છેલ્લા 15 વર્ષથી ગામમાં આ પરંપરા ચાલી રહી છે
છેલ્લા 15 વર્ષથી ગામમાં આ પરંપરા ચાલી રહી છે. તેમજ બીમાર વ્યક્તિ માટે ટિફિન સર્વિસ પણ ઉપલબ્ધ છે. ગામમાં સામૂહિક ભોજન લોકોને આનંદ આપે છે. આ પહેલ ગામના લોકોને પરસ્પર જોડે છે. આ પહેલથી પારિવારિક ભાવનાને પ્રોત્સાહન મળે છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ ચાંદણકી (Chandanki) ગામ વડીલોની દેખભાળ કરવાની ચિંતામાંથી મુક્ત રહી અન્ય ગામોને પ્રેરણા પુરી પાડી રહ્યું છે. ચાંદણકી ગામના તમામ વૃધ્ધો આજે પણ એક જ રસોડે જમી સમાજને નવી રાહ ચિન્ધી રહયા છે. આ ચાંદણકી ગામના વડીલો માટેની આ અનોખી વ્યવસ્થા દેશ-વિદેશમાં ધંધા-રોજગાર માટે સ્થાઈ થયેલા તેમના જ સંતાનો દ્વારા કરવામાં આવી રહી છે.
તમામ વડીલો એક જ રસોડે જમે તેવી અનોખી વ્યવસ્થા
મહેસાણા જિલ્લામાં આવેલ તીર્થધામ બહુચરાજીથી પાંચ કિલોમીટર અંતરે આવેલ ચાંદણકી (Chandanki) ગામમાં લોકો વસવાટ કરે છે. મોટાભાગના લોકોના સંતાનો ધંધા-રોજગાર અર્થે દેશ-વિદેશમાં વસવાટ કરે છે. વતન તેમજ વૃધ્ધ મા-બાપથી દુર રહેતા સંતાનોને ઢળતી ઉંમરમાં ભોજન બનાવવાની ચિંતા ન રહે તે માટે વ્યવસ્થા કરાઇ છે. ગામના વડીલોને જમવાની ચિંતામાંથી મુક્ત કરવા તેમના સંતાનોએ એકસંપ થઈ ગામમાં જ તમામ વડીલો એક જ રસોડે જમે તેવી અનોખી વ્યવસ્થા ઉભી કરી દીધી.
ભોજન પિરસવાની સેવામાં કેટલાક વડીલો પણ જોડાય છે
આજે પણ ચાંદણકી ગામમાં સવારના અગ્યાર વાગે ઘંટનાદ થતાં જ તમામ વૃધ્ધો ઘરના દરવાજા બંધ કરી ગામના પ્રવેશદ્વારની ડાબી બાજુએ આવેલ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જાય છે. મંદિર પરિસરમાં થોડી જ વારમાં ટેબલ-ખુરશી ગોઠવાઈ જાય છે અને વડીલોને સન્માનભેર ભોજન પિરસવાનું શરૂ થઈ જાય છે. આ સમયે મંદિર પરિસરમાં અનોખુ વાતાવરણ જોવા મળે છે. જેમાં ગામના વડીલો ભોજન જમતા જાય છે અને એક બીજા સાથે સુખ-દુ:ખની વાતો કરતાં જાય છે. આ ભોજન પિરસવાની સેવામાં કેટલાક વડીલો પણ જોડાય છે.
અનોખી ભોજન વ્યવસ્થા કરનાર સંતાનોથી માતાઓ તેમજ વડીલો સહિત ગ્રામજનો ખુશ
બહુચરાજી તાલુકાના ચાંદણકી ગામમાં ધંધા-રોજગાર માટે પોતાનાથી દુર રહેતા હોવા છતાં અનોખી ભોજન વ્યવસ્થા કરનાર સંતાનોથી માતાઓ તેમજ વડીલો સહિત ગ્રામજનો ખુશ છે. દેશ-વિદેશમાં વસવાટ કરતાં સંતાનો થકી ઢળતી ઉંમરે પહોંચેલા ચાંદણકી ગામના તમામ વડીલો દરરોજ બે ટાઈમ સન્માનભેર ભોજન મેળવી રહ્યા છે. ગામમાં એક જ રસોડે તમામ વડિલોને જમતા જોઈને એવુ લાગે છે કે તેઓ જાણે એક જ પરિવારના સભ્યો હોય! અનેક વિશેષતાના કારણે ચાંદણકી ગામને નિર્મળ અને તીર્થગામ સહિતના એવોર્ડ મળી ચુક્યા છે.
આ પણ વાંચો: Police Officers Presidents Service Medal: જાણો ગુજરાતમાં કોને મળશે રાષ્ટ્રપતિ સેવા મેડલ