Mahayuti Manifesto : BMC ચૂંટણી માટે મહાયુતિએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, મહિલાઓને અપાશે બસ ભાડામાં 50%ની છૂટ!
BMC ની ચૂંટણી માટે મહાયુતિએ ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર (Mahayuti Manifesto )
મુંબઇવાસીઓ માટે ઢંઢેરામાં કરાઇ છે મોટી જાહેરાત
મહિલાઓને બસ ભાડામાં 50 ટકા છૂટની કરાઇ જાહેરાત
મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની આગામી ચૂંટણી માટે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને રિપબ્લિકન પાર્ટી (અઠાવલે)ના ગઠબંધન 'મહાયુતિ'એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં આ મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં મુંબઈના પરિવહન અને મહિલા સુરક્ષાને મુખ્ય પ્રાથમિકતા આપવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય BESTની બસ 5,000 થી વધારીને 10,000 સુધી લઈ જવાનો છે. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂકવામાં આવશે અને મહિલા મુસાફરો માટે બસ ભાડામાં 50 ટકાની મોટી છૂટ આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે.
#WATCH | Mumbai: Mahrashtra CM Devendra Fadnavis, along with Deputy CM Eknath Shinde and BJP National General Secretary Vinod Tawde launch Mahayuti's manifesto for BMC elections. pic.twitter.com/Tl03IaysSB
— ANI (@ANI) January 11, 2026
Mahayuti Manifesto : BMC ની ચૂંટણી માટે મહાયુતિએ વચનોની કરી લ્હાણી
બીજા મહત્વના પાસા તરીકે મુંબઈના માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મહાયુતિએ મુંબઈને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર બનાવવા માટે વરસાદી પાણીની નિકાસની ડ્રેનેજ સિસ્ટમ અને ગટર વ્યવસ્થાને આધુનિક બનાવવાની ખાતરી આપી છે. સાથે જ, મેટ્રો અને રેલવે સ્ટેશનથી લોકોના ઘર સુધી પહોંચવા માટે 'મીડી' અને 'મીની' જેવી નાની બસ સેવાઓ શરૂ કરવામાં આવશે, જેથી 'લાસ્ટ માઇલ કનેક્ટિવિટી' સુધારી શકાય. જોકે, આ ઢંઢેરા સામે વિપક્ષે આકરા તેવર બતાવ્યા છે. NCP (શરદ પવાર) ના નેતા સુપ્રિયા સુલેએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે થાણે જેવા શહેરોમાં આજે પણ પાણીની તંગી અને કચરાના નિકાલ જેવી પાયાની સમસ્યાઓ વણઉકેલાયેલી છે.
Mahayuti Manifesto : મેનિફેસ્ટો પર વિરોધ પક્ષે કર્યા પ્રહાર
રાજકીય ગરમાવો વધારતા સંજય રાઉતે પણ ભાજપ અને અજિત પવાર જૂથની આકરી ટીકા કરી છે. રાઉતે આક્ષેપ કર્યો હતો કે પુણે જેવા સાંસ્કૃતિક શહેરને આજે 'ગુંડાઓના શહેર' તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે કારણ કે સત્તાધારી પક્ષોએ અનેક ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોના સંબંધીઓને ચૂંટણીની ટિકિટ આપી છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે આ લોકો ગુંડાગીરી વગર ચૂંટણી જીતી શકતા નથી અને જો શક્ય હોત તો તેઓ દાઉદના સંબંધીઓને પણ ટિકિટ આપતા અચકાત નહીં. આમ, એક તરફ મહાયુતિ વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરી છે, તો બીજી તરફ વિપક્ષ કાયદો-વ્યવસ્થા અને પાયાની સુવિધાઓ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે.


