Jharkhand Breaking News : ઝારખંડના પલામુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ભેળસેળયુક્ત તેલનું સેવન કરવાથી એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે અન્ય એક મહિલા રાંચીના રિમ્સ ખાતે સારવાર હેઠળ છે. સિક્કા ગામના રહેવાસી આ પરિવારે કથિત રીતે સરસવના તેલમાં કોઈ અજાણ્યા પાવડરનું મિશ્રણ કરીને ઉપયોગ કર્યો હતો, જે તેમના માટે જીવલેણ સાબિત થયો.
એક જ પરિવારના 5 સભ્યના મોત
ઉલ્લેખનીય છે કે એક જ પરિવારના 5 લોકોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. મૃતકોની ઓળખની વાત કરીએ તો કુલદીપ મહતો (50), તેમની પુત્રીઓ બબીતા કુમારી (20), ઇન્દુ કુમારી, પુત્રવધૂ શ્વેતા દેવી (28) અને પુત્ર નકુલ મહતો (20) તરીકે થઈ છે. કુલદીપ મહતોની પત્ની લાખો દેવી (52) હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.
ભેળસેળયુક્ત ખાદ્ય તેલ ખાવાથી મોત થયા હોવાની આશંકા
રિમ્સના ડોકટરના જણાવ્યા હતુ કે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ભેળસેળયુક્ત ખાદ્ય તેલ ખાવાથી એપેડેમિક ડ્રોપ્સી નામની ઝેરી સ્થિતિ થઈ હશે. આ સ્થિતિ સામાન્ય રીતે આર્જેમોન મેક્સિકાના બીજ તેલને સરસવના તેલમાં ભેળવવાથી થાય છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે.
પરિવાર આધુનિક દવા કરતા તંત્રમાં વધુ માનતો હોવાનો સ્થાનિકોનો દાવો
આ દરમિયાન, પલામુ સિવિલ સર્જન ડૉ. અનિલ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પરિવારને સારવાર માટે ઘણી વખત હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આધુનિક દવામાં વિશ્વાસ રાખતા ન હતા અને નિયમિતપણે દવાઓ લેતા ન હતા.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, પરિવારનો એક સભ્ય લગભગ છ મહિના પહેલા બીમાર પડ્યો હતો. તેને એક ભુવા પાસે લઈ જવામાં આવ્યો હતો, જેણે કથિત રીતે પાવડર લખી આપ્યો હતો. પરિવારે સરસવના તેલમાં ભેળવેલા પાવડરનું સેવન કર્યું હતું, જેના પછી તેની તબિયત લથડતી રહી. પોલીસ અને આરોગ્ય વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં પડશે વરસાદ