Kalol News: માતા, પુત્રી અને દોહિત્રીનો આપઘાત, શું ભાભી ત્રાસ આપતી હતી?
Kalol News: મહેસાણાના તળેટી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મહેસાણાના પ્રજાપતિ પરિવારની માતા, તેમની પુત્રી અને 2 વર્ષની માસૂમ દોહિત્રી સાથે કલોલના પિયજ ગામ નજીકની કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
ત્રણેયની લાશ કેનાલમાંથી મળી
મૃતકોમાં સંગીતાબેન ગોરધનભાઈ પ્રજાપતિ, તેમની પુત્રી નેહા અને નેહાની 2 વર્ષની દીકરીનો સમાવેશ થાય છે. આજે સવારે ત્રણેયની લાશ કેનાલમાંથી મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ એક સુસાઈડ કેસ હોવાનું સામે આવ્યું છે. કલોલ પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મૃતકોના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં ચોંકાવનારા ખુલાસા
આ કરુણ ઘટના પાછળનું મુખ્ય કારણ મૃતક નેહાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સામે આવ્યું છે. આત્મહત્યા પૂર્વે મૂકવામાં આવેલી પોસ્ટમાં નેહાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે લખ્યું છે કે, તે તેની ભાભીના સતત માનસિક ત્રાસથી કંટાળીને આ અંતિમ પગલું ભરી રહી છે. નેહાએ જણાવ્યું હતું કે, ભાભીએ તેના ભાઈને માતા અને બહેન વિરુદ્ધ કરી દીધા હતા, એટલું જ નહીં, સાસુને પણ તેમની વિરુદ્ધ ભડકાવવાનું કામ કર્યું હતું.
કોને ગણાવ્યા નિર્દોષ?
પોસ્ટમાં નેહાએ ખૂબ જ ભાવુક લખ્યું કે દીપક, અજય મામા કે તેના પિતા ગોરધનભાઈનો કોઈ જ વાંક નથી. તેણે પરિવારના આ સભ્યોને નિર્દોષ ગણાવીને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન આપવા વિનંતી કરી છે. હાલમાં કલોલ પોલીસે મૃતદેહોનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારના અન્ય સભ્યોના નિવેદનનો લેવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર તળેટી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચોઃ Rajkot News: 8 વર્ષ જૂના હત્યા કેસનો પર્દાફાશ, ઠેકેદારની ક્રૂરતાનો ફૂટ્યો ભાંડો, ઘટના જાણી હચમચી જશો


