Jaipur Accident : વિસ્ફોટ એટલો જોરદાર કે 10 KM સુધી તેનો અવાજ સંભળાયો
- જયપુરમાં ભયાનક અકસ્માત
- ત્રણ ડઝનથી વધુ વાહનોમાં આગ લાગી
- ઘણા ખરાબ રીતે દાઝી ગયા
- ઘણાની હાલત અત્યંત ગંભીર
Jaipur Accident : જયપુરમાં આજે સવારે એક એવો ભયાનક અકસ્માત જોવા મળ્યો જેના વિશે જેણે પણ સાંભળ્યું તે ચોંકી ગયું. આજે અજમેર રોડ પર ભાંકરોટા ખાતે ગેસ ટેન્કર ટ્રક સાથે અથડાયા બાદ ત્રણ ડઝનથી વધુ વાહનોમાં આગ લાગી હતી. અકસ્માતમાં ઘણા લોકો બચી ગયા હતા જ્યારે ઘણા ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ઘણાની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
વિસ્ફોટનો અવાજ 10 KM સુધી સંભળાયો
આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોટાભાગના લોકો સુતા હતા. લગભગ સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ થયો હતો. ભાંકરોટાના પુષ્પરાજ પેટ્રોલ પંપ પાસે LPG ભરેલા ટેન્કર સાથે ટ્રોલી જોરદાર અથડાઈ હતી. જેના કારણે ટેન્કરમાં ગેસ લીક થવા લાગ્યો હતો અને તેમાં આગ લાગી હતી અને મોટો વિસ્ફોટ થયો હતો. આગ લગભગ 300 મીટરમાં આવેલા તમામ વાહનોને ઝપટમાં લીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો. આગને કારણે અન્ય અનેક વાહનોની ઈંધણની ટાંકીઓ પણ ફાટી ગઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઉંચી નીકળતી જ્વાળાઓ લાંબા અંતર સુધી જોવા મળી હતી.
30 થી વધુ ફાયર વાહનો સ્થળ પર
ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયા પછી, આગ સ્લીપર બસ, ઘણી કાર, ટ્રક અને બાઇક સવારોને લપેટમાં આવી હતી. સદનસીબે આગ પેટ્રોલ પંપની ટાંકી સુધી પહોંચી ન હતી. અન્યથા આ અકસ્માત વધુ ગંભીર બની શક્યો હોત. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. 30 થી વધુ ફાયર વાહનો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ થયા હતા.
CM ભજનલાલે ઘાયલોની સ્થિતિ જાણવા પહોંચ્યા હોસ્પિટલ
દરમિયાન એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ હતી. પોલીસ અને પ્રશાસનની ટીમે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું શરૂ કર્યું. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ ડઝન જેટલા ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યા સુધીમાં 4 મૃતદેહો હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે 35 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગનાની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઘાયલોની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા અને યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો: જયપુરમાં ભયાનક અકસ્માત, 40 ગાડીઓમાં લાગી આગ; 30થી વધુ લોકો દાઝ્યા