હવે અભિનવ અરોરાને મળી જાનથી મારી નાખવાની ધમકી!
- અભિનવ અરોરાને જાનથી મારી નાખવાની ધમકી!
- લોરેન્સ બિશ્નોઈ ગેંગથી અભિનવ અરોરાને ધમકી
- 10 વર્ષના ‘બાળ સંત’ ને જાનથી મારી નાખવાની ધમકી
- અભિનવ અરોરાને ધમકી : પરિવારમાં ભયનો માહોલ
Abhinav Arora Received Threat : પ્રખ્યાત આધ્યાત્મિક પ્રવક્તા અને ‘બાળ સંત’ તરીકે ઓળખાતા 10 વર્ષીય અભિનવ અરોરાને તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ANI સાથે વાત કરતી વખતે અભિનવની માતા જ્યોતિ અરોરાએ જણાવ્યું કે અભિનવ પોતાના ભક્તિમય અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા સામાજિક સેવા અને આધ્યાત્મિક ઉત્થાન માટે પ્રયત્નશીલ છે. તેમ છતાં, તેને અને તેના પરિવારને ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ફોન અને મેસેજ દ્વારા મારી નાખવાની ધમકી
જ્યોતિ અરોરાએ વધુમાં જણાવ્યું કે, તેમના પરિવારને ધમકીઓ ટેલિફોન અને મેસેજ દ્વારા મળી રહી છે. ગઈકાલે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અભિનવને જાનથી મારી નાખવામાં આવશે. સાંજે ફરી એક મેસેજ પણ આવ્યો હતો, જેમાં સમગ્ર પરિવારને મારી નાખવાની વાત કરવામાં આવી હતી. આ ધમકીઓના કારણે પરિવારમાં ભયનો માહોલ છવાયેલો છે. આ ધમકીઓના કારણે અભિનવ અને તેનો પરિવાર અત્યંત પરેશાન છે. જ્યોતિ અરોરાએ જણાવ્યું કે હવે આ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે.
સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ
જણાવી દઈએ કે અભિનવ અરોરા દિલ્હીના રહેવાસી છે અને આધ્યાત્મિક વક્તા છે. 3 વર્ષની ઉંમરથી તેઓ વિશ્વને આધ્યાત્મિક સંદેશો આપી રહ્યા છે. તેમની પાસે એક યુટ્યુબ ચેનલ છે, જે ઘણી લોકપ્રિય છે. અભિનવ અરોરા તાજેતરમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે સ્વામી રામભદ્રાચાર્યએ અભિનવ અરોરાને ઠપકો આપ્યો હતો અને તેમને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, વાયરલ વીડિયો સામે પ્રતિક્રિયા આપતા તેમની માતાએ કહ્યું હતું કે વડીલો તરફથી ઠપકો આપવો એ પણ આશીર્વાદ સમાન છે, પરંતુ આ ઘટનાને કારણે અભિનવ ટ્રોલનો નિશાન બની ગયો હતો.
સ્વામી રામભદ્રાચાર્યએ અભિનવને ઠપકો આપ્યો
જ્યોતિ અરોરાએ કહ્યું કે સ્વામી રામભદ્રાચાર્યનો મુદ્દો એટલો મોટો નથી જેટલો તેને બનાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો 2023નો છે અને વૃંદાવનનો છે. અભિનવ ભક્તિમાં એટલો મગ્ન હતો કે તે ભૂલી ગયો કે તેણે મંચ પર મૌન રહેવું હતું અને મંત્રોચ્ચાર શરૂ કર્યો. બાદમાં રામભદ્રાચાર્યજીએ પણ તેમને આશીર્વાદ આપ્યા હતા. વડીલો તરફથી ઠપકો પણ આશીર્વાદ સમાન છે. અભિનવ અરોરાએ પણ સ્વામી રામભદ્રાચાર્ય સાથે જોડાયેલી ઘટનાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે દરેકનું ધ્યાન તેમની નિંદા પર હતું, તેમણે મને આપેલા આશીર્વાદ પર નહીં. દરેક વ્યક્તિ તેમના ઠપકો આપવા પર ધ્યાન આપી રહ્યા છે, તેમણે મને પાછળથી આપેલા આશીર્વાદ પર નહીં. તેમણે મને તેમના રૂમમાં બોલાવ્યો અને મને આશીર્વાદ આપ્યા, જેનો વીડિયો હજી પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: 'તે ખૂબ જ મૂર્ખ છોકરો છે...' અભિનવ અરોરાના વાયરલ વીડિયો પર સ્વામી રામભદ્રાચાર્યએ આપી પ્રતિક્રિયા