બંગાળની ખાડીથી કાશ્મીર સુધી 1500 કિલોમીટર લાંબી સિસ્ટમ સક્રિય
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, મંગળવારે ચોમાસાએ એકસાથે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે . આ સાથે જ દેશના 26 રાજ્યોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂક્યું છે . હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી હતી અને 24 જૂને ગુજરાત તથા મધ્યપ્રદેશમાં પ્રવેશ્યા બાદ ચોમાસું લગભગ છ દિવસ સુધી એક જ જગ્યાએ સ્થિર રહ્યું હતું. આ સ્થગિતતાને કારણે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
હવે વતાવારણમાં આવ્યો પલટો
હવે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીથી જમ્મુ સુધી ફેલાયેલી 1500 કિલોમીટર લાંબી મોન્સૂન ટ્રફ છે. હવામાનશાસ્ત્રની ભાષામાં આ ટ્રફ નીચા દબાણવાળા વિસ્તારની એક લાંબી પટ્ટી છે, જે ચોમાસાની કરોડરજ્જુ ગણાય છે. તે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજવાળી હવાઓને દેશના આંતરિક ભાગો સુધી ખેંચી લાવે છે, જેના કારણે ભારે જળવર્ષા થાય છે.
મેદાની વિસ્તારોમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 1 થી 4 જુલાઈ દરમિયાન બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને કાશ્મીર ખીણમાં તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન મેદાની વિસ્તારોમાં ભારે જળબંબોળ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે, જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં વાદળ ફાટવા, અણધારી પૂર (Flash Floods) અને ભૂસ્ખલન (Landslides) થવાનું જોખમ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે .
બિનજરૂરી મુસાફરી ટાલવા લોકોને અપાઈ છે સલાહ
રાજ્ય પ્રશાસન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ખુલ્લા મેદાનો કે ઝાડ નીચે આશરો ન લેવાની કડક સલાહ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ભારે વરસાદ દરમિયાન એક વિશાળ લીમડાનું ઝાડ ઇ-રિક્ષા પર પડતાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જે દર્શાવે છે કે આ ચોમાસું સ્વાસ્થ્ય અને સુરક્ષા બંને દ્રષ્ટિએ અત્યંત સાવચેતી માંગી લે તેવું છે.
આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત
બીજી તરફ, પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ચોમાસું ભારે આફત બનીને તૂટી પડ્યું છે. અરૂણાચલ પ્રદેશની લેકુ નદીમાં પાણીનું સ્તર જોખમી સપાટી વટાવી જતાં આસામના જોનાઈ વિસ્તારમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે 15 ના અનેક હિસ્સાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, રાજ્યના છ જિલ્લાઓમાં 22 હજારથી વધુ લોકો પૂરની ચપેટમાં આવી ગયા છે અને ધેમાજી જિલ્લાના ૯૬ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે.
બે દિવસ હીટવેવની આગાહી
જો કે, દેશના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. હરિયાણાના રોહતકમાં 43.5 ડિગ્રી અને દિલ્હીમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં આગામી બે દિવસ હજુ પણ હીટવેવની સ્થિતિ રહી શકે છે. કૃષિ નિષ્ણાતોના મતે, ચોમાસાનો આ સક્રિય તબક્કો ખરીફ પાકની વાવણી માટે વરદાન સાબિત થશે, પરંતુ શહેરી વિસ્તારોમાં નબળા ડ્રેનેજ સિસ્ટમના કારણે વહીવટી તંત્રની પોલ ખુલી શકે છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
આ પણ વાંચો : Mumbai School Bus Accident: મુંબઈમાં કાળ બનીને તૂટ્યું વૃક્ષ, સ્કૂલ બસ પર પડતા એક વિદ્યાર્થીનું મોત, 10 ઈજાગ્રસ્ત