Muzaffarpur hospital fire : "અમને બચાવો!" - હોસ્પિટલમાં ચીસો પાડતા દર્દીઓને છોડી સ્ટાફ થયો ફરાર !
Muzaffarpur hospital fire : બિહારના મુઝફ્ફરપુર (Muzaffarpur) માંથી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ્રસાદ હોસ્પિટલ (Prasad Hospital) ના ICU વોર્ડમાં આગ લાગી હતી. આ જોત જોતામાં એટલી વિકરાળ બની ગઈ કે ICU વોર્ડમાંથી દર્દીઓને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો.
હોસ્પિટલમાં ભીષણ આગમાં 3 દર્દીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે, ઘટના બનતા જ હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય સ્ટાફ દર્દીઓને રામભરોસે મૂકીને ફરાર થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Muzaffarpur hospital fire : વહેલી સવારે લાગી હતી આગ
આગ લાગવાની શરૂઆત સવારે 3 વાગ્યાની આસપાસ થઈ હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમાનવીયતા અને ઘોર બેદરકારીનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. એક દર્દીના સંબંધીએ જણાવ્યું હતું કે જ્યારે વોર્ડમાં ધુમાડો ભરાઈ રહ્યો હતો. ત્યારે સ્ટાફ મદદ કરવાને બદલે હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયો હતો.
દુર્ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરો (Firefighters) ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હોસ્પિટલના દરવાજા અને બારીઓ તોડીને ફાયર બ્રિગેડના જવાનોએ ફસાયેલા દર્દીઓને બહાર કાઢ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ત્રણ દર્દીઓએ જીવ ગુમાવી દીધા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) સુબ્રત સેને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસના આદેશ આપ્યા છે. હાલમાં 20 થી વધુ દર્દીઓ અન્ય હોસ્પિટલોમાં દાખલ છે, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો : Bihar Hospital Fire : મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 3 દર્દીના મોત


