Mahashivratri 2026 : આર્ટ ઓફ લિવિંગના બેંગલુરુ આશ્રમમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
- મહાશિવરાત્રી 2026: બેંગલુરુ આશ્રમમાં ભક્તિનું ઘોડાપૂર!
- ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાન્નિધ્યમાં બેંગલુરુ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
- વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ તેમજ અમદાવાદમાં પણ રુદ્રપૂજા નું ભવ્ય આયોજન
Mahashivratri 2026 : મહાશિવરાત્રીના પાવન અવસર પર આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી (Guru Sri Sri Ravi Shankar) ના સાન્નિધ્યમાં બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભક્તિ અને શાંતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. 15 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલા આ ભવ્ય મહોત્સવમાં વિશ્વભરમાંથી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ (Devotees) ઉમટી પડ્યા હતા.
શિવતત્વ અને ચેતનાનો ઉત્સવ
આ પવિત્ર અવસરે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી (Guru Sri Sri Ravi Shankar) એ શિવરાત્રીના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "મહાશિવરાત્રી એ એવો ક્ષણ છે જ્યારે આત્મા ભૌતિક દુનિયાને પાર કરી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આપણું ચૈતન્ય (Consciousness) સ્વરૂપ જ શિવ છે. શિવમાં લીન થવું એ ભક્તિ (Devotion) છે અને દરેકમાં શિવને જોવું એ સેવા (Service) છે. ગુરુદેવે ભક્તોને હૃદયમાં સ્થિત અવિનાશી તત્વ પર વિશ્વાસ રાખવા પ્રેરિત કર્યા હતા.
રુદ્રપૂજા : પ્રાચીન વૈદિક પરંપરા - (Guru Sri Sri Ravi Shankar)
ઉજવણીનું મુખ્ય આકર્ષણ પવિત્ર રુદ્રપૂજા (Rudra Puja) હતી. આ એક શક્તિશાળી વૈદિક વિધિ (Vedic Ritual) છે જે નકારાત્મકતાનો નાશ કરી ઉચ્ચ ચેતનાને જાગ્રત કરવાનું પ્રતિક છે. 'શ્રી રુદ્રમ' ના મંત્રોચ્ચારથી વાતાવરણ પવિત્ર બન્યું હતું. માત્ર બેંગલુરુ જ નહીં, પરંતુ કેનેડા, દુબઈ અને જર્મની સહિત વિશ્વના 150 સ્થળોએ પણ આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વૈશ્વિક એકતાના દર્શન
આ મહોત્સવમાં ભારત ઉપરાંત બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીન અને મધ્યપૂર્વ સહિત 50થી વધુ દેશોના શ્રદ્ધાળુઓ સહભાગી થયા હતા. જ્યા આશરે 3 લાખથી વધુ લોકોએ 15 ટન શાકભાજીમાંથી તૈયાર કરેલો મહાપ્રસાદ (Holy Food) ગ્રહણ કર્યો હતો. આ શુભ દિવસે ગુરુદેવના હાજરીમાં બે ડઝનથી વધુ વૈદિક લગ્ન અને ષષ્ટિપૂર્તિ વિધિઓ સંપન્ન થઈ હતી. ઓફલાઈન કાર્યક્રમ ઉપરાંત, ઐતિહાસિક સિદ્ધિરૂપે 120 દેશોમાંથી એક લાખથી વધુ લોકો લાઇવ વેબકાસ્ટ દ્વારા ઉજવણીમાં ઓનલાઈન જોડાયા હતા.
ગુજરાતમાં શિવરાત્રીનો ઉત્સાહ
ગુજરાતમાં પણ આર્ટ ઓફ લિવિંગ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગના વાસદ સ્થિત આશ્રમમાં કૌશિક સ્વામીજી (કાશી ભૈયા) ના સાનિધ્યમાં હજારો ભક્તોએ રુદ્રપૂજાનો લાભ લીધો હતો. આ ઉપરાંત, અમદાવાદ શહેરના શિવરંજની સ્થિત મુખ્ય ધ્યાન કેન્દ્ર (Meditation Center) પર પણ વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શિવરાધનામાં લીન થયા હતા.
આ પણ વાંચો : Mahashivratri 2026 Muhurat : મહાશિવરાત્રી પર 10 શુભ યોગનો મહાસંયોગ, જાણો તિથિ, શુભ મુહૂર્ત અને પારણાનો સાચો સમય


