Manmohan Singh:આર્થિક ઉદારીકરણથી લઈ આધાર કાર્ડ અને RTIમાં મહત્વની ભૂમિકા ભજવી !
- 1991માં ભારતમાં આર્થિક ઉદારીકરણની શરૂઆત હતી.
- માહિતી ટેકનોલોજી અને ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ
- પરમાણુ સોદો અને ઊર્જા ક્ષેત્રના સુધારા
Manmohan Singh:વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ (Former prime minister Manmohan Singh)આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન તેમણે દેશને જે કંઇ આપ્યું તેને ક્યારેય નહીં ભૂલી શકાય, તેમણે નરસિમ્હારાવના નેતૃત્વવાળી સરકારમાં નાણામંત્રી તરીકે આર્થિક ઉદારીકરણ અને ત્યારબાદ વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં મનરેગા, રાઇટ ટુ એજ્યુકેશન સહિતના જે નિર્ણયો લીધા તેણે દેશના વિકાસની ગતિ તેજ કરવામાં ખુબ મહત્વનો ભાગ ભજવ્યો. ચાલો નજર કરીએ તેમની ઉપલબ્ધિઓ પર
આર્થિક ઉદારીકરણ
ડૉ. મનમોહન સિંહની સૌથી મોટી સિદ્ધિ 1991માં ભારતમાં આર્થિક ઉદારીકરણની શરૂઆત હતી. તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવના નેતૃત્વમાં મનમોહન સિંહ નાણામંત્રી બન્યા. તે સમયે દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. વિદેશી હૂંડિયામણના ભંડાર લગભગ ખાલી હતા અને દેશ પર દેવાના ભારે દબાણમાં હતા. આવી સ્થિતિમાં ડૉ. સિંહે સાહસિક નિર્ણયો લીધા અને ભારતના અર્થતંત્રને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ (LPG)ના માર્ગ પર લઈ જવાનું કામ કર્યું. આ સુધારાઓએ ભારતને નવી આર્થિક શક્તિ બનવાનો માર્ગ મોકળો કર્યો.
માહિતી ટેકનોલોજી અને ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ
ડૉ. સિંહે વડાપ્રધાન તરીકે દેશમાં આઈટી અને ટેલિકોમ ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી હતી. BPO અને IT ઉદ્યોગે વૈશ્વિક ઓળખ મેળવી અને લાખો યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરી. ટેલિકોમ સેક્ટરમાં સુધારાથી દેશના દરેક ખૂણે મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આવી ગઈ.
આ પણ વાંચો -પૂર્વ PM મનમોહનસિંહનું નિધન, વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)
ડૉ. સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારે 2006માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) લાગુ કર્યો હતો. આ યોજના ગ્રામીણ ભારતમાં ગરીબ પરિવારોને 100 દિવસની ગેરંટીવાળી રોજગાર પૂરી પાડે છે. આ યોજનાએ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટાડવામાં મદદ કરી નથી પરંતુ ગ્રામીણ વિકાસને પણ વેગ આપ્યો છે.
પરમાણુ સોદો અને ઊર્જા ક્ષેત્રના સુધારા
ડૉ.સિંઘની દૂરંદેશીનું સૌથી મોટું ઉદાહરણ 2008માં ભારત-અમેરિકા પરમાણુ કરાર છે. આ કરાર ભારતને નાગરિક પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આના દ્વારા દેશમાં ઉર્જા સંકટ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે પાયો નાખવામાં આવ્યો હતો. જો કે આ સમજૂતીનો રાજકીય વિરોધ થયો હતો, તેમ છતાં ડૉ. સિંહ તેમના નિર્ણયથી પાછળ હટ્યા ન હતા.
આ પણ વાંચો -Cambridge-Oxford માં કર્યો અભ્યાસ, જાણો Dr. Manmohan Singh નાં પ્રેરણાદાયી જીવન અંગે
શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સુધારા
ડૉ.સિંઘના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં પણ ઘણા મોટા સુધારાઓ થયા. તેમણે શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE) ઘડ્યો, જે 6 થી 14 વર્ષની વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની ખાતરી આપે છે.
વ્યક્તિત્વ અને યોગદાન
ડૉ.મનમોહન સિંહને તેમની સાદગી, પ્રમાણિકતા અને વિદ્વતા માટે યાદ કરવામાં આવે છે. એક કાર્યક્ષમ પ્રશાસક અને નીતિ નિર્માતા હોવા ઉપરાંત તેઓ એક સંવેદનશીલ નેતા પણ હતા. તેમના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે પોતાની સ્થિતિ મજબૂત કરી.


