Nirmala Sitharaman : સત્તાના શિખરે પણ જમીન સાથે જોડાયેલું એક અડગ વ્યક્તિત્વ
Nirmala Sitharaman :ભારતીય રાજકારણના આકાશમાં એક એવું તેજસ્વી નામ જેની ઓળખ માત્ર આંકડાઓ કે બજેટ પૂરતી સીમિત નથી, પણ જેમના વ્યક્તિત્વમાં શિસ્ત, સાદગી અને અડગ મૂલ્યોનો ત્રિવેણી સંગમ જોવા મળે છે - તે એટલે નિર્મલા સીતારમણ.
સતત નવમી વખત દેશની તિજોરીનો હિસાબ રજૂ કરનારા આ નાણામંત્રી=Finance Minister વિશે આપણે ઘણું સાંભળ્યું છે, પરંતુ આલીશાન બંગલા અને પાવરફુલ પદની પાછળ એક એવી મહિલા છુપાયેલી છે જેણે ક્યારેય પોતાની મધ્યમવર્ગીય ગરિમા અને ભારતીય સંસ્કારોને છોડ્યા નથી. તેમની જીવનયાત્રા લંડનના હોમ-ડેકોર સ્ટોરની સેલ્સવુમનથી શરૂ થઈને દેશના સર્વોચ્ચ નાણાકીય પદ સુધી પહોંચી છે.
Nirmala Sitharaman-સંસ્કારોની ગળથૂથી અને જ્ઞાનનો આગ્રહ
નિર્મલાજીનો જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૫૯ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. પિતા નારાયણન સીતારમણ રેલવેના કર્મચારી હતા, જેના કારણે તેમનું બાળપણ દેશના અલગ-અલગ શહેરોમાં વીત્યું. તેમના ઘરમાં વાંચનનો ગજબનો શોખ હતો.એમના કુટુંબમાં એકબીજાને અવસર પ્રસંગે એકબીજાને ભેટમાં પુસ્તકો આપવાનો રિવાજ હતો. અને નાનપણથી જ નિર્મલાજીને એક વાત સમજાવવામાં આવી હતી: “માણસ તેના દેખાવ કે કપડાંથી નહીં, પણ તેના જ્ઞાનથી ઓળખાવો જોઈએ.” કદાચ આ જ સંસ્કારનું પરિણામ છે કે આજે પણ તેઓ હંમેશા સાદી હૅન્ડલૂમ સાડીમાં અને ગંભીર વ્યક્તિત્વમાં જોવા મળે છે.
Nirmala Sitharaman : લંડનનો સંઘર્ષ અને દેશભક્તિની જીદ
લગ્ન પછી જ્યારે તેઓ લંડન સ્થાયી થયા, ત્યારે તેમણે કામની બાબતમાં કોઈ નાનમ અનુભવી નહીં. લંડનના પ્રખ્યાત ‘હૅબિટૅટ’ સ્ટોરમાં તેમણે સેલ્સવુમન તરીકે નોકરી કરી અને પોતાની મહેનતથી ‘બેસ્ટ સેલ્સપર્સન’નું બહુમાન પણ મેળવ્યું. પરંતુ, ૧૯૯૦માં જ્યારે તેઓ પ્રેગ્નન્ટ થયા, ત્યારે તેમણે એક અડગ નિર્ણય લીધો. તેમનો આગ્રહ હતો કે "મારા સંતાનનો જન્મ વિદેશની ધરતી પર નહીં પણ મારા વતનમાં અને પરિવારની વચ્ચે જ થાય." આ જ કારણથી તેઓ લંડનની સુખ-સાહ્યબી છોડી ૧૯૯૧માં ભારત પરત ફર્યા.
વિરોધી વિચારધારાઓ વચ્ચે આદર્શ ગૃહિણી
નિર્મલાજીનું પારિવારિક જીવન લોકશાહીની સુંદરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના પતિ ડૉ. પરકલા પ્રભાકરનો પરિવાર પેઢીઓથી ચુસ્ત કૉન્ગ્રેસી છે. નિર્મલાજી ભાજપના દિગ્ગજ નેતા છે, જ્યારે તેમના પતિ અવારનવાર સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે. છતાં, ડાઇનિંગ ટેબલ પર થતી આર્થિક અને રાજકીય ચર્ચાઓ ક્યારેય તેમના અંગત સંબંધોમાં દીવાલ બની નથી. આ દંપતીએ સાબિત કર્યું છે કે વિચારધારા અલગ હોવા છતાં દિલ એક હોઈ શકે છે.
સત્તાના કેન્દ્રમાં છતાં અદભૂત કરકસર
દેશની આર્થિક બાબતો-Financial matters સંભાળનારા નિર્મલાજી પોતાના અંગત જીવનમાં પણ રૂપિયાના બગાડના વિરોધી છે:
દીકરીના લગ્ન: દેશના નાણામંત્રી હોવા છતાં તેમણે પોતાની દીકરી વાંગ્મયીના લગ્ન કોઈ આલીશાન પેલેસમાં નહીં પણ સાદગીથી પોતાના ઘરે જ કર્યા હતા, જેમાં મીડિયા કે મોટા ઉદ્યોગપતિઓને બદલે માત્ર અત્યંત નજીકના મહેમાનો જ હાજર હતા.
સરકારી બંગલાની શિસ્ત: તેઓ આજે પણ બંગલામાં બિનજરૂરી લાઈટો બંધ રાખવાનો આગ્રહ રાખે છે. કાર્યકરોને પણ સૂચના છે કે જો કામ ફોન પર પતતું હોય તો રૂબરૂ આવવાની તસ્દી લેવી નહીં.
કુકિંગ એ જ સ્ટ્રેસ-બસ્ટર: અબજોના બજેટની ગણતરીઓ વચ્ચે તેમનું સૌથી પ્રિય કામ રસોઈ બનાવવી છે. તેઓ માને છે કે જાતે રસોઈ બનાવીને કોઈને જમાડવું એ સૌથી મોટું સ્ટ્રેસ-બસ્ટર છે.
નિર્મલા સીતારમણનું વ્યક્તિત્વ માત્ર એક રાજનેતાનું નથી, પણ એક એવી મહિલાનું છે જેણે સાબિત કર્યું છે કે ઉચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ જમીન સાથે જોડાયેલા રહેવું શક્ય છે.
લંડનના સ્ટોરમાં સેલ્સવુમન તરીકે સફળ થનાર એ જ મહિલા આજે ભારતની અર્થવ્યવસ્થાની સુકાની છે. તેમની સફર આપણને શીખવે છે કે સંજોગો ભલે ગમે તેવા હોય, પણ જો તમારામાં શીખવાની વૃત્તિ, દેશ પ્રત્યેનો પ્રેમ અને સંસ્કારોની પૂંજી હોય, તો ‘રેસ્ટ ઇઝ હિસ્ટરી’... નિર્મલાજીની આ ‘હિસ્ટરી’ આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.
આ પણ વાંચો :Customs Baggage Rules 2026: વિદેશ જતા પ્રવાસીઓ માટે ખુશખબર! 2026ના નવા કસ્ટમ્સ બેગેજ નિયમો લાગુ


