Adani Bribery Case : અદાણી ગ્રુપનું સ્પષ્ટિકરણ, અમેરિકાના આરોપો પાયાવિહોણા!
- અદાણી ગ્રૂપનું મોટું નિવેદન, લાંચના આરોપોને ખોટા ગણાવ્યાં
- ગૌતમ અદાણી પર લાંચના આરોપો, અદાણી ગ્રૂપનો સ્પષ્ટ દાવો
- અદાણી ગ્રીન: અમેરિકી આરોપોને ખોટા ગણાવતો કંપનીનો જવાબ
- મુકુલ રોહતગીની ઉપસ્થિતિમાં અદાણી ગ્રૂપનું લાંચ મામલે સ્પષ્ટિકરણ
Adani Bribery Case : ગૌતમ અદાણી અને તેમની કંપની પર લાગેલા આરોપો પર અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે અમેરિકા દ્વારા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ મામલામાં દેશના સૌથી મોટા વકીલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે અમેરિકી તપાસમાં ગૌતમ અદાણી ચાર્જશીટમાં આરોપી નથી.
અદાણી ગ્રૂપનો ખોટા આરોપોની નિંદા
ગૌતમ અદાણી અને તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી દ્વારા અમેરિકામાં લાંચના મામલામાં મોટું નિવેદન સામે આવ્યું છે. અદાણી ગ્રૂપે બુધવારે શેર બજારની ફાઈલિંગમાં સ્પષ્ટ કર્યું છે કે આ તમામ આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. કંપનીએ દાવો કર્યો છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ (FCPA) ના ઉલ્લંઘનનો કોઈ પણ આરોપ મુકવામાં આવ્યો નથી. બીજી તરફ આ મામલામાં દેશના સૌથી મોટા વકીલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, અમેરિકી તપાસમાં ગૌતમ અદાણી ચાર્જશીટમાં આરોપી નથી. અદાણી ગ્રીન દ્વારા બુધવારે તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં પણ આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આરોપમાં માત્ર એઝ્યુર અને CDPQ અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ છે, ગૌતમ અદાણી, સાગર અદાણી અથવા વિનીત જૈન પર નહીં, અને અદાણી ગ્રૂપ કંપનીના અધિકારીઓ પર લાંચ કે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો નથી.
શું છે સમગ્ર મામલો?
જણાવી દઈએ કે, ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગૌતમ અદાણીની કંપની પર યુએસમાં રોકાણકારોને છેતરવાનો અને સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને મોટી લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે 2020 થી 2024 ની વચ્ચે, અદાણી ગ્રીન અને એઝ્યુર પાવર ગ્લોબલને આ સોલાર પ્રોજેક્ટ મેળવવા માટે ખોટા માર્ગ દ્વારા ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (લગભગ રૂ. 2236 કરોડ)ની લાંચ આપવામાં આવી હતી. એટલું જ નહીં લાંચનો મામલો અમેરિકન કંપની એટલે કે એઝ્યુર પાવર ગ્લોબલથી છુપાવવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ દ્વારા 20 વર્ષમાં બે અબજ ડોલરથી વધુનો નફો થવાનો અંદાજ હતો અને તેનો લાભ લેવા માટે ખોટા દાવા કરીને લોન અને બોન્ડ ઉભા કરવામાં આવ્યા હતા. જો કે, આ આરોપો પછી તરત જ નિવેદન જારી કરીને, અદાણી ગ્રુપે અમેરિકન તપાસ એજન્સીના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આરોપો પાયાવિહોણા છે, ગ્રુપ દરેક નિર્ણય કાયદાના દાયરામાં રહીને લે છે.
મુકુલ રોહતગીનું નિવેદન
દેશના પૂર્વ એટર્ની જનરલ અને વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી પણ આ મામલે આગળ આવ્યા છે. મુકુલ રોહતગીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ અડાણી ગ્રુપના પ્રવક્તા તરીકે આગળ આવ્યા નથી. તેમણે કહ્યું કે આ કાર્યવાહીમાં 5 આરોપો સામેલ છે, જેમાંથી કલમ 1 અને 5 સૌથી મહત્વપૂર્ણ છે. આ મામલામાં ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે કોઈ આક્ષેપો કરવામાં આવ્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે કરપ્શન પ્રેક્ટિસ એક્ટના કોઈ આરોપ નથી. કલમ 5 હેઠળના લોકોમાં આ બેના નામ નથી, પરંતુ કેટલાક વિદેશી લોકોના નામ સામેલ છે. વરિષ્ઠ વકીલના કહેવા પ્રમાણે, ચાર્જશીટમાં એ સ્પષ્ટ કરવું પડશે કે વ્યક્તિએ શું કર્યું છે. તેમણે કહ્યું કે અદાણી પર જે પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે, ચાર્જશીટમાં એક પણ નામ નથી. તેમજ લાંચ કઈ રીતે આપવામાં આવી અને કયા અધિકારીઓને લાંચ આપવામાં આવી તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. અદાણી ગ્રૂપે સાબિત કરવું પડશે કે તેઓ એવી કંપનીઓ સાથે સંકળાયેલા છે કે જેમની સામે ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યા છે કે નહીં.
આ પણ વાંચો: Big Breaking : ગૌતમ અદાણી ન્યૂયોર્કમાં લાંચ આપવા બદલ દોષિત