Unjha Jeera GI Tag: ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝા માર્કેટયાર્ડના 'ઊંઝા જીરા' અને 'ઊંઝા વરિયાળી'ને સત્તાવાર રીતે 'ભૌગોલિક સંકેત' એટલે કે GI ટેગ (Geographical Indication Tag) એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ બાદ હવે વૈશ્વિક બજારમાં ઊંઝાના આ મસાલા એક સત્તાવાર બ્રાન્ડ તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરશે.
Unjha ના જીરા-વરિયાળીને મળ્યો GI ટેગ
ગુજરાતની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ હવે ઊંઝાના જીરાને GI ટેગ મળવાથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે. ઊંઝા માર્કેટયાર્ડ, જે જીરા અને વરિયાળીના વેપારનું મુખ્ય કેન્દ્ર છે, તેનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. 4,000 કરોડથી પણ વધુ છે, જે આ ટેગ મળવાથી ભવિષ્યમાં વધુ વિકસી શકે છે.
વેપારીઓ અને ખેડૂતોને શું ફાયદો થશે ?
ઊંઝા એપીએમસી (APMC) ના ચેરમેન દિનેશભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે રીતે અન્ય કૃષિ પેદાશોને GI ટેગ મળવાથી વૈશ્વિક ઓળખ અને સુરક્ષા મળી છે, તેવી જ રીતે હવે ઊંઝાના જીરાની ગુણવત્તા અને તેની મૂળ ઓળખનું રક્ષણ થશે. આ ટેગના કારણે હવે અન્ય કોઈ પણ વિસ્તારનું જીરું 'ઊંઝા જીરા'ના નામે વેચી શકાશે નહીં, જે વેપારીઓ અને ખેડૂતો બંને માટે એક સુરક્ષા કવચ સમાન સાબિત થશે.ઉંઝા માર્કેટયાર્ડ એશિયાનું સૌથી મોટું જીરુંનું વેપાર કેન્દ્ર છે, જેનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. 4,000 કરોડથી પણ વધુ છે.
DyCM હર્ષભાઈ સંઘવીનું ટ્વિટ
ઊંઝા જીરા અને ઊંઝા વરિયાળીને GI ટેગ મળવા મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વિટ કરીનેઆ સિદ્ધિને ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવી છે તેમજ તેમણે આ નોંધપાત્ર સિદ્ધિને શક્ય બનાવનાર દરેકને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
GI ટેગ શું છે
GI ટેગ (Geographical Indication) એ એક વિશિષ્ટ ભૌગોલિક ઓળખ છે. તે કોઈ ખાસ વિસ્તારમાં પેદા થતી પ્રોડક્ટ્સને આપવામાં આવે છે. તે ઉત્પાદનને કાનૂની સુરક્ષા આપતો એક લોગો અથવા નામ છે.તે સાબિત કરે છે કે પ્રોડક્ટ તેની ગુણવત્તા માટે ચોક્કસ પ્રદેશ પર નિર્ભર છે.આ ટેગ મળ્યા પછી અન્ય કોઈ વિસ્તારના લોકો તે નામનો ઉપયોગ કરી શકતા નથી.
કોને આપવામાં આવે છે?
GI ટેગ વ્યક્તિગત રીતે કોઈ એક માણસને મળતો નથી. તે નીચેના જૂથોને મળે છે:
ઉત્પાદકોનું સંગઠન: ચોક્કસ વસ્તુ બનાવતા કારીગરો કે સંસ્થાઓ.
ખેડૂત મંડળીઓ: ખાસ પાક ઉગાડતા ખેડૂતોના સમૂહને.
ઉત્પાદન શ્રેણીઓ
ખેતીવાડી: જેમ કે ગીરની કેસર કેરી.
હસ્તકલા: જેમ કે પાટણના પટોળા.
ખાદ્ય સામગ્રી: જેમ કે બિકાનેરી ભુજિયા.
કુદરતી વસ્તુઓ: જે તે પ્રદેશની ખાસ માટી કે ખનિજ.
શા માટે આપવામાં આવે છે?
અસલી ઓળખ: ગ્રાહકો નકલી વસ્તુઓ છેતરાયા વગર અસલી ગુણવત્તાવાળી પ્રોડક્ટ ખરીદી શકે.
આર્થિક ફાયદો: આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોડક્ટની કિંમત અને માગ બંને વધી જાય છે.
સ્થાનિક રોજગારી: જે તે વિસ્તારના પરંપરાગત કારીગરો અને ખેડૂતોની આજીવિકા સુરક્ષિત બને છે.
ટુરિઝમ પ્રોમોશન: જે તે પ્રદેશની સંસ્કૃતિ અને ઓળખ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થાય છે.
GI ટેગ કોણ આપે છે?
ભારતમાં GI ટેગ આપવાનું કામ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (Ministry of Commerce and Industry) હેઠળ કાર્યરત Geographical Indications Registry કરે છે .
મુખ્ય મથક: આ આખી સંસ્થાની ભારતભરમાં એક જ મુખ્ય ઓફિસ છે, જે તમિલનાડુની રાજધાની ચેન્નઈ (Chennai) ખાતે આવેલી છે. દેશના કોઈપણ ખૂણેથી પ્રોડક્ટની અરજી અહીં જ પ્રોસેસ થાય છે.
મુખ્ય અધિકારી: આ સંસ્થાનો વહીવટ Controller General of Patents, Designs and Trade Marks દ્વારા થાય છે, જેઓ 'રજિસ્ટ્રાર ઓફ જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ' તરીકે ઓળખાય છે.
અત્યાર સુધીમાં આ રજિસ્ટ્રી દ્વારા ગુજરાતની 25 થી વધુ પ્રખ્યાત ચીજવસ્તુઓ (જેમ કે તાજેતરમાં જોડાયેલ જસદણ પટારી અને ઘરચોળા હસ્તકલા) ને સત્તાવાર GI ટેગ આપવામાં આવ્યો છે.
ગુજરાતની કુલ 28 ચીજવસ્તુઓને GI ટેગ મળ્યો
અત્યાર સુધીમાં ગુજરાતની કુલ 28 ચીજવસ્તુઓને સત્તાવાર રીતે GI ટેગ (Geographical Indication) પ્રાપ્ત થયો છે.તાજેતરમાં સરકાર દ્વારા રાજકોટની પ્રખ્યાત 'જસદણ પટારી' (પરંપરાગત સુશોભિત પેટી) અને 'ઘરચોળા' હસ્તકલાને પણ આ યાદીમાં ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.
હસ્તકલા
ગુજરાતમાં સૌથી વધુ GI ટેગ હાથથી બનતી કલાકૃતિઓ અને વણાટકામને મળ્યા છે
કાપડ અને ભરતકામ: પાટણના પટોળા, રાજકોટના પટોળા, કચ્છી શાલ, કચ્છી ભરતકામ (Kutch Embroidery), સૂફ એમ્બ્રોઇડરી અને પરંપરાગત ઘરચોળા.
પ્રિન્ટિંગ કલા
જામનગરની બાંધણી, કચ્છની બાંધણી, અજરખ પ્રિન્ટ, અમદાવાદની સોદાગીરી બ્લોક પ્રિન્ટ અને પેથાપુરના પ્રિન્ટિંગ બ્લોક્સ.
પરંપરાગત શિલ્પ અને કળા
સંખેડાનું ફર્નિચર, ખંભાતના અકીક (Agate), કચ્છનું રોગન આર્ટ, ભરૂચનું સુજાણી વણાટ, સુરતનું સાડેલી ક્રાફ્ટ અને ઝરી કામ, પિઠોરા ચિત્રકળા અને અમદાવાદની પ્રખ્યાત 'માતાની પછેડી'.
નવીનતમ ઉમેરો
જસદણ પટારી (રાજકોટ જિલ્લાની સદીઓ જૂની લોકકલા)
કૃષિ પેદાશ
ગુજરાતના વિશિષ્ટ વાતાવરણમાં પાકતી આ પ્રખ્યાત ખેતીવાડી પ્રોડક્ટ્સ શામેલ છે.
ગીરની કેસર કેરી (જુનાગઢ/ગીર વિસ્તાર)
ભાલિયા ઘઉં (ભાલ પ્રદેશ - અમદાવાદ/સુરેન્દ્રનગર)
કચ્છની ખારેક (સુકા ખજૂર)અમલસાડ ચીકુ (નવસારી - દક્ષિણ ગુજરાત)
કુદરતી સંસાધન
અંબાજીના સફેદ આરસપહાણ (Ambaji White Marble) ને કુદરતી વસ્તુ તરીકે ખાસ જીઆઈ ટેગ મળ્યો છે.
આ પણ વાંચો: Terminalia Tomentosa Tree In India: જામનગરમાં વૃક્ષમાંથી પાણી નીકળવા સત્ય આવ્યું સામે, શું ખરેખર વૃક્ષમાંથી પાણી નીકળી શકે?