India-US Trade Deal: શું સદાબહાર મિત્ર રશિયાનો છૂટશે સાથ? ભારતીય કંપનીઓએ રશિયન OIL ખરીદી બંધ કરવા સમય માંગ્યો
. ભારત-અમેરિકાની ટ્રેડ ડીલથી વ્યાપાર જગતમાં ઉત્સાહ
. ડીલમાં રશિયાથી ખનીજતેલની ખરીદી બંધ કરવાની ટ્રમ્પની શરત
. રશિયાના ખનીજતેલ પરની નિર્ભરતા શૂન્ય કરાશે તેના પર નજર
. રશિયા પાસેની ખનીજતેલની આયાત શૂન્ય થશે, તો ભાવ વધશે?
India-US Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપાર કરાર બાદ ભારતના ઊર્જા ક્ષેત્રમાં મોટી હલચલ શરૂ થઈ ચુકી છે. કરાર હેઠળ, ભારતે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી બંધ કરવા અને બદલામાં અમેરિકા તથા વેનેઝુએલાથી ખનીજતેલની આયાત વધારવા પર સંમતિ દર્શાવી છે.
જો કે ભારતીય ઓઈલ કંપનીઓનું કહેવું છે કે રશિયાના ખનીજતેલની આાતને સંપૂર્ણપણે રોકવા માટે તેમને સમય જોઈશે, જેથી તે બદલાતી વ્યવસ્થાની સાથે તાલમેલ બેસાડી શકે. કંપનીઓનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં બુક કરાવવામાં આવેલું રશિયાનું ખનીજતેલ કાર્ગો માર્ગથી ભારત પહોંચી રહ્યું છે. જો કે સરકારે હાલ ઔપચારિકપણે રશિયાથી ખનીજતેલની આયાત બધ કરવાનો કોઈ આદેશ જાહેર કર્યો નથી.
આ પણ વાંચો : India-US Trade Deal: પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને પીએમ મોદીના દાવાઓ તો અલગ છે, ટેરિફ ડીલ પર ચીનની પ્રતિક્રિયા
કરારની મુખ્ય શરતો અને અસર?
સોમવારે ઘોષિત આ વ્યાપાર સોદાના કેન્દ્રમાં ટેરિફ અને ઊર્જા નીતિ છે. અમેરિકા ભારતીય સરસામાન પર લગાવવામાં આવેલા ટેરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેશે. તેના બદલામાં ભારતે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી બંધ કરવી પડશે અને પોતાની વ્યાપારિક અડચણોને ઘટાડવી પડશે. ભારત હવે પોતાની જરૂરિયાતો માટે અમેરિકા અને સંભવિતપણે વેનેઝુએલાથી વધુ ખનીજતેલ ખરીદશે.
રિફાઈનરીઓના પડકારો અને હાલની સ્થિતિ
રિફાઈનિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા બે સૂત્રોએ રૉયટર્સને જણાવ્યું કે સરકાર તરફથી હજી સુધી સત્તાવારપણે આયાત રોકવા માટે લેખિત આદેશ આપવામાં આવ્યો નથી. રિફાઈનરીઓની સામે કેટલીક તકનીકી અને વ્યાપારિક અડચણો છે.
. ભારતીય કંપનીઓએ પહેલા જ ફેબ્રુઆરીમાં લોડ થનારા અને માર્ચમાં ભારત પહોંચનારા કાર્ગો બુક કરી લીધા છે. આ સકારોને પૂર્ણ કરવાનો સમય જોઈશે.
. નયારા એનર્જીને સંકટ- રશિયા સમર્થિત આ રિફાઈનરીની ક્ષમતા 4 લાખ બેરલ પ્રતિ દિવસની છે. આ સંપૂર્ણપણે રશિયાના ખનીજતેલ પર નિર્ભર છે, કારણ કે ઈરાક અને સાઉદી અરેબિયાએ પહેલેથી જ હાથ ખેંચી લીધા છે.
. સૂત્રોનું કહેવું છે કે નયારા એપ્રિલમાં પોતાની રિફાઈનરીને મેન્ટેન્સ માટે બંધ કરી રહી છે, જેનાથી તે દરમિયાન રશિયાના ખનીજતેલની આયાત આપોઆપ શૂન્ય થઈ જશે.
આ પણ વાંચો : India-US Trade Deal: PM મોદીએ પત્રકારોને કહ્યુ-થેન્ક યૂ, ભારત-અમેરિકા વ્યાપાર કરાર પર પહેલી પ્રતિક્રિયા
રશિયન ખનીજતેલ પર મૌન
2022માં યૂક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત અને રશિયાના ખનીજતેલનું સૌથી મોટું ખરીદદાર બની ગયું હતું. અમેરિકાનો ઉદેશ્ય રશિયાની આવક ઘટાડવાનો છે, જેથી યુદ્ધ માટે તેનું ફંડિંગ રોકી શકાય. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે અમે વ્યાપાર અને રશિયા-યૂક્રેન યુદ્દને સમાપ્ત કરવા સહીત ઘણાં વિષયો પર વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના ખનીજતેલની ખરીદી બંધ કરવા અને અમેરિકા તથા વેનેઝુએલાથી વધુ ખરીદી માટે સંમત થયા છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશયલ મીડિયા પર ટેરિફ ઘટાડવા પર પ્રસન્નતા વ્યક્ત કરી, પરંતુ રશિયાના ખનીજતેલની આયાત બંધ કરવાના વિષય પર સીધું કોઈ નિવેદન આપ્યું નથી. ભારતે પહેલેથી જ ધીરેધીરે પોતાના ખનીજતેલની આપૂર્તિમાં વિવિધતા લાવી દીધી છે. ગત બે વર્ષોમાં ડિસમ્બરમાં રશિયાના ખનીજતેલની આાત સૌથી નીચલા સ્તર પર પહોંચી છે. ભારતીય આયાતમાં ઓપેક દેશોની હિસ્સેદારી 11 મહિનાના ઉચ્ચસ્તર પર પહોંચી ગઈ છે. અમેરિકાએ સંકેત આપ્યો છે કે ભારત-રશિયા ખનીજતેલની અછત પૂર્ણ કરવા માટે વેનેઝુએલાથી ખનીજતેલ ખરીદવાનું ફરીથ શરુ કરી શકે છે.
ભારત માટે આ સમજૂતી એક તરફ અમેરિકાના બજારમાં પહોંચનો માર્ગ ખોલે છે, તો બીજી તરફ પોતાની રિફાઈનરીઓ માટે ઊર્જાના નવા અને સ્થાયી સ્ત્રોત શોધવાનો પડકાર રજૂ કરે છે. આગામી મહિનાઓમાં આ જોવું મહત્વનું હશે કે ભારત સરકાર કેવી રીતે રશિયાના ખનીજતેલ પરની પોતાની નિર્ભરતા શૂન્ય પર લઈ જાય છે.
આ પણ વાંચો : ભારતને ટેરિફ કિંગ ગણાવતું US કેમ થયું મહેરબાન? શું EU વાળી ડીલનું ટ્રમ્પને હતું ટેન્શન?


