાકાત દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી છે. ગંગાદાસના મુવાડા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભગવતસિંહ ઝાલા કથિત રીતે નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. કલેક્ટરની સૂચનાથી કઠલાલ પોલીસે શિક્ષકને અટકાયતમાં લઈ મેડિકલ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શિક્ષક અગાઉ પણ વિવાદમાં રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અંબાજી: તાલુકા પંચાયત સભ્યના પતિ પર હુમલો અને લૂંટનો ભેદ ઉકેલાયો, બિલ્ડર હેમંત દવે મુખ્ય સૂત્રધાર
July 17, 2026 5:19 pm
અંબાજીમાં તાલુકા પંચાયતના સભ્યના પતિ પર ચૂંટણીની અદાવતમાં થયેલા જીવલેણ હુમલા અને લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. તપાસમાં અંબાજીના બિલ્ડર હેમંત દવેનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે. બનાસકાંઠા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળ અને રેવા પ્રભુ સદન ખાતે સમગ્ર ઘટનાનું વીડિયોગ્રાફી સાથે 'રી-કન્સ્ટ્રક્શન' કર્યું હતું. હાલમાં તમામ આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
સુરત: હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરમાં વરસાદી માહોલ, ઠેર-ઠેર પાણી ભરાયા
July 17, 2026 5:19 pm
હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વેસુ, પીપલોદ, અડાજણ, અઠવાલાઈન્સ, ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છૂટોછવાયો વરસાદ હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. હવામાન વિભાગે આગામી ૫ થી ૬ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદ: ટ્રાફિક સમસ્યા હળવી કરવાના પ્રયાસો, પશ્ચિમ વિસ્તારમાં વધુ એક 'કટ' બંધ કરાયો
July 17, 2026 5:15 pm
અમદાવાદ ટ્રાફિક પોલીસ અને AMC દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા અને ઇંધણની બચત કરવા માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. પશ્ચિમ વિસ્તારમાં કારગિલથી ચાણક્યપુરી બ્રિજ સુધી જવાનો કટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક ડીસીપીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં શહેરમાં 10 નાના-મોટા કટ બંધ કરાયા છે. આ નિર્ણયથી દરરોજ પસાર થતા 50 હજારથી વધુ વાહનચાલકોને સિગ્નલ પર રાહ જોવામાંથી મુક્તિ મળશે અને મુસાફરી સરળ બનશે. લોકોની સુવિધા માટે કારગિલથી 100 મીટર દૂર વૈકલ્પિક કટની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
રાજકોટ: 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનું કાયાપલટ, વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ
July 17, 2026 5:00 pm
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું 26.80 કરોડના ખર્ચે અત્યાધુનિક નવીનીકરણ કરવામાં આવ્યું છે. 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ તૈયાર થયેલા આ સ્ટેશનનું લોકાર્પણ વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી કરશે, જેમાં રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહેશે. નવા સ્ટેશન ભવનમાં વિશાળ કોનકોર્સ હોલ અને ફૂટ ઓવરબ્રીજ જેવી આધુનિક સુવિધાઓ મુસાફરો માટે ઉપલબ્ધ કરાવાઈ છે, જેનાથી રેલવે મુસાફરી વધુ સુગમ બનશે.
બોટાદ જિલ્લા પંચાયતની વિવિધ 8 સમિતિઓના ચેરમેનોની વરણી: પદાધિકારીઓને શુભેચ્છાઓનો ધોધ
July 17, 2026 4:57 pm
બોટાદ જિલ્લા પંચાયતમાં વિવિધ 8 સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી છે. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલીયા, બાંધકામમાં ગૌરીબેન રાઠોડ, શિક્ષણમાં કિષનાબા ગોહિલ, અપીલ સમિતિમાં પાયલબેન માથોળીયા, આરોગ્યમાં આશાબેન બોરડા, ઉત્પાદન-સહકાર અને સિંચાઈમાં પરેશભાઈ સલૈયા, મહિલા-બાળ વિકાસ-યુવા પ્રવૃત્તિમાં મેહુલ કુમાર સરવૈયા તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે લીલાબેન સોલંકીની નિમણૂક કરાઈ છે. શિક્ષણ સમિતિમાં કો-ઓપ્ટ સભ્યો સાથે કુલ 7 અને સામાજિક ન્યાય સમિતિમાં 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ નિમણૂકો બદલ પદાધિકારીઓને ભાજપના કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતમાં ઐતિહાસિક નિર્ણય: 'ટુકડા ધારા'માં સુધારાથી લાખો ખેડૂતોને મોટી રાહત
July 17, 2026 4:29 pm
ગુજરાત સરકારે ૭૫ વર્ષ જૂના 'ટુકડા ધારા-૧૯૪૭'માં મોટો અને ઐતિહાસિક સુધારો કરવાની જાહેરાત કરી છે. નવા નિયમ મુજબ હવે જમીન માટે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ થશે અને ટુકડા ધારાની જોગવાઈમાંથી મુક્તિ મળશે. આ નિર્ણય બાદ જૂના તમામ કેસ કોઈપણ પેનલ્ટી વગર નિયમિત કરવામાં આવશે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ આ કાયદો અમલમાં આવશે, જેનાથી જમીન ખરીદ-વેચાણ, NA મંજૂરી અને બાંધકામ ક્ષેત્રે પારદર્શિતા વધશે અને લાખો ખેડૂતોને રાહત મળશે.
સુરત: વાહન ચોરીના ગુનામાં 28 વર્ષથી ફરાર આરોપી દિલ્હીથી ઝડપાયો
July 17, 2026 4:28 pm
સુરત ક્રાઈમ બ્રાન્ચે 1998 માં નોંધાયેલા વાહન ચોરીના એક જૂના કેસમાં 28 વર્ષથી ફરાર આરોપી લાલસિંગ નિષાદને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આરોપી તે સમયે ઉધનામાં લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો અને માલિકની મોટરસાયકલ ચોરી ફરાર થઈ ગયો હતો. પોલીસ સતત તપાસ કરી રહી હતી, ત્યારે બાતમી મળતા ત્રણ દિવસના ઓપરેશન બાદ તેને દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો છે. વધુ તપાસ માટે આરોપીને ઉધના પોલીસને સોંપાયો છે.
સુરત: આત્મહત્યા કરવા નીકળેલા યુવકને પોલીસની સતર્કતાથી મળ્યું નવું જીવન
July 17, 2026 4:28 pm
સુરતમાં પારિવારિક વિવાદને કારણે આત્મહત્યા કરવા જઈ રહેલા મિહિર પટેલ નામના યુવકને અડાજણ પોલીસે સમયસૂચકતા વાપરી ઉગારી લીધો હતો. પોલીસ કંટ્રોલ રૂમ પર કોલ મળતા જ PCR વાન-55 ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે યુવકનું સફળ કાઉન્સિલિંગ કરી તેને જીવનનું મૂલ્ય સમજાવ્યું હતું. પોલીસની આ માનવીય કામગીરીને પગલે યુવકને સમજાવી સહીસલામત ઘરે પરત મોકલી આપવામાં આવ્યો હતો.
રાજકોટ મનપાની લાલ આંખ, 87 ખાણી-પીણીની દુકાનોમાં ચેકિંગ, અખાદ્ય જથ્થાનો નાશ
July 17, 2026 3:47 pm
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની 87 ખાણી-પીણીની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 59 કિલો વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન અનિયમિતતા જણાતા 9 પેઢીને નોટિસ અપાઈ છે અને 2 પેઢીને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, 96 કિલો પસ્તી જપ્ત કરી 20,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે તથા ગુણવત્તા તપાસવા 10 નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
સિંહોના માનવ પર વધતા હુમલાને પગલે સાસણમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
July 17, 2026 3:46 pm
ગીરની બોર્ડર પર સિંહોના માનવ પર વધતા હુમલાને પગલે સાસણમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. પીસીસીએફ બી.પી. પતિની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં વન વિભાગે હવે ટેકનોલોજીનો આશરો લેવાનો દાવો કર્યો છે. જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલના સીએફ ડો. રામ રતન નાલાએ જણાવ્યું હતું કે, હવે થર્મલ ડ્રોન, પ્રી-એલાર્મિંગ સિસ્ટમ અને એઆઈ (AI) આધારિત મોનિટરિંગથી સિંહ-દીપડાની મૂવમેન્ટ પર નજર રખાશે. જોકે, સ્થાનિક લોકોમાં હજુ પણ ફફડાટ છે અને સવાલો ઉઠી રહ્યા છે કે આ હાઈટેક યોજનાઓ વાસ્તવમાં લોકોની સુરક્ષા કરવામાં કેટલી સફળ રહેશે.
મોરબીના ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા
July 17, 2026 3:11 pm
મોરબીમાં ભાજપના કેટલાક પૂર્વ તાલુકા અને જિલ્લા સભ્યોએ કેસરી ખેસ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં આ નેતાઓએ પક્ષમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે પ્રમુખે જણાવ્યું કે, જમીન સાથે જોડાયેલા લોકો કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈ રહ્યા છે. કોંગ્રેસે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા ખેડૂતો પરના અન્યાય, મોંઘું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ જેવા મુદ્દાઓ પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જામનગર મનપાના અધિકારીને નોટિસ: અભદ્ર ભાષાનો વીડિયો વાયરલ થતાં તંત્રની લાલ આંખ
July 17, 2026 3:11 pm
જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના એક અધિકારીનો કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં અધિકારી કર્મચારીને રજા આપવાને બદલે અપશબ્દો બોલતા જોવા મળ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને તંત્ર સક્રિય થયું છે. વોટર વર્કસ વિભાગ દ્વારા સંબંધિત અધિકારીને તાત્કાલિક અસરથી નોટિસ પાઠવી લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે, જેના પગલે મનપામાં ભારે ચકચાર મચી છે.
ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહી
July 17, 2026 2:51 pm
દેશભરમાં રૂપિયા 2.86 કરોડની છેતરપિંડી કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ, ઓપરેશન મ્યુલ હંટ હેઠળ આરોપીઓની ધરપકડ, આરોપીઓ સામે દેશભરમાં 18 રાજ્યોમાં નોંધાયા હતા ગુના, ત્રણે આરોપીઓએ ખોલાવ્યા હતા 22 અકાઉન્ટ, ખોટી પેઢી બનાવી છેતરપિંડીના નાણાં ખાતામાં કરતા હતા ટ્રાન્સફર, અમદાવાદના એડ્રેસ પર ખોલી હતી બે પેઢીઓ, ઝડપાયેલા આરોપીમાં નિકુંજ પટેલ મુખ્ય માસ્ટર માઈન્ડ, ઓનલાઇન છેતરપિંડીમાં એક આરોપી હજુ ફરાર.
વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
July 17, 2026 2:42 pm
02 - Aravalli: 'ઉભો થા નહિ તો વધુ મારીશ', પ્રેમ સંબંધની શંકામાં યુવકની કરપીણ હત્યા, આ રીતે પકડાયો આરોપી!
03 - નગરચર્યા પૂર્ણ: અમદાવાદમાં 149મી રથયાત્રા સંપન્ન, ભગવાન જગન્નાથ નિજ મંદિરે પધાર્યા
04 - Morbi ના જેતપરમાં ખેડૂતોનો જંગ, વિજપોલના વળતર માટે પ્રતિક ઉપવાસનો ત્રીજો ભાગ!
05 - Gujarat ATS નો સપાટો, જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના વધુ 5 આતંકીઓ ઝડપાયા
08 - Canada Wildfires : કેનેડાના જંગલોમાં ભીષણ આગ,અમેરિકા સુધી ધુમાડો ફેલાયો,જુઓ Video
મહેસાણા રિલાયન્સ મોલ નજીક અકસ્માતમાં એક મહિલાનું મોત
July 17, 2026 2:30 pm
અકસ્માતમાં શિક્ષિકા ટ્રેલર નીચે કચડાઈ, બેફામ ટ્રેલરે નોકરીએ જતા શિક્ષિકાનો લીધો ભોગ, ટ્રેલર નીચે કચડાઈ જવાથી શિક્ષિકાનું ઘટના સ્થળે મોત, અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને ફરાર. મહેસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ફૂડ પોઇઝનની અસર
July 17, 2026 2:18 pm
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બની ઘટના, રાત્રિના ભોજન બાદ 70 થી 80 વિદ્યાર્થિનીઓને અસર, તમામ અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા, કેટલીક વિદ્યાર્થિનીઓને ગંભીર અસર થતા સુરેન્દ્રનગર ખસેડી, ફૂડ પોઇઝનિગ કયા કારણોસર થઇ તે અંગે તપાસ કરાઇ, સ્થાનિક આરોગ્ય ટીમ અને પ્રસાશને તપાસ હાથ ધરી.
અમદાવાદમા આરોગ્ય વિભાગની રેડ
July 17, 2026 2:05 pm
અમરાઈવાડી વિસ્તારમાં તપાસ, ખાદ્યપદાર્થના સેમ્પલ ફેલ આવતા ચેકીંગ શરૂ, અલગ અલગ બ્રાન્ડ ના પેક્ડ વસ્તુઓની વેચાણ કરતી હતી એજન્સી, પેકેટ તપાસમાં થયો ખુલાસો, ડાઈ નો ઉપયોગ કરી બનાવવામાં આવતી હતી વસ્તુ, કટોરી, પોપકોર્ન, ચોકલેટ સહિતની વસ્તુઓ વેચાણ થતું હતું.
ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા તોફાની બની
July 17, 2026 1:46 pm
નગરપાલિકામાં હિસાબ મુદ્દે સત્તા પક્ષે ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા સમેટી લીધી, વિપક્ષીઓએ એજન્ડા ફાડી સભામાં ઉડાવતા વિવાદ, વિપક્ષીઓ આ સામાન્ય સભાને લઈ સુરત નગર કમિશનરમાં પહોંચશે. ભરૂચ નગરપાલિકામાં ગધેડાની અડફેટે યુવકનું મોત અને દિવાલ પરતા પિતા પુત્રના મોત મુદ્દે વિવાદ સર્જાયો હતો.
ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભારે હોબાળો: વિપક્ષનો ઉગ્ર વિરોધ
July 17, 2026 1:40 pm
ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ભારે તોફાની બની હતી. સભા દરમિયાન હિસાબના મુદ્દે વિપક્ષે એજન્ડા ફાડીને હવામાં ઉડાવતા વિવાદ સર્જાયો હતો. પરિણામે સત્તા પક્ષે ગણતરીની મિનિટોમાં જ સભા સમેટી લેવી પડી હતી. આ ઉપરાંત, ગધેડાની અડફેટે યુવકનું મોત અને દીવાલ પડવાથી પિતા-પુત્રના મોતની ઘટનાએ પણ વાતાવરણને ગરમાવ્યું હતું. વિપક્ષે આ અંગે સુરત નગર કમિશનરને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વિસનગરના દઢીયાળમાં શ્વાન પર અમાનવીય અત્યાચાર: ચંપલ લઈ જતાં આંખો ફોડી નાખી
July 17, 2026 1:38 pm
મહેસાણાના વિસનગરના દઢીયાળ ગામે પશુ ક્રૂરતાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ગામમાં એક શ્વાન દ્વારા ચંપલ લઈ જવામાં આવતા, નિર્દોષ શ્વાનની આંખો ફોડી નાખવામાં આવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. સ્થાનિક મહિલા સોનલબેને આ કૃત્ય બદલ જવાબદાર સામે આકરા પ્રહાર કર્યા છે. આ નિર્દયી ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને તંત્ર તાત્કાલિક અસરથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.
અરવલ્લીના ભિલોડાના મહેરૂ ગામે પ્રેમ સંબંધની શંકામાં યુવકની પથ્થરના ઘા મારી ઘાતકી હત્યા
July 17, 2026 1:14 pm
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મહેરૂ ગામે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, પ્રેમ સંબંધની શંકા રાખીને આ ભયાનક વારદાતને અંજામ આપવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવક પર પથ્થરોના ઉપરાછાપરી ઘા મારીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ચકચારી ઘટનાનો યુવક અને આરોપીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણામાં લોહિયાળ ખેલ: કડીના મલ્હારપુરામાં ક્રિકેટ રમવા બાબતે પાડોશીઓ વચ્ચે ડખો, પતિ-પત્નીએ પાઇપ વડે કર્યો હિચકારો હુમલો
July 17, 2026 1:02 pm
મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં આવેલા મલ્હારપુરામાં ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ તકરાર થઈ હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો બિચક્યો હતો કે એક દંપતીએ એકસંપ થઈને પાડોશી પર લોખંડની પાઇપ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ફરિયાદીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી માથામાં ટાંકા લેવા પડ્યા હતા. હુમલો કર્યા બાદ પણ આરોપી પતિ-પત્નીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ચકચારી ઘટના અંગે કડી પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી હુમલાખોર દંપતી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં 149મી રથયાત્રા મહોત્સવનું સંપન્ન, ભગવાન જગન્નાથજી ભાઈ-બહેન સાથે નિજ મંદિરમાં બિરાજમાન
July 17, 2026 12:44 pm
અમદાવાદ: ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે યોજાયેલી અમદાવાદની 149મી ઐતિહાસિક રથયાત્રા મહોત્સવનું આજે ધાર્મિક વિધિઓ સાથે વિધિવત સમાપન થયું છે. નગરચર્યાએ નીકળેલા નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે વૈદિક મંત્રોચ્ચાર અને વર્ષો જૂની પરંપરા મુજબ પોતાના નિજ મંદિરમાં પરત પધાર્યા છે.
ભગવાનના મંદિર પ્રવેશ પૂર્વે વિશેષ પૂજા, મંગળ આરતી અને ભગવાનની નજર ઉતારવાની શાસ્ત્રોક્ત વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ મંગલમય ક્ષણે સમગ્ર મંદિર પરિસર "જય જગન્નાથ" ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. હજારોની સંખ્યામાં ઉમટેલા હરિભક્તોએ ભગવાનના નિજ મંદિર પ્રવેશના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન ગર્ભગૃહમાં બિરાજમાન થતાંની સાથે જ રથયાત્રાની મુખ્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ છે અને ભક્તોમાં અદભુત આનંદ અને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.
સુરતમાં ભાજપનો ભગવો: સુમુલ ડેરીની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય, 1 બેઠક અપક્ષના ફાળે
July 17, 2026 12:38 pm
હકારી ક્ષેત્રે પ્રતિષ્ઠાભરી ગણાતી સુરતની સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે એકહથ્થુ શાસન જાળવી રાખતા 16માંથી 15 બેઠકો પર શાનદાર વિજય મેળવ્યો છે, જ્યારે માત્ર એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં અગાઉ જ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, જેના કારણે બાકીની બેઠકો પર રસાકસી જોવા મળી હતી.
સૌથી વધુ ધ્યાન ખેંચનારી ઓલપાડ બેઠક પર ધનસુખ પટેલની 15 મતોથી કાંટાની ટક્કરમાં જીત થઈ છે. પરિણામો જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્ય (MLA) મુકેશ પટેલ દ્વારા તમામ વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સુમુલ ડેરી પર ફરી એકવાર ભાજપનો દબદબો કાયમ રહેતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુજરાતમાં IT ક્રાંતિ: ગિફ્ટ સિટી ખાતે HCLTech સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન, મંત્રી હર્ષભાઇ સંઘવીએ કર્યું સ્વાગત
July 17, 2026 12:21 pm
ગુજરાતના આંતરરાષ્ટ્રીય નાણાકીય હબ 'ગિફ્ટ સિટી' ખાતે HCL ટેકનોલોજીના ગ્લોબલ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી હર્ષભાઇ સંઘવીએ આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેકનોલોજી હબ અને AI લેબને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે, "જ્યાં થોડા વર્ષો પહેલા બંજર જમીન હતી, ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગિફ્ટ સિટીનું ભવ્ય સ્વપ્ન જોયું હતું, જે આજે સાકાર થઈ રહ્યું છે."
HCLTech નું ગુજરાતમાં સ્વાગત કરતા તેમણે ઉમેર્યું કે કંપનીની લોકલ જોબ ક્રિએશન અને લોકલ પાર્ટનર શોધવાની નીતિથી રાજ્યના યુવાનોને આઈટી ક્ષેત્રે ઉત્તમ તકો મળશે. HCL ની શરૂઆત હાલ 100 લોકોની ટીમ સાથે થઈ રહી છે, જેમાં મોટાભાગના પ્રોફેશનલ્સ ગુજરાત 'કમ બેક હોમ' કરી રહ્યા છે. આ સેન્ટર શરૂ થતાં ગુજરાતમાં આઈટી વર્કફોર્સ મજબૂત બનશે અને રોજગારીના નવા દ્વાર ખુલશે.
વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
July 17, 2026 11:40 am
01 - Morbi ના જેતપરમાં ખેડૂતોનો જંગ, વિજપોલના વળતર માટે પ્રતિક ઉપવાસનો ત્રીજો ભાગ!
02 - Leopard in Una: રહેણાંક સોસાયટીમાં 2 દીપડાની લટારથી લોકોમાં ફફડાટ, CCTV કેમેરામાં દ્રશ્યો કેદ
03 - Gujarat ATS નો સપાટો, જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના વધુ 5 આતંકીઓ ઝડપાયા
04 - મહેસાણામાં સગા લોહીએ જ કર્યો વિશ્વાસઘાત: પત્ની અને ભત્રીજાએ ભેગા મળી પતિને કાર નીચે કચડ્યો
06 - Dahod માં માતાએ બે પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું, 2 ના મૃતદેહ મળ્યા અન્ય એકની શોધખોળ ચાલુ
08 - Balochistan Attack : બલૂચ સેનાએ પાકિસ્તાની સેના પર કર્યો મોટો હુમલો, 45 સૈનિકના મોત
09 - Petrol Diesel Price : ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા,જાણો ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
10 - Today Gold Rate : આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો,જાણો 10 ગ્રામ સોનાનો નવો રેટ
વિજપોલના યોગ્ય વળતર માટે જેતપરમાં સતત સંઘર્ષ
July 17, 2026 11:31 am
રાજ્ય સરકારના પરિપત્ર સામે નારાજગી વ્યક્ત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેડૂતોની જમીન આ દેશની કરોડરજ્જુ છે, અને તેના પર થતા કોઈપણ પ્રોજેક્ટમાં ખેડૂતોને વિશ્વાસમાં લેવા જોઈએ અને તેમને યોગ્ય આર્થિક વળતર ચૂકવવું એ સરકારની નૈતિક જવાબદારી છે. હાલમાં જેતપરની છાવણીમાં ખેડૂતોના સમર્થનમાં એકતા દેખાઈ રહી છે. આવનારા દિવસોમાં જો સરકાર કોઈ સકારાત્મક નિર્ણય નહીં લે, તો આ આંદોલન વધુ વ્યાપક બનશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રશાસન અને ખેડૂતો વચ્ચેની આ ખેંચતાણ હવે એક મહત્વના તબક્કે પહોંચી છે, જેના પર સમગ્ર જિલ્લાની નજર છે.
ખેડૂતોનું મક્કમ વલણ
July 17, 2026 11:31 am
જેતપર ખાતેની આ ઉપવાસ છાવણી હવે ખેડૂત એકતાનું પ્રતીક બની ગઈ છે. અહીં સતત ખેડૂતોની અવરજવર અને વિવિધ સંગઠનો દ્વારા આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે. ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી સરકાર તેમની માગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને યોગ્ય ઠરાવ નહીં કરે, ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
Morbi ના જેતપરમાં ખેડૂતોનો જંગ, વિજપોલના વળતર માટે પ્રતિક ઉપવાસનો ત્રીજો ભાગ!
July 17, 2026 11:31 am
જેતપર ખાતે ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર અને નિર્ણાયક વળાંક પર પહોંચ્યું છે. 'જેતપર આંદોલન પાર્ટ-૩' હેઠળ ખેડૂતોએ પોતાની માગણીઓ સંતોષવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. આ આંદોલનમાં હળવદ તાલુકાના નવાં અને જુનાં દેવળીયા ગામના 30 થી વધુ ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેસીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર વિવાદ વિજપોલ (ઈલેક્ટ્રિક પોલ) માટેના યોગ્ય વળતરની માગ સાથે જોડાયેલો છે. ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે, તેમની જમીન પરથી પસાર થતી વીજ લાઈનો અને ત્યાં ઉભા કરવામાં આવેલા વીજપોલને કારણે ખેતીલાયક જમીનને જે નુકસાન થાય છે, તેનું જે વળતર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે અત્યંત અપૂરતું છે. સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે, તેને ખેડૂતોએ સદંતર નામંજૂર કર્યો છે. ખેડૂતોની માગ છે કે જમીનની બજાર કિંમત અને પાકને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય અને વ્યાજબી વળતર આપવામાં આવે.
રાજકોટ રૂરલ LCB મોટી માત્રામાં ઇંગલિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
July 17, 2026 11:10 am
શાપર-વેરાવળમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક LCBએ ઝડપી પાડ્યો. ટ્રકમાંથી 400થી વધુ પેટી ઈંગ્લિશ દારૂ ઝડપાયો, શાપરથી અન્ય જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા પહેલા જ ઝડપાયો દારૂ. દારૂનો મોટો જથ્થો કોને મંગાવ્યો તેને લઈને તાપસ શરૂ કરવામાં આવી.
PM મોદીએ અમદાવાદ પોલીસની કામગીરીની કરી પ્રશંસા
July 17, 2026 10:51 am
હર્ષભાઇ સંઘવીએ કરેલી પોસ્ટને PM મોદીએ કરી રિ-પોસ્ટ, રથયાત્રા રૂટ પર સ્વચ્છતા અભિયાન ચાલવવા બદલ પ્રશંસા, રથયાત્રા રૂટને સ્વચ્છ કરી પોલીસે ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું, માનવીય અને સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી.
આતંકીઓની નાપાક યોજના પર પાણી
July 17, 2026 10:22 am
ગુજરાત સરકારે હંમેશા રાજ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે, અને ATS ની આ કાર્યવાહી તે સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવે છે. હાલમાં આ પાંચેય આરોપીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઓપરેશનથી અન્ય આતંકી મોડ્યુલ અને તેમના સ્થાનિક મદદગારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાત એટીએસની આ ટીમે સાબિત કરી દીધું છે કે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનાર કોઈપણ વ્યક્તિ રાજ્યના કાયદાના લાંબા હાથથી બચી શકશે નહીં.
ગુજરાતની સુરક્ષા વધુ મજબૂત
July 17, 2026 10:21 am
તપાસ દરમિયાન ATS દ્વારા મોટી માત્રામાં સાહિત્ય, ડિજિટલ ઉપકરણો અને અન્ય શંકાસ્પદ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ જપ્તી બાદ ATS ની ટીમે આ સમગ્ર નેટવર્કનો મૂળ સુધી જઈને તપાસ શરૂ કરી છે. ગુજરાત ATS ની આ સફળ કામગીરીને કારણે એક મોટું જોખમ ટળી ગયું છે. આ આતંકીઓ ગુજરાતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ રાજ્ય પોલીસ અને ATS ની સમયસૂચકતાને કારણે તેઓ એજન્સીઓની ઝપટમાં આવી ગયા.
Gujarat ATS નો સપાટો, જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના વધુ 5 આતંકીઓ ઝડપાયા
July 17, 2026 10:21 am
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ફરી એકવાર પોતાની સક્રિયતા અને આધુનિક તપાસ પદ્ધતિનો પુરાવો આપતા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે. રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડી રહેલા 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આ આતંકીઓ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યા હતા. Gujarat ATS ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લાંબા સમયથી ચાલી રહેલી તપાસ અને ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ પાંચેય આરોપીઓ કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સીધા કે આડકતરી રીતે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓની અટકાયત બાદ જ્યારે તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. રિમાન્ડ દરમિયાન તેમણે આતંકી સંગઠનના નેટવર્ક, તેમની કાર્યપદ્ધતિ અને આગામી સમયમાં થનારા સંભવિત ખતરાઓ વિશે મહત્વની વિગતો ઓકી છે.
આ કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો
July 17, 2026 10:02 am
સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનો અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા કોર્ટે આરોપી કલ્પેશ મેરને કસૂરવાર ઠેરવ્યો હતો. ન્યાયાધીશશ્રીએ આરોપીને આજીવન કેદની સજા અને દંડની સજાનો હુકમ કર્યો છે. આ ચુકાદો એવા લોકો માટે એક લાલબત્તી સમાન છે જેઓ નાની બાબતો કે અહમમાં આવીને કાયદો હાથમાં લઈને કોઈનો જીવ લેતા અચકાતા નથી. મૃતક ધરમશીભાઈના પરિવારજનોએ કોર્ટના આ ચુકાદાને આવકારતા ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો છે.
નોકરીની ખાર રાખીને હત્યા કરી હતી
July 17, 2026 10:02 am
પોલીસ તપાસમાં આ હત્યા પાછળનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું હતું. આરોપી કલ્પેશ મેર લાંબા સમયથી મૃતક ધરમશીભાઈ પાસે નોકરી માટે રજૂઆત કરી રહ્યો હતો. પરંતુ, કોઈ કારણસર ધરમશીભાઈ તેને નોકરી અપાવી શક્યા ન હતા. આ વાતનો મનમાં ખાર રાખીને કલ્પેશ મેરે ક્રૂરતાપૂર્વક તેમની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
Dhandhuka હોસ્પિટલના પૂર્વ ટ્રસ્ટી ધરમશી પટેલની હત્યાનો કેસ, આરોપી કલ્પેશ મેરને કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા
July 17, 2026 10:00 am
બોટાદ જિલ્લાની સેશન્સ કોર્ટે વર્ષ 2024 માં બનેલી એક ચકચારી હત્યાના કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. બરવાળા તાલુકાના ભીમનાથ ગામના વતની અને ધંધુકાની RMS હોસ્પિટલના પૂર્વ ટ્રસ્ટી ધરમશીભાઈ પટેલની હત્યાના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી ન્યાયતંત્રમાં વિશ્વાસ અને સમાજમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો 22 ઓક્ટોબર 2024 ના રોજ ધરમશીભાઈ પટેલ પોતાના ભીમનાથ ગામના ઘરની બહાર હતા, ત્યારે પાડોશમાં જ રહેતા કલ્પેશ સવજીભાઈ મેરે તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થતાં ધરમશીભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાવી દીધી હતી.
પડધરીમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
July 17, 2026 9:30 am
જોકે, ભારે વરસાદને પગલે ક્યાંક ક્યાંક માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ એકંદરે, રાજ્યભરમાં થયેલા આ વરસાદે ચોમાસાના મિજાજને મજબૂત કર્યો છે. ખેડૂતોએ પાક વાવણીની કામગીરીને વેગ આપ્યો છે. શહેરી વિસ્તારોમાં પણ લોકો વરસાદી વાતાવરણની મજા માણી રહ્યા છે. આ પ્રકારના વરસાદી માહોલથી રાજ્યના જળસ્તરમાં વધારો થવાની પણ પૂરેપૂરી શક્યતા છે.
મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ
July 17, 2026 9:29 am
વરસાદના આ રાઉન્ડને કારણે જળાશયો અને તળાવોમાં પણ પાણીની આવક શરૂ થઈ છે, જે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી થોડા દિવસો સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Weather Update : ગુજરાત પર મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસ્યા મેઘરાજા
July 17, 2026 9:29 am
રાજ્યમાં ચોમાસાના આગમન બાદ મેઘરાજા સતત પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતના 112 તાલુકાઓમાં મેઘવર્ષા થઈ છે, જેના કારણે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોના મુખ પર સ્મિત જોવા મળી રહ્યું છે. સૌથી વધુ વરસાદ રાજકોટના પડધરી તાલુકામાં નોંધાયો છે, જ્યાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત સુરતના કામરેજ અને કચ્છના રાપર તાલુકામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 6 તાલુકાઓ એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેનાથી સમગ્ર વાતાવરણમાં મનમોહક ઠંડક પ્રસરી ગઈ છે.
સંપૂર્ણ હાઇડ્રોજનથી સંચાલિત સૌપ્રથમ ટ્રેન દેશને મળશે
July 17, 2026 9:21 am
PM મોદી હરિયાણાના જીંદથી ટ્રેનને લીલી ઝંડી બતાવશે, હાઇડ્રોજન ટેક્નોલોજી ધરાવતો દેશ બનશે ભારત, આ ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે દોડશે, 89 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાકમાં પૂર્ણ કરશે. હાઇડ્રોજન સંચાલિત ટ્રેન 12 સ્ટેશનો પર રોકાશે, ટ્રેનની મહત્તમ સ્પીડ ટેસ્ટિંગ દરમિયાન 120 કિમી નોધાઇ, હાઇડ્રોજન ટ્રેન 2600 મુસાફરોની ક્ષમતા ધરાવે છે, 112 કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો
જીંદ રેલવે સ્ટેશન પર ગેસ સ્ટોરેજ ટાંકી સ્થાપિત કરાઇ, હાઇડ્રોજન કમ્પ્રેશન સિસ્ટમથી ટ્રેનમાં ગેસ ફીલ કરાશે, આ ટ્રેન સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત અને ઇકો-ફ્રેન્ડલી છે.
પ્રજાના પૈસા વેડફાશે તો સહન નહીં થાય
July 17, 2026 9:05 am
સાંસદ સુતરીયા એ કેન્દ્ર સરકાર અને મોદી સરકાર ગુજરાત અને દેશના ટનાટન રેલવે સ્ટેશનો બનાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરતી હોય અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારી કારણે પ્રજાના પૈસા વેડફાય છે તે ક્યારેય સ્વીકારી લેવામાં કે સહન કરવામાં નહીં આવે. કેન્દ્ર સરકાર રેલવેના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ મામલે સાંસદ ભરત સુતરીયાએ કડક વલણ અપનાવ્યું છે. હવે જવાબદાર એજન્સી અને સંબંધિત અધિકારીઓ સામે વાસ્તવમાં શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.
કામ તોડીને નવું કરવા આદેશ કર્યો સાંસદે
July 17, 2026 9:05 am
જીરા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નું કામ થોડા મહિના પહેલા કરવામાં આવ્યું છે. હાલમાં કામગીરી નબળી થઇ હોવાની સાંસદ સુતરીયાએ વાત કરી હતી 6 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોમાં આ પ્લેટફોર્મનું કામ કરવામાં આવેલ છે પરંતુ પ્લેટફોર્મમાં થયેલી નબળી કામગીરી સાંસદની નજરે ચઢતાં સાંસદ ભરત સુતરીયાએ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની તેમજ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે. જે નબળું કામ થયું છે એને તોડી નવું કામ કરવાની પણ સૂચના અધિકારીને આપી છે.
Amreli ના લોકપ્રતિનિધિની સક્રિયતા, જીરા રેલવે સ્ટેશન પર નબળી ગુણવત્તાનું કામ પકડાતા એજન્સી બ્લેકલિસ્ટ કરવા આદેશ
July 17, 2026 9:05 am
Amreli જિલ્લાના સાવરકુંડલાના જીરા રેલવે સ્ટેશન પર થોડા મહિના પહેલાં બનેલા પ્લેટફોર્મમાં નબળી ગુણવત્તાની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા હતા અને સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરીયાને લેખિત રજૂઆત કરતાં સાંસદ જાતે જ સ્થળ પર પહોંચી પ્લેટફોર્મનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન નબળી કામગીરી સામે આવતાં સંબંધિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવા તેમજ જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.
માતા-પુત્રીના મોતથી ગામમાં શોકનું મોજું
July 17, 2026 8:42 am
એક યુવાન માતાએ બે નિષ્પાપ બાળકીઓ સાથે આ પ્રકારનું અંતિમ પગલું ભરતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા છે. શું કોઈ ઘરકંકાસ કે અન્ય કોઈ મજબૂરીને કારણે આ પરિણીતાએ આટલું મોટું પગલું ભર્યું? તે તપાસનો વિષય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સામાજિક માનસિક સ્વાસ્થ્ય અને કૌટુંબિક સંબંધો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ગામમાં આ ઘટના બાદ ગમગીની છવાઈ ગઈ છે અને દરેક વ્યક્તિ આ કરુણ બનાવથી વ્યથિત છે.
ઝાલોદના અનવરપુરામાં કરુણ ઘટના
July 17, 2026 8:42 am
જ્યારે બીજી બાળકીની શોધખોળ માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પ્રયાસો ચાલુ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી આ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં પારિવારિક કારણો જવાબદાર હોય શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Dahod માં માતાએ બે પુત્રીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, 2 ના મૃતદેહ મળ્યા અન્ય એકની શોધખોળ ચાલુ
July 17, 2026 8:42 am
Dahod જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 23 વર્ષીય પરિણીતાએ પોતાની બે માસૂમ દીકરીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 23 વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ પોતાની 3 વર્ષની દીકરી પ્રાચી અને દોઢ વર્ષની દીકરી વંશી સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. પરિવાર અને ગ્રામજનો દ્વારા ઘટનાની જાણ ઝાલોદ પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા, તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કૂવામાંથી ભારે જહેમત બાદ સુનીતાબેન અને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યા છે.
NEET UG 2026 પરિણામ જાહેર
July 17, 2026 8:13 am
NEET UG માં 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા ક્વોલિફાઈ, 715 માર્ક્સ સાથે આર્યન ગુપ્તા (પંજાબ) અને પંશુલ બંસલ (હરિયાણા) એ સંયુક્ત ટોપર બન્યા, વિધાર્થીનીઓની ટકાવારી વિદ્યાર્થીઓ કરતા વધુ 58% વિદ્યાર્થીનીઓ થઈ ક્વોલિફાઈ, દેશના 20 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, દેશના 5,440 કેન્દ્રો અને વિદેશના 14 શહેરોમાં યોજાઈ હતી પરીક્ષા, 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા જ્યારે 138 વિદ્યાર્થીઓએ 690થી વધુ સ્કોર કર્યો, 1492 વિદ્યાર્થીઓએ 650 થી વધુ માર્ક મેળવ્યા.
સામાન્ય વરસાદમાં ભૂવા પડે છે!
July 17, 2026 8:10 am
આ ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થચિહ્ન ઉભા કર્યા છે. રસ્તાઓ બનાવતી વખતે કરવામાં આવતા કામોમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવવામાં આવતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વાહન ચાલકોની સુરક્ષા સાથે આ પ્રકારની રમત રમવી એ જોખમી છે. જો સત્વરે યોગ્ય તપાસ કરીને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આવી વધુ દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
કોર્પોરેશન આ ભૂવો ઝડપથી પૂરે તેવી સ્થાનિકોની માગ
July 17, 2026 8:10 am
આ ઘટના બાદ રસ્તા પર લાંબી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વરસાદી માહોલ કે ભૂગર્ભ ગટર લાઈનની ખામીને કારણે આ પ્રકારના ખાડા પડવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. તંત્ર દ્વારા કરવામાં આવતા કામોની ગુણવત્તા પર આ એક મોટો સવાલ છે.
Ahmedabad : રાજપથ રંગોલી રોડ પર ભૂવો પડતા કાર ફસાઈ, સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ વ્યકત કર્યો
July 17, 2026 8:10 am
Ahmedabad શહેરના વિકસિત અને પોશ ગણાતા વિસ્તારમાં રસ્તાઓ પર પડેલા અચાનક ભૂવા ની સમસ્યા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં શહેરના જાણીતા રાજપથ રંગોલી રોડ પર એક એવી ઘટના સામે આવી છે, જેણે વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. ભરચક રોડ પર અચાનક રસ્તો બેસી જતાં એક કાર ચાલક અંદર ફસાઈ ગયો હતો, જેનું નસીબ જોર કરતું હતું કે તે હેમખેમ બચી ગયો હતો.
રાજપથ રંગોલી રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર અચાનક રોડ પર પડેલા મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. રસ્તો અચાનક બેસી જતાં કારનું આગળનું ટાયર અને એન્જિનનો ભાગ ખાડામાં ફસાઈ ગયો હતો. જો ખાડો વધુ ઊંડો હોત અથવા રસ્તાની સ્થિતિ વધારે ખરાબ હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સદનસીબે કાર ચાલકને કોઈ મોટી ઈજા પહોંચી ન હતી અને સમયસર તે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. જોકે, આ ઘટનાને કારણે આસપાસના વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ટ્રાફિક પોલીસ સ્ટેશન નજીક બની ઘટના
July 17, 2026 7:50 am
સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, રાજકોટ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ ટ્રક કેવી રીતે શહેરમાં ઘૂસી આવ્યું? વહીવટી તંત્રના કડક નિયમો હોવા છતાં આવા બેફામ ટ્રક ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. અગાઉ પિતા ગુમાવનાર સમીરે હવે માતાને પણ ગુમાવતા તે એકદમ નિરાધાર બની ગયો છે. આ કરુણ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર ટ્રક ચાલક સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે. આ અકસ્માત એ વાતની સાબિતી છે કે, ટ્રાફિક નિયમોના અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી ગઈ છે, જેના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે.
અકસ્માતમાં 2 લોકોના મોત
July 17, 2026 7:50 am
પુત્ર સમીરને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમીરના કિસ્સામાં દુઃખની વાત એ છે કે, તેણે અગાઉ જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી, અને હવે આ અકસ્માતે તેના માથા પરથી માતાની મમતા પણ છીનવી લીધી. આ જ બનાવમાં સુમિતભાઈ કોઠિયા નામના અન્ય એક વ્યક્તિ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
Rajkot માં કાળમુખા ટ્રકનો કહેર, પુત્રની નજર સામે માતાનું મોત
July 17, 2026 7:49 am
Rajkot માં ભારે વાહનોના બેફામ દોડતા પૈડાંએ ફરી એકવાર બે પરિવારોની ખુશીઓ છીનવી લીધી છે. જામટાવાર પાસે બનેલી આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય અકસ્માતમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિએ દમ તોડતા કુલ બે લોકોના મોત નિપજ્યા છે. સૈયાનાઝબેન દલ નામની મહિલા પોતાના પુત્ર સમીર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. સમીર પોતાની માતાને સિવિલ હોસ્પિટલ ખાતે નોકરી પર મૂકવા જઈ રહ્યો હતો. હજુ તેઓ નોકરીના સ્થળે પહોંચે તે પહેલાં જ ટ્રાફિક પોલીસ સ્ટેશનની નજીક એક બેફામ ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સૈયાનાઝબેન દલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસે તપાસ માટે આસપાસના સીસીટીવી પણ લીધા
July 17, 2026 7:22 am
ઘટના સ્થળે પુરાવા એકત્ર કરવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. FSL ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. આ ફાયરિંગમાં કયા હથિયારનો ઉપયોગ થયો અને આ પગલું ભરવા પાછળનું સાચું કારણ શું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં પોલીસ યુવકના સંબંધીઓ અને આસપાસના લોકોના નિવેદનો પણ નોંધ્યા છે. આ ઘટના પાછળ કોઈ અન્ય વ્યક્તિનો હાથ છે કે કેમ, તે અંગે પણ પોલીસ દ્વારા સતત પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે.
હત્યાનો પ્રયાસ કે આપઘાતનો પ્રયાસ!
July 17, 2026 7:22 am
ઘટનાની જાણ થતા જ મંજુસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આ સમગ્ર મામલો આત્મહત્યાના પ્રયાસનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Vadodara : સાવલીના મંજુસર નજીક બની ફાયરિંગ ઘટના, 22 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો
July 17, 2026 7:21 am
સાવલી તાલુકાના મંજુસર નજીક આવેલ લામડાપુરા કેનાલ પાસે ફાયરિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 22 વર્ષીય પરપ્રાંતીય યુવક રણજીતભાઈ ચૌધરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટનાસ્થળે ફાયરિંગ થયાના અવાજ બાદ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા તાત્કાલિક 108 ઈમરજન્સી સેવા દ્વારા તેમને સારવાર અર્થે વડોદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
એરપોર્ટ તંત્રએ રાહતનો શ્વાસ લીધો
July 17, 2026 6:59 am
એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, વિમાન આ સંકેત આપ્યા બાદ સુરત એરપોર્ટના સંપર્ક વિસ્તારમાંથી આગળ નીકળી ગયું હતું. આથી, સુરત એરપોર્ટ પરની ઈમરજન્સી સ્થિતિ પાછી ખેંચી લેવામાં આવી હતી અને તમામ કામગીરી ફરી સામાન્ય થઈ ગઈ હતી. ક્ષણભર માટે ફેલાયેલી ચિંતા બાદ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જાહેર થતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અઝરબૈઝાનના વિમાનનો 'SOS' કોલ હતો
July 17, 2026 6:59 am
ચેતવણી મળતાની સાથે જ સુરત એરપોર્ટ પર ઈમરજન્સી પ્રોટોકોલ સક્રિય કરી દેવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીના ઈમરજન્સી પ્લાન અને SOP (Standard Operating Procedure) મુજબ, ફાયર ફાઈટિંગની ટીમો, મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સને રન-વે પાસે તૈનાત કરી દેવામાં આવી હતી, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળી શકાય. જોકે, થોડા સમય બાદ સ્પષ્ટ થયું હતું કે સંકટગ્રસ્ત વિમાન સુરત એરપોર્ટ પર લેન્ડ થવાનું નથી.
Surat એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ બાદ સ્થિતિ સામાન્ય, સંકટગ્રસ્ત વિમાન હોવાની ચેતવણી મળતા એજન્સીઓ થઈ એલર્ટ
July 17, 2026 6:58 am
દમણ નજીક વિમાન સંકટની ચેતવણી મળતા સુરત એરપોર્ટ પર એલર્ટ જાહેર થયું હતુ. અઝરબૈઝાનના વિમાનમાંથી છૂટ્યું હતુ ડિસ્ટ્રેસ સિગ્નલ અને સંકટગ્રસ્ત વિમાન હોવાની ચેતવણી મળતા એજન્સીઓ થઈ એલર્ટ. સંકટગ્રસ્ત વિમાન સુરત એરપોર્ટ પર ન આવ્યું અને સ્થિતિ નિયંત્રણમાં છે. વિમાન આગળ નીકળી ગયું હોવાની વ્યક્ત કરાઈ શક્યતા. ગઈકાલે દમણ નજીક એક વિમાન દ્વારા ડિસ્ટ્રેસ સિગ્નલ (SOS) મોકલવામાં આવતા સુરત એરપોર્ટ પર તંત્ર દ્વારા તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચાવી દીધી હતી. આ વિમાન અઝરબૈઝાનનું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વિમાન દમણના આકાશમાં હતું ત્યારે કોઈ ટેકનિકલ ખામી અથવા અન્ય કારણોસર તેણે કટોકટીનો સંકેત આપતું 'ડિસ્ટ્રેસ સિગ્નલ' છોડ્યું હતું. સુરત એરપોર્ટ નજીક હોવાથી, સુરક્ષા પ્રોટોકોલ મુજબ સુરત એરપોર્ટના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી.
PM મોદી ગોધરા રેલવે સ્ટેશનના નવીનીકરણનું ઇ-લોકાર્પણ કરશે
July 17, 2026 6:41 am
PM મોદી વર્ચ્યુઅલ માધ્યમથી નવીનીકરણનું ઉદ્ઘાટન કરશે, 7 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાયો, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કાયાકલ્પ કરાયો, ગોધરા સ્ટેશન પર નવું બીજું પ્રવેશદ્વાર બન્યું, નવા બિલ્ડિંગમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ મળશે.
રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશનના નવીનીકરણનું લોકાર્પણ
July 17, 2026 6:40 am
PM મોદી વર્ચ્યુઅલ માધ્યમથી નવીનીકરણનું લોકાર્પણ કરશે, રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, નવીનીકરણ બાદ મુસાફરોને આધુનિક સુવિધાઓ મળશે.
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન
July 17, 2026 6:40 am
ગિફ્ટ સિટીમાં HCLTechના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી હાજર રહેશે.
સુમુલ ડેરીની 9 બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ
July 17, 2026 6:40 am
સુમુલ ડેરી ભવન ખાતે સવારે 11 વાગ્યે મતગણતરી, બપોરે 12 થી 1 વાગ્યા વચ્ચે પરિણામ જાહેર થશે, ભાજપ પ્રેરિત પેનલ 7 બેઠકો બિનહરીફ થઇ હતી, 9 બેઠકો પર કુલ 21 ઉમેદવારો મેદાનમાં, પરિણામ બાદ સુમુલ ડેરીના સત્તાનું ચિત્ર સ્પષ્ટ થશે.
રાજ્યમાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ
July 17, 2026 6:39 am
રાજકોટના પડધરીમાં અઢી ઇંચ વરસાદ, કામરેજ અને રાપરમાં 2-2 ઇંચ વરસાદ, 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, અન્ય તાલુકામાં અડધાથી 1 ઇંચ વરસાદ.

