Middle East Conflict વચ્ચે ભારત માટે આવ્યા ગુડ ન્યૂઝ; ગેસ લઈને આવતું જહાજ સુરક્ષિત
- LPG ભરેલું MT સર્વ શક્તિ જહાજ હોર્મુઝ ઓળંગી ગયું
- 46 હજાર મેટ્રિક ટન ગેસ સાથે 13 મે એ પહોંચશે ભારત
- જહાજ પર સવાર 18 ભારતીય નાવિકો સંપૂર્ણ સુરક્ષિત
- અત્યાર સુધીમાં 3000 નાવિકોની થઈ ઘરવાપસી
- દેશના તમામ મોટા બંદરો પર કામગીરી નોર્મલ
મિડલ ઈસ્ટમાં (Middle East) વધતી જતી અશાંતિને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. જોકે, આ સંકટ વચ્ચે ભારત માટે ગેસ લઈને આવી રહેલું જહાજ 'MT સર્વ શક્તિ' સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ના અત્યંત સંવેદનશીલ અને જોખમી દરિયાઈ માર્ગને સુરક્ષિત રીતે ઓળંગી ગયું છે. આ જહાજ માર્શલ આઇલેન્ડમાં રજિસ્ટર્ડ થયેલું છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ જહાજ આગામી 13 મે સુધીમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) બંદરે પહોંચી જશે, જેનાથી દેશને જરૂરી એલપીજીનો જથ્થો કોઈપણ અડચણ વગર મળી રહેશે.
ભારતીય નાવિકોની સુરક્ષા પર સરકારની બાજ નજર
જહાજ 'MT સર્વ શક્તિ' પર કુલ 20 કર્મચારીઓ કાર્યરત છે, જેમાંથી 18 નાવિકો ભારતીય મૂળના છે. મિડલ ઈસ્ટના તણાવ અને દરિયાઈ માર્ગોમાં ઉભા થઈ રહેલા અવરોધોને જોતા ભારત સરકાર સતત એલર્ટ મોડમાં છે. વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસો દરિયાઈ ક્ષેત્રના નિષ્ણાતો સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. છેલ્લા 24 કલાકમાં કોઈ પણ ભારતીય જહાજ સાથે કોઈ અપ્રિય ઘટના બની નથી અને તમામ ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું મંત્રાલયે જાહેર કર્યું છે.
બંદરો પર સામાન્ય કામગીરી અને પેટ્રોલિયમ મંત્રાલયની તૈયારી
બીજી તરફ, ખાડી દેશોમાં ફસાયેલા અંદાજે 3,000 ભારતીય નાવિકોને અત્યાર સુધીમાં સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે. દેશના તમામ મુખ્ય બંદરો (Ports) પર કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે અને ક્યાંય પણ માલસામાનના પરિવહનમાં વિલંબ જોવા મળ્યો નથી. પેટ્રોલિયમ મંત્રાલયે (Ministry of Petroleum) સ્પષ્ટ કર્યું છે કે સમુદ્રી સુરક્ષા જાળવવા અને દેશનો પુરવઠો અવિરત ચાલુ રાખવા માટે તેઓ કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં સજ્જ છે.
આ પણ વાંચો : Foreign Policy : નેપાળના PM Balen Shah એ અમેરિકી દૂતને મળવાનો ઇનકાર કર્યો; મહાસત્તાને બતાવ્યો અરીસો


