Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, કારમાં મોતને ભેટેલો શખ્સ ડૉ.ઉમર હોવાનો DNA મેચ
- દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો
- ડૉક્ટર ઉમરના પરિવાર સાથે DNA થયા મેચ
- તપાસમાં જ ડૉ. ઉમર શંકાના દાયરામાં હતો
- i20 કાર 11 દિવસ પહેલાં જ ખરીદી હતી
Delhi Blast Case: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ (Delhi Blast) ને સરકારે આતંકી સડયંત્ર ગણાવ્યું છે. ત્યારે આ બ્લાસ્ટ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. વિસ્ફોટમાં કારમાં મોતને ભેટેલા કાશ્મીરી ડૉક્ટર ઉમર ઉન નબી હોવાનું DNA રિપોર્ટમાં બહાર આવ્યું છે. તે જૈશ-એ-મોહમ્મદના લોજિસ્ટિક્સ મોડ્યુલ સાથે સંકળાયેલો હોવાની વાત પણ સામે આવી છે. ગત 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ પાછળનું રહસ્ય અંતે DNA રિપોર્ટે ખૂલ્લુ પાડી દીધું છે. ઉમરની માતા અને તેના ભાઈના 100 ટકા DNA મેચ થયા છે. તપાસ એજન્સીઓએ કહ્યું કે કારમાં વિસ્ફોટ દરમિયાન માર્યો ગયેલો કાશ્મીરનો ડૉ.ઉમર ઉન નબી હતો. પ્રાથમિક તપાસમાં જ ડૉ. ઉમર શંકાના દાયરામાં હતો. તેણે ઘટનાના 10 દિવસ પહેલા વિસ્ફોટમાં વપરાયેલી સફેદ હ્યુન્ડાઇ i20 કાર ખરીદી હતી.
જૈશ-એ-મોહમ્મદ લોજિસ્ટિક્સ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો
કાર વિસ્ફોટ બાદ કારની નજીક તેમના મૃતદેહના અંગો મળી આવ્યા હતા, પરંતુ ઓળખ થઈ શકી ન હતી. આખરે પુલવામામાં તેમના પરિવાર પાસેથી એકત્રિત કરાયેલા નમૂનાઓના આધારે DNA પરીક્ષણ બાદ તે વ્યક્તિ ડૉ. ઉમર હોવાની પુષ્ટિ થઈ છે અને તે જ હુમલાખોર હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે ઉમર ફરીદાબાદ લખનૌ અને દક્ષિણ કાશ્મીર વચ્ચે કાર્યરત જૈશ-એ-મોહમ્મદ (JeM) લોજિસ્ટિક્સ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો. આ મોડ્યુલમાં આશરે 9 થી 10 સભ્યો હતા, જેમાં 5 થી 6 ડોકટરોનો સમાવેશ થતો હતો. આ ડોકટરોએ રાસાયણિક પદાર્થો અને વિસ્ફોટક સામગ્રી મેળવવા માટે તેમની વ્યાવસાયિક ઓળખનો ઉપયોગ કર્યો હતો. 9 નવેમ્બરના રોજ એટલે કે વિસ્ફોટના બરાબર એક દિવસ પહેલા પોલીસે ફરીદાબાદના એક વેરહાઉસમાંથી 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું હતું તેના થોડા સમય પછી ડૉ. ઉમર ગુમ થઈ ગયો હતો. જેથી તેને શોધવા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. છેલ્લે તે ધૌજ ગામ નજીક દેખાયો હતો. તેણે પોતાના 5 મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. તપાસ દરમિયાન ઉમર તા. 30 ઓક્ટોબરથી યુનિવર્સિટીએ ડ્યુટી પર હાજર થયા ન હોવાનું જણાયું હતું.
આ આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ઘણા વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે. ફરીદાબાદમાં ધરપકડ કરાયેલ ડૉ. શાહીન શાહિદ, ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ, જમાત-ઉલ-મોમિનીનના વડા હોવાનો આરોપ છે. ડૉ. મુઝમ્મિલ અહેમદ અને ડૉ. તજામુલ અહેમદ મલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓએ દક્ષિણ કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના કાર્યકરોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે, ખાસ કરીને મૌલવી ઇરફાનની ધરપકડ પછી, જેના પર ત્રણ ડૉક્ટરોને કટ્ટરપંથી બનાવવાનો આરોપ છે.પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઉમર અને ડૉ. મુઝમ્મિલ બંને તુર્કી ગયા હતા, જ્યાં તેમના હેન્ડલર્સે તેમને સૂચનાઓ આપી હતી. તેમના પાસપોર્ટ તુર્કીની મુસાફરીનો પુરાવો દર્શાવે છે, તેઓ ચોક્કસ ટેલિગ્રામ જૂથોમાં જોડાયા પછી ત્યાં ગયા હતા.
મુંબઈ હુમલા જેવો જ મોટો હુમલો કરવાનો ઈરાદો!
આ હેન્ડલર્સે ડૉક્ટર મોડ્યુલને ભારતમાં ફેલાવવા અને ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવવા સૂચના આપી હતી. આ ડોકટરોને બે ટેલિગ્રામ ગ્રુપ દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક પાકિસ્તાન સ્થિત જૈશ હેન્ડલર ઉમર દ્વારા સંચાલિત હતું. અધિકારીઓ માને છે કે 2008ના મુંબઈ હુમલા જેવો જ મોટો હુમલો કરવાનો તેઓનો ઈરાદો હતો. કાશ્મીરના પુલવામાના કોઇલ ગામમાં રહેતા ઉમરનો પરિવાર આઘાતમાં છે. એક સંબંધીએ કહ્યું,"તે ખૂબ જ શાંત અને અંતર્મુખી હતો. તે પોતાનો મોટાભાગનો સમય પુસ્તકો વાંચવામાં વિતાવતો હતો અને કોઈની સાથે વધારે વાત કરતો નહોતો. જોકે, પોલીસ સૂત્રો કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું વર્તન બદલાઈ ગયું હતું. તે વારંવાર ફરીદાબાદ અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતો હતો અને રામલીલા મેદાન અને સુનેહરી મસ્જિદ નજીકની મસ્જિદોમાં જોવા મળતો હતો.સીસીટીવી ફૂટેજમાં પણ તે વિસ્ફોટ પહેલા બપોરે 3 વાગ્યે આજ મસ્જિદ પાસે પોતાની કાર પાર્ક કરતો અને પછી સાંજે લાલ કિલ્લા તરફ જતો દેખાય છે. હાલ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ઉત્તર પ્રદેશ ATS સહિત એજન્સીઓ ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદોની શોધ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ રાજધાની અને અન્ય મોટા શહેરોમાં હાઇ એલર્ટ જારી કર્યું છે.
12 લોકોના મોત 24થી વધુ ગંભીર
ઉલ્લેખનીય છે કે આ હચમચાવતી વિસ્ફોટની ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. આમાંથી 9 લોકોની ઓળખ થઈ છે. આતંકવાદી ઉમર મોહમ્મદના મૃતદેહની ઓળખ સાથે કુલ 10 લોકોની ઓળખ થઈ ગઈ છે. જ્યારે 24થી વધુ લોકોની હાલત ગંભીર છે. ઉમરના શરીરના ભાગો એક કારમાંથી વિકૃત હાલતમાં મળી આવ્યા હતા.
ડોક્ટર બન્યો આતંકી
ડૉ. ઉમર ઉન નાબી (ઉંમર 32-32 વર્ષ) કાશ્મીરના પુલવામા જિલ્લાના કોઇલ (અથવા કોયલ) ગામના રહેવાસી હતો. તે MBBS તાલીમ લઈને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં સિનિયર ડૉક્ટર તરીકે કાર્યરત હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ તે શાંત, અંતર્મુખી અને અભ્યાસમાં રસ ધરાવતા વ્યક્તિ હતો. તે ભાગ્યે જ બહાર નીકળતો. જોકે, છેલ્લા બે મહિનામાં તેનું વર્તન બદલાયું હતું. તે ઘણી વખત દિલ્લી-ફરીદાબાદ વચ્ચે મુસાફરી કરતા અને રામલીલા મેદાન અને સુનેહરી મસ્જીદ જેવા સ્થળો પર જતો. તે બ્લાસ્ટના દિવસે બપોરે 3 વાગ્યે મસ્જીદ પાસે કાર પાર્ક કરીને રેડ કિલ્લા તરફ નીકળ્યો હતો.તેણે i20 કાર 11 દિવસ પહેલાં ખરીદી હતી.
આ પણ વાંચોઃ Delhi Blast Live Updates : દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર