દિવાળાની ઉજવણી બાદ Delhi-Ncr માં પ્રદૂષણનો કહેર! AQI રેડ ઝોનમાં પહોંચ્યું
- Delhi-Ncr માં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી
- દિવાળીમાં મોડી રાત સુધી લોકોએ ફોડ્યા ફટાકડા
- સુપ્રીમ કોર્ટના નિયમોની કરવામાં આવી અવગણના
Delhi-NCR turns into a 'gas chamber' on Diwali : રોશનીના પર્વ દિવાળીની રાત્રે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ફોડવાના કારણે હવાની ગુણવત્તામાં ખતરનાક રીતે ઘટાડો નોંધાયો છે. સોમવારે રાતની ઉજવણી બાદ મંગળવારે સવાર સુધીમાં મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનો 'રેડ ઝોન'માં આવી ગયા છે, જે સૂચવે છે કે દિલ્હીની હવા હવે 'ખૂબ જ ખરાબ' થી 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગઈ છે. આના કારણે સવારે લોકોમાં આંખોમાં બળતરા થવાની ફરિયાદો પણ જોવા મળી હતી.
સુપ્રીમ કોર્ટના નિયમોની અવગણના
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડા ફોડવા માટે રાત્રે 8 થી 10 વાગ્યા સુધીનો ચોક્કસ સમયગાળો નક્કી કર્યો હતો. જોકે, સોમવારે રાત્રે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (Delhi-NCR)ના અનેક વિસ્તારોમાં લોકોએ નિર્ધારિત સમય પછી પણ લાંબા સમય સુધી પુષ્કળ પ્રમાણમાં ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે દિલ્હી-એનસીઆરમાં હવા પ્રદૂષિત થઇ હતી. આ અનિયંત્રિત પ્રદૂષણના કારણે હવામાં ઝેરી કણોનું પ્રમાણ વધી ગયું, મંગળવારે સવારે જ્યારે લોકો બહાર નીકળ્યા તો ઘણા લોકો આંખોમાં બળતરા થવાની ફરિયાદ કરતા જોવા મળ્યા હતા. લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડવાના કારણે દિલ્હીની હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઇ છે.
હવાની ગુણવત્તા Delhi-Ncr માં ગંભીર શ્રેણીએ પહોંચી
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડાઓ અનુસાર, મંગળવારે સવારે દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ ગઈ હતી. દિલ્હીના 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 36 સ્ટેશનોએ પ્રદૂષણનું સ્તર "રેડ ઝોન" માં નોંધાવ્યું હતું. આનો અર્થ છે કે લગભગ 95% વિસ્તારોમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' થી 'ગંભીર' (Severe) શ્રેણીમાં છે. ઉદાહરણ તરીકે, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ વિસ્તારની આસપાસ સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 317 નોંધાયો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે.
4 મુખ્ય કેન્દ્રો પર હવાની ગુણવત્તા 400 થી વધુ
જો સોમવારે રાત્રે 10 વાગ્યાની વાત કરીએ, તો દિલ્હીનો એકંદર AQI 344 પર 'ખૂબ જ ખરાબ' હતો, જ્યારે 4 મુખ્ય કેન્દ્રો પર હવાની ગુણવત્તા 400 થી વધુ એટલે કે 'ગંભીર' શ્રેણીમાં નોંધાઈ હતી. CPCB દ્વારા વિકસાવવામાં આવેલી SAMEER એપ અનુસાર, આ 4 સ્ટેશનો આ મુજબ હતા: દ્વારકા (AQI 417), અશોક વિહાર (AQI 404), વઝીરપુર (AQI 423) અને આનંદ વિહાર (AQI 404). 'ગંભીર' AQI સીધો શ્વાસ લેવામાં મુશ્કેલી અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલો છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા દિલ્હી-NCR માં હવા બની વધારે ઝેરીલી, GRAP ના સ્ટેજ-II ના નિયમો તાત્કાલિક લાગુ