જથ્થો ગુજકોમાસોલ પાસેથી ખરીદવામાં આવ્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ આગની આ ઘટનામાં અંદાજે 44.90 કરોડ રૂપિયાના મૂલ્યનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે નાફેડના ચેરમેન જેઠાભાઇ ભરવાડે વિગતવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આ મગફળીનો જથ્થો નાફેડ દ્વારા ગુજકોમાસોલ પાસેથી ખરીદવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સુરક્ષિત સંગ્રહ માટે મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર જથ્થો સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના મેજિક સિરામિક (Magic Ceramic) ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો.
આગ લાગવાનું કારણ અકબંધ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. ચેરમેન જેઠાભાઇ ભરવાડે સ્પષ્ટતા કરી છે કે આ બાબતે ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) ને જાણ કરી છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની મદદ લેવા માટે કડક સૂચનાઓ આપી છે.
બેદરકારી કે સંડોવણી બહાર આવશે તો...
તપાસના ભાગરૂપે ગોડાઉનમાં લગાવવામાં આવેલા તમામ સીસીટીવી કેમેરા (CCTV Cameras) ની ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે જો આ દુર્ઘટના પાછળ કોઈ વ્યક્તિ કે સંસ્થાની બેદરકારી અથવા સંડોવણી બહાર આવશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
રાહતના સમાચાર એ છે કે, મગફળીના આ જથ્થાનો વીમો લેવામાં આવ્યો હોવાથી નાફેડ કે ખેડૂતોને કોઈ આર્થિક નુકસાન વેઠવું પડશે નહીં. હાલમાં સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને સ્થાનિક પ્રશાસન સતર્કતા દાખવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Morbi Massive Fire: રફાળેશ્વર GIDC માં ભીષણ આગ, હજારો મણ મગફળીનો જથ્થો રાખ