શિંદે પર ટિપ્પણી વિવાદ મામલે Kunal Kamra નું સ્પષ્ટ નિવેદન - "હું માફી નહીં માંગું!"
- કુણાલ કામરા વિવાદ: એકનાથ શિંદે પર ટિપ્પણી બાદ હોબાળો
- "હું માફી નહીં માંગું!" – કુણાલ કામરાનો સ્પષ્ટ જવાબ
- કુણાલ કામરાના શો બાદ તોડફોડ, શિવસેના કાર્યકર્તાઓનો ગુસ્સો જોવા મળ્યો
- એકનાથ શિંદે પર વ્યંગ્ય, કુણાલ કામરા વિવાદના વંટોળમાં
- "હાસ્યમાં ભય નથી!" – કામરાનો ખુલાસો
- હેબિટેટ કોમેડી ક્લબમાં તોડફોડ, કોણ જવાબદાર?
Kunal Kamra : મુંબઈમાં રહેતા 36 વર્ષીય સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે તેમના કોમેડી શોમાં કરેલી ટિપ્પણીઓને લઈને હોબાળો મચ્યો છે. સોમવારે, 24 માર્ચ 2025ના રોજ, કામરાએ સ્પષ્ટપણે જાહેર કર્યું કે તેઓ આ ટિપ્પણીઓ બદલ કોઈ માફી નહીં માંગે. આ ઘટનાએ મહારાષ્ટ્રમાં રાજકીય અનેસામાજિક સ્તરે ઉગ્ર ચર્ચાઓને જન્મ આપ્યો છે, જેના પરિણામે તેમના શોના સ્થળે તોડફોડ પણ થઈ.
કામરાનું નિવેદન: "હું ડરતો નથી"
કુણાલ કામરાએ તેમના તાજેતરના કોમેડી શોમાં એક જાણીતા હિન્દી ફિલ્મના ગીતના શબ્દોમાં ફેરફાર કરીને પરોક્ષ રીતે એકનાથ શિંદેની રાજકીય સફર પર તીખું વ્યંગ્ય કર્યું હતું. આ ટિપ્પણીઓએ શિંદેના સમર્થકો અને શિવસેનાના કાર્યકર્તાઓને ગુસ્સે કર્યા, જેના પગલે મહારાષ્ટ્રમાં અરાજકતા ફેલાઈ. રવિવારે રાત્રે ખારના હેબિટેટ કોમેડી ક્લબ અને તેની આસપાસની હોટલમાં તોડફોડની ઘટનાઓ બની, જેનું સીધું કારણ કામરાનો શો માનવામાં આવે છે. આ ઘટનાઓએ સોમવારે સમગ્ર દિવસ દરમિયાન હંગામો મચાવ્યો, જેની ગંભીરતા રાજ્યના રાજકીય વર્તુળોમાં પણ અનુભવાઈ. કામરાએ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા X પ્લેટફોર્મ પર એક લાંબા નિવેદનમાં આપી. તેણે જણાવ્યું કે જે લોકો તેમનો ફોન નંબર સોશિયલ મીડિયા પર લીક કરી રહ્યા છે અથવા સતત ફોન કરીને તેને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેણે જાણવું જોઈએ કે આ બધું તેમના વૉઇસમેઇલમાં જાય છે. તેણે મજાકમાં ઉમેર્યું કે આવા લોકોને ત્યાં તે જ ગીત સંભળાવવામાં આવશે, જેનાથી તેઓ નારાજ છે. તેણે લખ્યું, "હું માફી નહીં માંગું. હું આ ટોળાથી ડરતો નથી અને પથારીમાં છુપાઈને આ ઘટના શાંત થવાની રાહ જોવાનો મારો કોઈ ઇરાદો નથી."
My Statement - pic.twitter.com/QZ6NchIcsM
— Kunal Kamra (@kunalkamra88) March 24, 2025
રાજકીય પ્રતિક્રિયાઓ: સમર્થન અને વિરોધ
કામરાએ એમ પણ કહ્યું કે, તેણે જે વાત કહી તે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ અગાઉ કહી હતી. તેનું કહેવું છે કે તેની કોમેડીમાં કંઈ નવું નહોતું, છતાં તેના પર આટલો હોબાળો થયો. આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કામરાની ટીકા કરતાં કહ્યું કે, તેણે આ "નીમ્ન કક્ષાની કોમેડી" બદલ માફી માંગવી જોઈએ. બીજી તરફ, વિપક્ષી નેતા ઉદ્ધવ ઠાકરેએ કામરાને સમર્થન આપતાં કહ્યું કે તેણે જે કહ્યું તેમાં કંઈ ખોટું નથી. કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) જેવા પક્ષોએ પણ કામરાની બાજુ લઈને આ મામલે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવ્યો છે.
Maharashtra CM Devendra Fadnavis says, "There is freedom to do stand-up comedy, but he cannot speak whatever he wants. The people of Maharashtra have decided who the traitor is. Kunal Kamra should apologize. This will not be tolerated. There is the right to comedy, but if it is… pic.twitter.com/g7UVXEyfDC
— ANI (@ANI) March 24, 2025
તોડફોડની ઘટના અને કામરાનું વલણ
રવિવારે રાત્રે શિવસેનાના કાર્યકર્તાઓએ હેબિટેટ કોમેડી ક્લબ અને તેની આસપાસની હોટલમાં તોડફોડ કરી. કામરાએ આ ઘટનાને "મૂર્ખતાપૂર્ણ" ગણાવી અને તેની સરખામણી એવી રીતે કરી કે જાણે કોઈ વ્યક્તિ બટર ચિકન ન ગમવાને કારણે ટામેટાંથી ભરેલી ટ્રક ઉથલાવી દે. તેણે કહ્યું કે, મનોરંજનનું સ્થળ ફક્ત એક મંચ છે અને તેના પર થતા શો માટે સ્થળનું સંચાલન જવાબદાર નથી. તેનું કહેવું છે કે હાસ્ય કલાકારના શબ્દોને કારણે કોઈ સ્થળ પર હુમલો કરવો એ બિલકુલ અર્થહીન છે. કામરાએ તેના નિવેદનમાં જણાવ્યું કે તેઓ રાજકારણીઓ તરફથી મળતી ધમકીઓથી ડરતા નથી અને તેની વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી થાય તો પોલીસ અને કોર્ટને સંપૂર્ણ સહકાર આપશે. તેણે ભારપૂર્વક કહ્યું કે, રાજકીય વ્યક્તિની મજાક ઉડાવવી એ તેનો અધિકાર છે અને તે કાયદાની વિરુદ્ધ નથી. તેણે સવાલ ઉઠાવ્યો કે જે લોકોએ તોડફોડ કરી, તેની સામે પણ કાયદો એ જ રીતે લાગુ થશે કે નહીં?
બીએમસીની ટીકા અને ભવિષ્યની યોજના
કામરાએ બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની પણ ટીકા કરી, જેણે હેબિટેટ સેન્ટરને કોઈ પૂર્વ સૂચના વિના તોડી પાડવાની કાર્યવાહી કરી. તેણે મજાકમાં કહ્યું કે, તેના આગામી શો માટે તેઓ "એલ્ફિન્સ્ટન બ્રિજ" કે મુંબઈની કોઈ એવી જગ્યા પસંદ કરશે, જેને જલદી તોડી પાડવાની જરૂર હોય. સોમવારે પોલીસે શિવસેનાના કાર્યકર્તા રાહુલ કનાલ સહિત 11 લોકોની તોડફોડના આરોપમાં ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કુણાલ કામરાનો આ વિવાદ માત્ર એક કોમેડી શોની ઘટના નથી, પરંતુ તે અભિવ્યક્તિની સ્વતંત્રતા, રાજકીય સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીના મુદ્દાઓને પણ ઉજાગર કરે છે. તેનું મક્કમ વલણ અને રાજકીય પક્ષોની મિશ્ર પ્રતિક્રિયાઓએ આ મામલાને વધુ જટિલ બનાવ્યો છે.
આ પણ વાંચો : શિંદે પર કટાક્ષ બાદ Kunal Kamra ગાયબ! કોંગ્રેસ નેતાએ શિવસેનાને સંભળાવી ખરી-ખોટી