From ideology to explosion: ભારતમાં ઇસ્લામિક આતંકવાદ સામે 'એકતા'ની કસોટી
From ideology to explosion : તાજેતરમાં દિલ્હીમાં થયેલો બોમ્બ વિસ્ફોટ માત્ર એક હિંસક ઘટના નથી, પરંતુ તે એક ગંભીર ચેતવણી છે કે આધુનિક યુગનો આતંકવાદ હવે માત્ર શસ્ત્રોની લડાઈ નથી, તે વિચારધારાત્મક અને માનસિક ઘૂસણખોરી છે. ધર્મ, રાજકારણ અને સંસ્કૃતિના ગેરમાર્ગે દોરાયેલા સંયોજનમાંથી જન્મેલો આ આતંકવાદ વૈશ્વિક સ્તરે સમાજના મૂળભૂત માળખાને હચમચાવી રહ્યો છે.
છેલ્લા બે-ત્રણ દાયકામાં 'ઇસ્લામિક આતંકવાદ' વધુ જટિલ બન્યો છે. હવે હુમલાઓ માત્ર શારીરિક નથી, પરંતુ વૈચારિક સ્તરે સમાજના મૂલ્યો અને નીતિઓ સુધી ફેલાઈ ગયા છે.
From ideology to explosion : વૈશ્વિક આતંકવાદનું બદલાતું સ્વરૂપ
આઇએસઆઇએસ, અલ-કાયદા અને બોકો હરામ જેવા સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે "જિહાદ" હવે ભૌગોલિક સીમાઓમાં બંધાયેલો નથી. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ તેમને એક વૈશ્વિક મંચ પૂરો પાડ્યો છે, જે પ્રચાર અને માનસિક યુદ્ધ દ્વારા સંચાલિત થાય છે.
વિલિયમ મેકકેન્ટ્સના મતે, "ઇસ્લામિક આતંકવાદ-Terrorism હવે માત્ર રાજકીય સત્તા મેળવવાનું સાધન નથી, પરંતુ ઓળખ અને અસ્તિત્વ માટેની લડાઈ બની ગયો છે."
આ વિચારધારા આજે વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થાય છે:
આત્મઘાતી હુમલાઓ-Suicide attacks
ઓનલાઇન રેડિકલાઇઝેશન
"લોન વૂલ્ફ" હુમલાખોરો: જે કોઈ મોટા સંગઠન સાથે સીધી રીતે જોડાયેલા ન હોવા છતાં, તેની વિચારધારાથી પ્રેરાઈને એકલા હુમલો કરે છે.
From ideology to explosion : આતંકવાદના નવા કેન્દ્રો: મધ્યપૂર્વથી આફ્રિકાના સાહેલ પ્રદેશ સુધી
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કાઉન્ટર-ટેરરિઝમ (ICCT)ના અહેવાલો દર્શાવે છે કે, ISISનું કેન્દ્રિય પ્રભુત્વ ઘટ્યું હોવા છતાં, તેની વૈચારિક અસર અને નેટવર્ક સક્રિય છે.
ખાસ કરીને આફ્રિકાના "સાહેલ પ્રદેશ" (માલી, નાઇજર, બુરકીના ફાસો વગેરે) માં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. 2024માં વિશ્વભરના કુલ આતંકવાદી મૃત્યુઓમાંના 51% સાહેલમાં નોંધાયા, જે સ્પષ્ટ કરે છે કે આતંકવાદ હવે ભૂગોળીય રીતે નવા કેન્દ્રોમાં ફેલાઈ રહ્યો છે.
પશ્ચિમી દેશોમાં સતત પડકાર: યુકે અને ફ્રાન્સ
યુરોપ અને અમેરિકામાં પણ નાના પાયે, પણ વારંવાર થતા હુમલાઓ એક નવો પડકાર છે.
બ્રિટન: 7/7 લંડન બોમ્બિંગ (2005) થી લઈને માન્ચેસ્ટર એરિના બોમ્બિંગ (2017) સુધીની ઘટનાઓમાં સાલાફી-જિહાદી વિચારધારા અને ઓનલાઇન રેડિકલાઇઝેશનનો સ્પષ્ટ પ્રભાવ રહ્યો છે. બ્રિટિશ સુરક્ષા એજન્સી MI5 એ 2017 પછી 40થી વધુ ઇસ્લામિસ્ટ પ્લોટ નિષ્ફળ કર્યા છે.
ફ્રાન્સ: 2015ના ઘાતક પેરિસ હુમલાઓથી લઈને શિક્ષક સેમ્યુઅલ પેટીની હત્યા સુધી, ફ્રાન્સે રેડિકલિઝમના ઘણા ઘાતક સ્વરૂપોનો સામનો કર્યો છે. ફ્રેન્ચ સરકારે "સેપરેટિઝમ" વિરોધી કાયદા જેવા પગલાં લીધા હોવા છતાં ઓનલાઇન રેડિકલાઇઝેશનનો ખતરો યથાવત છે.
ભારતમાં રેડિકલાઇઝેશન: એક વાસ્તવવાદી દૃષ્ટિકોણ
ભારતમાં મુસ્લિમ સમુદાયમાં રેડિકલાઇઝેશનની પ્રક્રિયા જટિલ છે. તે ધર્મ, રાજકારણ અને સામાજિક અસમાનતાના નામે પ્રસરાવવામાં આવે છે, જેનો મૂળ હેતુ સમાજમાં વિભાજન અને હિંસા ફેલાવવાનો હોય છે.
દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટનાએ સાબિત કર્યું છે કે આતંકવાદ હવે અજ્ઞાનતાનું નહીં, પરંતુ વિચારધારાત્મક બ્રેઇનવોશિંગનું પરિણામ છે. શિક્ષિત મગજ જ્યારે અંધવિશ્વાસ અને ખોટી ધાર્મિક વ્યાખ્યાઓમાં ફસાઈ જાય છે, ત્યારે તે વધુ જોખમી બની જાય છે.
પડકારરૂપ પરિબળો:
ખોટી ધાર્મિક સમજણ: ISIS, અલ-કાયદા જેવા સંગઠનો ધાર્મિક ગ્રંથોનું ખોટું અર્થઘટન કરીને હિંસક "જિહાદ"નો પ્રચાર કરે છે.
સામાજિક-આર્થિક અસમાનતા: શિક્ષણ, રોજગારી અને રાજકીય પ્રતિનિધિત્વમાં પછાતપણું યુવાનોમાં ભેદભાવની લાગણી ઊભી કરે છે. કહેવાતા ધર્મગુરુઓ આ અસંતોષને રેડિકલ વિચારધારાઓ માટે ઉર્જક બનાવે છે.
ડિજિટલ પ્રચાર: આંતરરાષ્ટ્રીય સંગઠનોના ઓનલાઇન પ્રોપેગાન્ડાને કારણે યુવાનો સરળતાથી ખોટા માર્ગે વળી રહ્યા છે.
શાંતિ માટેનો માર્ગ: ચૂપકીદી તોડવી અનિવાર્ય
આતંકવાદની નિંદા કરવી એ કોઈ એક ધર્મની નહીં, પરંતુ સમગ્ર માનવજાતિની નૈતિક ફરજ છે.
26/11 કે તાજેતરના દિલ્હી બ્લાસ્ટ જેવી ઘટનાઓ પછી, જમિયત ઉલેમા-એ-હિન્દ અને દારુલ ઉલૂમ દેવબંદ જેવી ધાર્મિક સંસ્થાઓના નેતાઓએ આતંકવાદને ઇસ્લામ-વિરોધી ગણાવી સ્પષ્ટ નિંદા કરી છે. તેમ છતાં, આ વિરોધ અપેક્ષાએ ઘણો ઓછો છે.
સમુદાયના મોટા હિસ્સામાં ડર, સામાજિક દબાણ કે રાજકીય પ્રેરણાઓને કારણે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરવાની હિંમત ઓછી જોવા મળે છે. આ ચૂપકીદી આતંકવાદી વિચારધારાને અનાયાસ સહારો આપી દે છે.
આ સોમાલી-ડચ ચિંતક આયાન હિર્સી આલી-Ayaan Hirsi Ali ના શબ્દોમાં, "આતંકવાદ એ ધર્મનું અપહરણ છે, જે હિંસા અને ભયના નામે સમાજની નસોમાં ઝેર ફેલાવે છે. તેનો સામનો ફક્ત શસ્ત્રોથી નહીં, પણ સત્ય અને એકતાના અડગ નિશ્ચયથી જ થઈ શકે છે."
સમસ્યાનો ઉકેલ આરોપ-પ્રત્યારોપમાં નથી. મુસ્લિમ સમુદાયની આંતરિક સંસ્થાઓ, નેતાઓ અને બૌદ્ધિક વર્ગે મજબૂત, સંસ્થાકીય અને સતત વિરોધ ઊભો કરવો પડશે. આતંકવાદ સામેનો સ્પષ્ટ, નિર્ભય અને એકજૂટ અવાજ જ દેશને સુરક્ષિત રાખશે અને સમુદાયની સાચી, શાંતિપ્રિય ઓળખને પણ મજબૂત કરશે.
આ પણ વાંચો : Preamble of the Constitution : બંધારણનો આત્મા પ્રદૂષિત-મૂળ આમુખ પુનઃસ્થાપિત કરવાનો સમય પાકી ગયો!


