રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા રોકવા માટે પડદા પાછળ મોટું કાવતરું ઘડાયું હતું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોતે જયપુરમાં મીડિયા સમક્ષ જૂના જખમ તાજા કરતા જણાવ્યું કે, તે સમયે તેઓ પોતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ હતા. મહાત્મા ગાંધી, મોતીલાલ નેહરુ અને સરદાર પટેલ જેવા દિગ્ગજો જે ખુરશી પર બેઠા છે તેની ગરિમા તેઓ સારી રીતે જાણે છે. ગહેલોતે દાવો કર્યો કે, “હું કોઈ એવો અભણ નેતા નથી કે માત્ર મુખ્યમંત્રી પદ પર ટકી રહેવા માટે કોંગ્રેસ પ્રમુખ જેવી મોટી જવાબદારી છોડી દઉં.” તેમને અધ્યક્ષ બનતા રોકવા માટે અચાનક દિલ્હીથી નિરીક્ષકો મોકલીને એક એવું વાતાવરણ ઊભું કરાયું જેના કારણે આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી.
માનેસર બગાવતના સાથીદારો ધારાસભ્યોને મંજૂર નહોતા
"જો તે સમયે ધારાસભ્યોએ હાઈકમાન સામે બળવો કર્યો હોત, તો હાઈકમાન મને ત્યારપછી પણ મુખ્યમંત્રી પદે યથાવત ન રાખત. હાઈકમાનનો મારા પર ભરોસો આજે પણ અકબંધ છે." - અશોક ગહેલોત, પૂર્વ મુખ્યમંત્રી, રાજસ્થાન
ગહેલોતે 2022ની ઘટનાની વિગતો આપતા કહ્યું કે જ્યારે સચિન પાઇલટને સીએમ બનાવવાની ચર્ચા દિલ્હી સ્તરે શરૂ થઈ, ત્યારે 90થી વધુ ધારાસભ્યો નારાજ થઈ ગયા હતા. ધારાસભ્યોની સ્પષ્ટ સંમતિ હતી કે જો મુખ્યમંત્રી બદલવા જ હોય તો પક્ષના વફાદાર જૂથમાંથી કોઈને બનાવો, પરંતુ જેઓ અગાઉ માનેસર રિસોર્ટમાં જઈને પક્ષ સામે બળવો કરી ચૂક્યા છે તેમને વફાદાર ધારાસભ્યો ક્યારેય સ્વીકારવા તૈયાર નહોતા. એટલે જ બધા સત્તાવાર બેઠક છોડીને સીપી જોશીના આવાસ પર પહોંચ્યા હતા.
સચિન પાઇલટ સાથે કોઈ વ્યક્તિગત વેર નથી, પણ ભૂલો અને માફ કરો
પોતાના કટ્ટર રાજકીય હરીફ ગણાતા સચિન પાઇલટ અંગે નરમ વલણ દાખવતા ગહેલોતે ઉમેર્યું કે, તેમની વચ્ચે કોઈ અંગત દુશ્મની નથી અને આજે પણ સમય મળ્યે બંને વચ્ચે સામાન્ય વાતચીત થાય છે. જોકે, તેમણે ટકોર પણ કરી કે જો પાઇલટે માનેસર પ્રકરણ પછી ‘ભૂલો અને માફ કરો’ ની ભાવના દિલથી સ્વીકારી લીધી હોત તો આ વિવાદ ક્યારનોય શાંત થઈ ગયો હોત. હાલ તેઓ કોઈ પદની રેસમાં નથી અને ભવિષ્યમાં મુખ્યમંત્રી કોણ બનશે તે માત્ર હાઈકમાન અને સમય જ નક્કી કરશે.
આ પણ વાંચો : JKBOPEE Cancel MSc Nursing Exam : અંતિમ ઘડીએ એન્ટ્રન્સ એક્ઝામ રદ, વિદ્યાર્થીઓ જોડે દગો