મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભયાનક અકસ્માત! બેકાબૂ Truck ચાલકે 15થી 20 વાહનને ફંગોળ્યા, 2ના મોત
- દારૂના નશામાં Truck ચાલક બન્યો યમદૂત
- મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભયાનક અકસ્માત
- બેકાબૂ ટ્રક ચાલકે 15થી 20 વાહનને ફંગોળ્યા
- અકસ્માતમાં 2 લોકોના મોત, 11 ઈજાગ્રસ્ત
- ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રકને સળગાવી મારી
- ભીડને કાબૂમાં લેવામાં પોલીસને પડ્યા ફાંફા
- CM મોહન યાદવે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
Indore Truck Accident : મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં સોમવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેણે સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી. એરપોર્ટ રોડ પર એક દારૂડિયા Truck ચાલકે અનેક વાહનોને ટક્કર મારી, જેમાં બે લોકોના કરુણ મોત થયા અને અન્ય ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને ગુસ્સે ભરાયેલી ભીડે ટ્રકને આગ ચાંપી દીધી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે પોલીસને પણ ભીડને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી. મુખ્યમંત્રી મોહન યાદવ અને કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી અને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા.
અકસ્માતની કરુણ ઘટનાક્રમ
સોમવારે રાત્રે ઇન્દોરના એરપોર્ટ રોડ પર એક ભયાનક દ્રશ્ય સર્જાયું. એક બેકાબૂ Truck ચાલક જે દારૂના નશામાં હોવાનું કહેવાય છે, તેણે પોતાનું વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું. ટ્રક એક પછી એક 15થી 20 જેટલા વાહનોને અથડાતી આગળ વધવા લાગી. આ ઘટના એટલી ઝડપી અને ભયાનક હતી કે કોઈને પણ પોતાને સંભાળવાનો કે બચવાનો સમય મળ્યો નહીં. આ દરમિયાન, એક બાઇક ટ્રકની નીચે ફસાઈ ગઈ, પરંતુ ટ્રક રોકાઈ નહીં. ઘસડાઈ રહેલી બાઇક સાથે ટ્રક આગળ વધતી રહી, જેના પરિણામે એક તીવ્ર વિસ્ફોટ થયો અને ટ્રકમાં આગ લાગી ગઈ. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં લોકો ડરી ગયા હતા.
બચાવ કાર્ય અને મૃતકોની ઓળખ
ઘટનાની જાણ થતાં જ મલ્હારગંજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસ અને વહીવટી અધિકારીઓએ યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં 2 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા, જ્યારે 9 અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ તરત જ પોલીસે આરોપી Truck ચાલકની ધરપકડ કરી લીધી છે. પોલીસ કમિશનર અમિત સિંહે જણાવ્યું કે, "અમને અકસ્માતની જાણ થતા જ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા."
Truck ડ્રાઈવર દ્વારા અકસ્માત બાદ રાજકીય નેતાઓનો હસ્તક્ષેપ
આ કરુણ ઘટના પર મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા. તેમણે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને તપાસ માટે ઇન્દોર જવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ખાસ કરીને રાત્રે 11 વાગ્યા પહેલા શહેરમાં ભારે વાહનોના પ્રવેશના કારણોની તપાસ કરવા જણાવ્યું છે.
કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોના ખબરઅંતર પૂછ્યા. તેમણે જણાવ્યું કે આ ટ્રક 'નો-એન્ટ્રી' વિસ્તારમાં કેવી રીતે ઘુસી ગઈ તે અંગે પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ઘટના માટે જે કોઈ પણ જવાબદાર હશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ભયાનક અકસ્માત બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. અકસ્માત જોનારા લોકો અને આસપાસના સ્થાનિકોએ ભેગા થઈને ટ્રકને આગ ચાંપી દીધી. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે પોલીસ માટે પણ ભીડને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ.
આ પણ વાંચો : Udaipur : દીકરીને બચાવવામાં મગરનો શિકાર બની માતા