Mehsana માં FISS ની મીટિંગમાં મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ, બજાર પર કેવી થશે અસર ?
- મહેસાણા (Mehsana) મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ
- દાંતીવાડા યુનિવર્સિટી (Dantiwada University)ના સર્વેમાં ચોંકાવનારા આંકડા
- ગયા વર્ષ કરતા તમામ મસાલા પાકોમાં ઘટાડો
- FISS એન્યુઅલ મીટિંગમાં મસાલા ઉત્પાદન ઘટાડાના આંકડા
Mehsana: મસાલાના ગઢ ગણાતા ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા (Mehsana) ના ખેડૂતો તેમજ વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસીસ સ્ટેકહોલ્ડર્સ (FISS) ની વાર્ષિક ક્રોપ મીટમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, આ વર્ષે મુખ્ય મસાલા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો (Decrease in Spices Production) થવાનો અંદાજ છે. દાંતીવાડા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (Dantiwada Agricultural University) દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
Mehsana માં FISS ની વાર્ષિક બેઠકમાં ઉત્પાદનના આંકડા જાહેર
ગઈકાલે યોજાયેલી FISS ની એન્યુઅલ મીટિંગમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં એક્સપર્ટ ટ્રેડર્સ અને કૃષિ નિષ્ણાતોએ મસાલા પાકોના ભાવિ અને ટેકનોલોજી પર ચર્ચા કરી હતી. સર્વે મુજબ, વાતાવરણમાં ફેરફાર અને અન્ય ટેકનિકલ કારણોસર તમામ મુખ્ય મસાલા પાકોમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.
કયા પાકમાં કેટલો ઘટાડો?
જીરું (Cumin Seeds):જીરુંના ઉત્પાદનમાં 5% નો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે અંદાજે 93 લાખ બોરી ઉત્પાદન થવાની શક્યતા છે.
વરિયાળી (Fennel Seeds): વરિયાળીમાં 10% નો ઘટાડો જોવા મળ્યો છે, જેનું ઉત્પાદન 18 લાખ બોરી રહેવાનો અંદાજ છે.
ધાણા (Coriander): ધાણાના પાકને સૌથી મોટો ફટકો પડ્યો છે. તેમાં 13% નો મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે કુલ ઉત્પાદન 96 લાખ બોરી આસપાસ રહેશે.
મેથી (Fenugreek): મેથીના ઉત્પાદનમાં પણ 11% નો ઘટાડો થયો છે, જે આશરે 15 લાખ બોરી રહેશે.
બજાર પર અસર અને અછતનો ખતરો
FISS ના ચેરમેન તેજસ ગાંધીએ જણાવ્યું હતું કે, ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે આગામી સમયમાં મસાલાના ભાવમાં તેજી (Price Hike in Spices) જોવા મળી શકે છે. ગુજરાત અને રાજસ્થાનમાં મસાલા પાકોની અછત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે, જેની સીધી અસર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો પર પડશે.
આ પણ વાંચો : Bhavnagar: Bhaguda Mogaldham ના દર્શને સંત Lalbapu! Studio on Wheels ના માધ્યમથી લોકોને કરી ખાસ અપીલ


