તબિયત બગડતા આઝાદ કુવૈતની હોસ્પિટલમાં દાખલ, કહ્યું- હું ઠીક થઈ રહ્યો છું
- ગુલામ નબી આઝાદ કુવૈતની હોસ્પિટલમાં દાખલ
- કુવૈતમાં ભારે ગરમીને કારણે તેમની તબિયત બગડી
- આઝાદ ગલ્ફ દેશોની મુલાકાતે આવેલા ડેલીગેશનનો ભાગ
Ghulam Nabi Azad: જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM ગુલામ નબી આઝાદને કુવૈતની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. આઝાદ BJP સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં સર્વપક્ષીય ડેલીગેશનનો ભાગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કુવૈતમાં ભારે ગરમીને કારણે તેમની તબિયત બગડી હતી. પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા આઝાદે X પર જણાવ્યું કે, તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. ભારતના સાત સર્વપક્ષીય ડેલીગેશન આ દિવસોમાં આતંકવાદ અને 'Operation Sindoor' વિશે માહિતી આપવા માટે વિદેશ પ્રવાસ પર છે.
આઝાદ ડોકટરોની દેખરેખ હેઠળ
પાંડાએ મંગળવારે જણાવ્યું હતું કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદ, જેઓ ગલ્ફ દેશોની મુલાકાતે આવેલા સર્વપક્ષીય ડેલીગેશનનો ભાગ છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. પાંડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'અમારા પ્રતિનિધિમંડળની મુલાકાતની વચ્ચે, શ્રી ગુલામ નબી આઝાદને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેમની હાલત સ્થિર છે, તેમને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે.'
આઝાદે X પર કહ્યું....
બીજી તરફ, આઝાદે 'X' પર કહ્યું, "કુવૈતમાં ભારે ગરમીની મારા સ્વાસ્થ્ય પર અસર થઈ હોવા છતાં, અલ્લાહની કૃપાથી હું ઠીક છું અને મારી હાલતમાં સુધારો થઈ રહ્યો છે. બધા રીપોર્ટ નોર્મલ છે. તમારી ચિંતા અને પ્રાર્થના બદલ આપ સૌનો આભાર." પાંડા અને 76 વર્ષીય આઝાદ ભારત દ્વારા વિવિધ દેશોમાં મોકલવામાં આવેલા સાત બહુ-પક્ષીય ડેલીગેશનોમાંથી એકનો ભાગ છે. આ ડેલીગેશનોનું કામ આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે ભારતના પ્રતિભાવથી વાકેફ કરવાનું છે.
Blessed to share that despite the extreme heat in Kuwait affecting my health, by God’s grace I’m doing fine and recovering well. All test results are normal. Thank you all for your concern and prayers — it truly means a lot!
— Ghulam Nabi Azad (@ghulamnazad) May 27, 2025
આ પણ વાંચો : Operation Sindoor હાલ રોકવામાં આવ્યુ, પાકિસ્તાને તો....આતંક પર એક્શન અંગે બોલ્યા રવિશંકર
આઝાદનું યોગદાન ખૂબ જ પ્રભાવશાળી
ડેલીગેશને 23 મેના રોજ બહેરીન અને 25 મેના રોજ કુવૈતની મુલાકાત લીધી હતી, જ્યાં આઝાદે બંને દેશોના નેતાઓ સાથે બેઠકોમાં ભાગ લીધો હતો. પાંડાએ જણાવ્યું હતું કે બહેરીન અને કુવૈતમાં યોજાયેલી બેઠકોમાં આઝાદનું યોગદાન ખૂબ જ પ્રભાવશાળી હતું, અને તેઓ તેમની બીમારીથી દુખી હતા. મંગળવારે ડેલીગેશન સાથે સાઉદીની રાજધાની પહોંચેલા પાંડાએ જણાવ્યું કે, "અમે સાઉદી અરેબિયા અને અલ્જેરિયામાં તેમની હાજરીને ખૂબ જ યાદ કરીશું." મુલાકાત દરમિયાન, ડેલીગેશન વિવિધ રાજકીય વ્યક્તિઓ, સરકારી અધિકારીઓ, થિંક ટેન્ક અને ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કરશે.
કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસે આઝાદના હોસ્પિટલમાં દાખલ થવા અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. આઝાદ લાંબા સમયથી કોંગ્રેસમાં હતા અને 2022 માં કોંગ્રેસ છોડીને પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આઝાદનું નામ લીધા વિના 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે, ' તે જાણીને ચિંતા થાય છે કે પાકિસ્તાની આતંકવાદ સામે ભારતની રણનીતિને મજબૂત બનાવવા માટે મોકલવામાં આવેલા ઉચ્ચ સ્તરીય ડેલીગેશનના એક સભ્યને કુવૈતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.'
આ પણ વાંચો : Defense : ઓપરેશન સિંદૂરનો ભરોસો,મોદી સરકારે ફાઈટર જેટની આપી મંજૂરી