Waqf Amendment Act સંબંધિત અરજીઓ પર સુનાવણીની તારીખ નક્કી, CJI કરશે બેન્ચની અધ્યક્ષતા
- વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 10 અરજીઓ દાખલ
- વક્ફ એક્ટ વિરુદ્ધ અરજીઓની સુનાવણી માટે તારીખ નક્કી
- CJI કરશે બેન્ચની અધ્યક્ષતા
Waqf Amendment Act: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલના રોજ વક્ફ સુધારા કાયદાને મંજૂરી આપી હતી. તેને સંસદના બજેટ સત્ર દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો. વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં લગભગ 10 અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં વક્ફ એક્ટ વિરુદ્ધ અરજીઓની સુનાવણી માટે તારીખ નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલે અરજીઓ પર સુનાવણી કરશે. અત્યાર સુધીમાં આ કાયદા વિરુદ્ધ કોર્ટમાં લગભગ 10 અરજીઓ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે.
10 થી વધુ અરજીઓ દાખલ
વકફ એક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં લગભગ 10 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેના પર વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સોમવારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે જમિયત ઉલેમા-એ-હિંદ અને અન્ય સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ મહત્વપૂર્ણ છે અને તેને કોઈપણ કિંમતે પ્રાથમિકતા આપવી જોઈએ. વક્ફ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કુલ 10 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં રાજકારણીઓ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલેમા-એ-હિંદની અરજીઓનો સમાવેશ થાય છે. આ અરજીઓમાં, નવા બનેલા કાયદાની માન્યતાને પડકારવામાં આવી છે.
આ પણ વાંચો : 26/11 હુમલાના આરોપી Tahawwur Rana ને ભારત લવાશે, અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન
આ નેતાઓએ અરજી દાખલ કરી
દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), કોંગ્રેસના સાંસદો ઈમરાન પ્રતાપગઢી અને મોહમ્મદ જાવેદ, AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી, RJD સાંસદો મનોજ ઝા અને ફયાઝ અહેમદ, AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાને પણ આ કાયદાની માન્યતાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેડીયુના મુસ્લિમ નેતાઓએ પણ વક્ફ બિલ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. જેડીયુ મુસ્લિમ નેતા હાજી મોહમ્મદ પરવેઝ સિદ્દીકીએ પણ વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. હાજી મોહમ્મદ પરવેઝ સિદ્દીકી રાષ્ટ્રીય લઘુમતી અનામત મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ પણ છે. 7 એપ્રિલના રોજ, મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને ખાતરી આપી હતી કે અરજીઓની યાદી પર વિચાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કપિલ સિબ્બલ જમિયત ઉલેમા-એ-હિંદ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા.
કેન્દ્રએ કેવિયેટ દાખલ કરી છે
તે જ સમયે, કેન્દ્ર સરકારે વકફ (સુધારા) અધિનિયમ, 2025 અંગે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. સરકાર વતી, વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર આદેશ પસાર કરતા પહેલા સુનાવણીની માંગ કરવામાં આવી છે.
કેવિયેટ એટલે શું ?
કેવિયેટ અરજી કરનારને સાંભળ્યા સિવાય અદાલત અગર અમલદાર તેની વિરુદ્ધ જે તે બાબત અંગે એક્તરફી હુકમ કરે નહિ એવી વિનંતી. લેટિન ભાષાનો આ શબ્દ છે. આવી અરજી કરનારને કેંવિયેટર કહેવામાં આવે છે. સામાન્ય રીતે કોઇ વ્યક્તિને એવી દહેશત હોય કે સામો પક્ષકાર તેની સામે કોઈ વચગાળાનો હુકમ મેળવે તેવી શક્યતા છે ત્યારે આવા હુકમથી તેને નુકસાન ન થાય તે માટે વ્યક્તિ અદાલત અગર અમલદાર સમક્ષ કેવિયેટ અરજી દાખલ કરી શકે છે. કેવિયેટનો હેતુ નાગરિકોને થતો સંભવિત અન્યાય અટકાવવાનો તથા ન્યાયિક કાર્યવાહીની જટિલતા ઓછી કરવાનો છે.
આ પણ વાંચો : Air India ફ્લાઇટમાં એક વ્યક્તિએ બાજુમાં બેઠેલા મુસાફર પર કરી લઘુશંકા