ચંદીગઢ એરપોર્ટ પર મોટી દુર્ઘટના,IndiGo ફ્લાઇટમાં પાવર બેંક ફાટતાં વિસ્ફોટ, 5 મુસાફરો ઘાયલ
- ચંદીગઢ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ ઇન્ડિગો ફ્લાઇટ 6E108 માં સર્જાઈ દુર્ઘટના (IndiGo Flight Explosion)
- સીટ નંબર 39-40 પાસે પાવર બેંક ફાટતા સમગ્ર કેબિનમાં ધુમાડો ફેલાયો
- ઇમરજન્સી સ્લાઇડર દ્વારા મુસાફરોને બહાર કાઢતા 5 થી 6 લોકો ઘાયલ
- એક મહિલા મુસાફરને પગમાં ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં સર્જરીની ભલામણ
ચંદીગઢના શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Shaheed Bhagat Singh International Airport) પર મંગળવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. ગોવાથી હૈદરાબાદ થઈને ચંદીગઢ પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E108 (IndiGo Flight 6E108) માં લેન્ડિંગ બાદ અચાનક વિસ્ફોટ સાથે ધુમાડો ફેલાતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પ્રારંભિક તપાસ મુજબ, સીટ નંબર 39-40 પાસે રાખવામાં આવેલી એક પાવર બેંકમાં (Power Bank Blast) વિસ્ફોટ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
IndiGo Flight Explosion : કેબિનમાં ધુમાડો અને ક્રૂની સતર્કતા
વિમાનમાં વિસ્ફોટ થતાંની સાથે જ સમગ્ર કેબિન ધુમાડાથી ભરાઈ ગઈ હતી. પરિસ્થિતિને પારખીને ફ્લાઇટ એટેન્ડન્ટ્સ અને ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક અગ્નિશામક ઉપકરણો (Fire Extinguishers) વડે આગ અને ધુમાડાને કાબૂમાં લીધા હતા. ક્રૂની સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ મુસાફરોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી.
રેસ્ક્યુ દરમિયાન મુસાફરો ઘાયલ
દુર્ઘટના બાદ વિમાનને તાત્કાલિક પાર્કિંગ બેમાં ખસેડવામાં આવ્યું હતું અને ઇમરજન્સી એક્ઝિટ ગેટ (Emergency Exit Gate) ખોલી દેવામાં આવ્યા હતા. મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડર (Emergency Slider) દ્વારા બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ઉતાવળ અને ગભરાટમાં 5 થી 6 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાં કેટલાક વરિષ્ઠ નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
બચાવ કાર્યમાં મહિલાને ફ્રેક્ચર
ઘટનાના પ્રત્યક્ષદર્શી સૌરભ નામના મુસાફરે જણાવ્યું કે, ઇમરજન્સી સ્લાઇડર પરથી નીચે ઉતરતી વખતે તેમની પત્નીનો પગ મચકોડાઈ ગયો હતો. એરપોર્ટ ઓથોરિટી અને ઇન્ડિગો સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક ઝીરકપુરની એએમ કેર હોસ્પિટલ (AM Care Hospital) માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક્સ-રેમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે અને ડોક્ટરોએ સર્જરીની સલાહ આપી છે.
હાલમાં એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) અને ઇન્ડિગો મેનેજમેન્ટ (IndiGo Management) આ મામલે તપાસ કરી રહ્યા છે. અકસ્માતનું સચોટ કારણ જાણવા માટે ટેકનિકલ ટીમો કાર્યરત છે. આ ઘટનાએ એરક્રાફ્ટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સુરક્ષા અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિને મળ્યા બાદ Raghav Chadha નો વિસ્ફોટ: "AAP ને ગણાવી ટોક્સિક પાર્ટી"


