ન્યાય વિભાગનો નિર્ણય સૌથી મહત્વપૂર્ણ
ક્રિસ મેને જણાવ્યું કે, અમેરિકાના નિયમ 48(એ) (Rule 48(a)) મુજબ કોઈપણ ફોજદારી કેસ પાછો ખેંચવા અથવા રદ કરવા માટે ન્યાય વિભાગ (DoJ)ને કોર્ટની ઔપચારિક મંજૂરી લેવી ફરજિયાત હોય છે. તેથી ન્યાયાધીશ નિકોલસ ગારૌફિસ (Nicholas Garaufis) દ્વારા વધારાની સ્પષ્ટતા અથવા દસ્તાવેજો માંગવા જેવી પ્રક્રિયા અમેરિકાની કાનૂની વ્યવસ્થામાં સામાન્ય બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે આધુનિક અમેરિકન કાનૂની ઇતિહાસમાં એવો કોઈ દાખલો નથી, જેમાં સંઘીય અદાલતે (Federal Court) ન્યાય વિભાગને એવો કેસ ચલાવવા માટે મજબૂર કર્યો હોય, જેને સરકાર પોતે જ બંધ કરવા માંગતી હોય. કારણ કે ફોજદારી કાર્યવાહી ચલાવવાનો અધિકાર બંધારણીય રીતે કાર્યકારી શાખા (Executive Branch) પાસે છે અને અદાલતો સામાન્ય રીતે તેનું સન્માન કરે છે.
અદાણીના વકીલોએ દર્શાવી કેસની મુખ્ય નબળાઈઓ
24 જૂન, 2026ના રોજ અદાણી પક્ષે કોર્ટમાં રજૂ કરેલા પત્રમાં અમેરિકન સરકારના કેસની કેટલીક મહત્વપૂર્ણ નબળાઈઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. સૌથી પહેલો મુદ્દો અમેરિકન ક્ષેત્રાધિકાર (US Jurisdiction)નો છે. અદાણી પક્ષનું કહેવું છે કે સમગ્ર વ્યવહાર બિન-અમેરિકન સંસ્થાઓ અને ધિરાણદાતાઓ વચ્ચે થયો હતો. સંબંધિત તમામ દસ્તાવેજો પણ અમેરિકા બહાર તૈયાર અને મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ સમગ્ર વ્યવહાર અંગ્રેજી કાયદા (English Law) હેઠળ સંચાલિત હતો.
બીજો મહત્વપૂર્ણ મુદ્દો કથિત લાંચ (Bribery)નો છે. અદાણીના વકીલોના જણાવ્યા પ્રમાણે, ભારતના એક પૂર્વ વરિષ્ઠ નિયમનકારી અધિકારીના પુરાવા દર્શાવે છે કે જેને ગેરકાયદેસર ચૂકવણી કહેવામાં આવી રહી છે, તે વાસ્તવમાં રાજ્યની વીજ કંપનીઓને સોલાર એનર્જી (Solar Energy) કરારો માટે આપવામાં આવેલી કાયદેસર અને પારદર્શક વ્યાપારી કિંમતમાં રાહત (Commercial Discount) હતી, લાંચ નહીં.
ત્રીજો મુદ્દો રોકાણકારોના નુકસાન (Investor Loss) સાથે સંબંધિત છે. આરોપપત્રમાં ઉલ્લેખિત ચારેય વ્યવહારોમાં કોઈપણ રોકાણકારને આર્થિક નુકસાન થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો નથી.
જુલાઈ પહેલાં આવી શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
અદાણી પક્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન આશરે 500 પાનાંના દસ્તાવેજો, તથ્યો અને હાર્વર્ડ લો સ્કૂલ (Harvard Law School)ના પ્રોફેસરોના નિષ્ણાત અભિપ્રાયો ન્યાય વિભાગને સોંપ્યા હતા. કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે 13 જુલાઈ પહેલાં ન્યાય વિભાગ પોતાનો વિગતવાર જવાબ કોર્ટમાં રજૂ કરશે અને લાંબી સુનાવણી વગર આગામી થોડા અઠવાડિયામાં આ સમગ્ર કેસ રદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gautam Adani AGM Speech : વિરોધીઓ પર ગૌતમ અદાણીનો આકરો પ્રહાર, કંપનીએ નોંધાવ્યો રેકોર્ડ બ્રેક નફો