Tarabh Valinath Temple : તરભ સ્થિત શ્રી વાળીનાથ મહાદેવ અખાડા ખાતે ઉત્તર ગુજરાતના આસ્થા કેન્દ્ર અને સનાતન ધર્મની પરંપરા મુજબ એક અદ્ભુત ધાર્મિક પ્રસંગ સંપન્ન થયો છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મોખાણા ગામના નિવાસી કળોતરા પરિવારના વિસાભાઈ કરમશીભાઈએ પોતાની અપાર શ્રદ્ધા અને ભક્તિભાવથી પોતાના પુત્ર શ્રીયાંશને વાળીનાથ મહાદેવના ચરણોમાં સમર્પિત કર્યો છે. દીકરાનું દાન કરનાર પિતા વિસાભાઈ દ્વારા આ પ્રસંગે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતી બાઈટ આપવામાં આવી હતી.
કચ્છના વિસાભાઈએ પુત્ર શ્રીયાંશને વાળીનાથના ચરણોમાં અર્પણ કર્યો
આ વિશેષ પ્રસંગના આગમન રૂપે 30 ઓગસ્ટના રોજ રબારી વાસ મોખાણાથી ભુજ-ભચાઉ હાઇવે પર આવેલા વાળીનાથ પેટ્રોલ પંપ સુધી એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 31 ઓગસ્ટ, 2026 સોમવારના રોજ શિવધામ વાળીનાથ અખાડા, તરભ ખાતે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પુત્ર અર્પણ કરવાની આ અનોખી વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
મહંત જયરામ ગિરી બાપુએ સનાતન સંસ્કૃતિની દીકરા દાનની પરંપરાને રજૂ કરી
આધ્યાત્મિક પરંપરા વિશે માહિતી આપતા વાળીનાથ ધામના મહંત જયરામ ગિરી બાપુએ જણાવ્યું હતું કે, વાળીનાથ પરંપરા અને આપણી સનાતન સંસ્કૃતિમાં પૂર્વથી જ રબારી સમાજ અને ભક્તોમાં દીકરાઓનું દાન આપવાની સમૃદ્ધ પરંપરા રહી છે. વાળીનાથ જ્યારે તમામ સમાજોનું મુખ્ય આસ્થા કેન્દ્ર બન્યું છે, ત્યારે વર્ષોથી લોકો એવી ટેક કે માનતા રાખતા હોય છે કે જો તેમને ત્યાં બે પુત્રો થશે તો તેમાંથી એક પુત્ર વાળીનાથ ધામમાં અર્પણ કરવામાં આવશે. મહંત જયરામ ગિરી બાપુએ પોતાની બાઈટમાં આ વિગત વિશે વિશેષ પ્રકાશ પાડ્યો હતો.
છેલ્લા પાંચ વર્ષમાં 5 બાળ સંતો થયા અર્પણ
મહંત જયરામ ગિરી બાપુએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, છેલ્લાં પાંચેક વર્ષના સમયગાળા દરમિયાન વાળીનાથ મંદિરમાં કુલ 5 જેટલા બાળ સંતો અર્પણ કરવામાં આવ્યા છે. આ વિશેષ પરંપરાનો મૂળ ઉદ્દેશ્ય સનાતન ધર્મની રક્ષા કરવાનો, ધર્મનો પ્રચાર કરવાનો અને સાધુ માર્ગે આગળ વધીને સમાજ કલ્યાણના કાર્યો કરવાનો છે.
સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓ સાક્ષી બન્યા
આજના આધુનિક અને ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો માત્ર સુખ-સુવિધાઓ પાછળ દોટ મૂકી રહ્યા છે, ત્યારે પોતાના સંતાનને ધર્મ, ત્યાગ અને સમર્પણના માર્ગે અર્પણ કરવાનું આ કાર્ય રબારી સમાજની અદ્ભુત શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવ અને અર્પણ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ અખાડાના પૂજ્ય સંતો-મહંતો ઉપસ્થિત રહી સાક્ષી બન્યા હતા.
આ પણ વાંચો: Gujarat Board News: ગુજરાત બોર્ડની મોટી કાર્યવાહી, પેપર ચેકિંગમાં ભૂલ કરનાર 3334 શિક્ષકોને ફટકાર્યો દંડ