Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન આજે 12 મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને દિવસ પસાર થવાની સાથે આ મામલો વધુ ગરમાઈ રહ્યો છે. આજે જેતપર ખાતે ચાલી રહેલી ઉપવાસ છાવણીમાં એક મોટો વળાંક આવ્યો હતો, જ્યારે મોરબી જિલ્લાના વિવિધ ગામોના 60 થી વધુ સરપંચો ખેડૂતોના સમર્થનમાં જેતપર પહોંચ્યા હતા. આ તમામ સરપંચોએ પ્રતીક ઉપવાસ પર બેસીને ખેડૂતોની માંગણીઓને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું, જેના કારણે આંદોલનને સ્થાનિક સ્તરે મોટું બળ મળ્યું છે.
સરકારનું આમંત્રણનો આંદોલનકારીઓનો અસ્વીકાર
બીજી તરફ, આ ગતિરોધને તોડવા માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર છેલ્લા 3 થી 4 દિવસથી આંદોલનકારીઓને વાટાઘાટો માટે બોલાવી રહી છે અને આજે આ અંગે સત્તાવાર પત્ર પણ મોકલવામાં આવ્યો હતો. સરકાર વતી મિટિંગનું આમંત્રણ આપવા માટે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી (DYSP) પોતે ઉપવાસ છાવણીએ પહોંચ્યા હતા. જો કે, ઉપવાસી આંદોલનકારીઓએ આ મિટિંગનું આમંત્રણ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને અધિકારીઓને ખાલી હાથે પરત મોકલ્યા હતા. આંદોલનકારીઓનું કહેવું છે કે તેઓ સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ તે પહેલાં દરેક મુદ્દા પર સરકાર લેખિતમાં પોતાનો અભિગમ સ્પષ્ટ કરે.
આંદોલનની આડમાં રાજકીય રોટલા શેકાતા હોવાના આક્ષેપ
જો કે, સરકારના વારંવારના આમંત્રણનો અસ્વીકાર થતાં હવે આ આંદોલન પાછળના હેતુઓ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર વારંવાર બેઠક માટે બોલાવતી હોવા છતાં બની બેઠેલા કેટલાક ખેડૂત નેતાઓ માત્ર રાજકીય રોટલા શેકવા માટે ચર્ચાથી ભાગી રહ્યા છે. ઈરાદાપૂર્વક અરાજકતા ઊભી કરવાનું આ એક પદ્ધતિસરનું ષડયંત્ર હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રો દ્વારા એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આ આંદોલન પાછળ વિપક્ષી પક્ષો સાથે રાજકીય સાંઠગાંઠ પણ હોઈ શકે છે. નિર્દોષ ખેડૂતોને આગળ રાખીને નકલી ખેડૂત આગેવાનો પોતાની વ્યક્તિગત લાલચ સંતોષવા માટે સંવાદના તમામ પ્રયાસો નાકામ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
રૂબરૂ સંવાદ વગર ઉકેલ કેવી રીતે શક્ય?
કોઈપણ જટિલ સમસ્યા હોય, તેના ટેક્નિકલ મુદ્દાઓ, કાયદાકીય બાબતો અને ફાઇનાન્શિયલ પાસાઓ પર જ્યારે બંને પક્ષો રૂબરૂ બેસીને ચર્ચા કરે ત્યારે જ કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાય છે. સરકાર સામેથી ચર્ચા માટે પત્ર પાઠવતી હોવા છતાં, આંદોલનકારીઓ મળવા જવાની ચોખ્ખી ના પાડે તે બાબત જ અત્યંત શંકાસ્પદ અને વિવાદને વધુ લાંબો ખેંચવાની દાનત દર્શાવે છે. હાલમાં સરપંચોના જોડાવાથી આંદોલન ઉગ્ર બન્યું છે, પરંતુ સંવાદના માર્ગ બંધ થતાં વહીવટી તંત્ર આગામી સમયમાં કેવા કડક પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો:Bhavnagar News: ઈન્દિરા નગરમાંથી મળી આવ્યું ત્યજાયેલું નવજાત શિશુ, 108 ની ટીમે બચાવ્યો જીવ