Pune Fire News : મંદિરમાં ગુલાલ ઉડાડતા જ લાગી ભયાનક આગ, નેતાઓ સહિત 16 થી વધુ લોકો દાઝ્યાં
- Pune Fire News : પવિત્ર યાત્રાધામ જેજુરીમાં દુર્ઘટના
- વિજયના વધામમા કરવા ઉડાવવામાં આવેલા ગુલાલથી લાગી આગ
- હવામાં ઉડતો ગુલાલ જાણે ગેસની જેમ સળગવા લાગ્યો
Pune Fire News : મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ જેજુરીમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. જેજુરીમાં નગર પરિષદની ચૂંટણીમાં જીતનો જે ઉત્સાહ હતો, તે ગણતરીની સેકન્ડોમાં મરણચીસો અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો. વિજયના વધામણાં કરવા માટે ઉડાડવામાં આવેલો 'ભંડારા' (પીળો ગુલાલ) મોતનો પાવડર સાબિત થયો હોય તેમ અચાનક આગની જ્વાળાઓમાં ફેરવાઈ ગયો હતો.
કેવી રીતે સર્જાઈ આ હોનારત?
નગર પરિષદની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકો વિજય સરઘસ કાઢી રહ્યા હતા. જેજુરીની પરંપરા મુજબ, ખંડોબા મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાળુઓ દ્વારા સોના જેવો પીળો 'ભંડારા' ઉડાડવામાં આવે છે. વિજય સરઘસમાં પણ આ જ રીતે ભંડારાની છોળો ઉડતી હતી. પરંતુ, જેવો હવામાં ગુલાલ ઉડ્યો, કે તરત જ અચાનક હવામાં ભયાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી. જોતજોતામાં અનેક લોકો આ આગ (Fire) ની લપેટમાં આવી ગયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હવામાં ઉડતો ગુલાલ જાણે ગેસની જેમ સળગવા લાગ્યો હતો.
16 લોકો ગંભીર રીતે દાઝ્યા, નેતાઓ પણ લપેટમાં (Pune Fire)
આ દુર્ઘટના એટલી ઝડપી હતી કે લોકોને બચવાનો મોકો જ ન મળ્યો. આ ઘટનામાં કુલ 16 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, જેમના વિજયની ઉજવણી થતી હતી તેવા NCPના બે નવનિયુક્ત મહિલા કાઉન્સિલરો મોનિકા રાહુલ ઘાડગે અને સ્વરૂપા ખોમણે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત મોનિકાબેનના પતિ રાહુલ ઘાડગે પણ આ આગમાં દાઝી ગયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને પુણેની સસૂન હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ચૂંટણીમાં જીતનો જશ્ન માતમમાં ફેરવાયો
જેજુરીમાં વિજય સરઘસમાં 'ભંડારા' ઉડાડતી વખતે ભીષણ આગ
2 મહિલા કાઉન્સિલર સહિત 16 દાઝ્યા#Pune #Jejuri #Jujurifire #MaharastraElectionResults pic.twitter.com/eRpG55yEKj
— Rizwan GS (@Gs1Rizwan) December 22, 2025
આગ પાછળ ભેળસેળ કે બેદરકારી?
જેજુરીના વિજય સરઘસમાં બનેલી આ કરૂણ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે, જેમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે પરંપરાગત રીતે સુરક્ષિત મનાતા ભંડારાએ અચાનક વિસ્ફોટક રૂપ કેવી રીતે ધારણ કર્યું? સ્થાનિકો અને રાજકીય આગેવાનોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે બજારમાં મળતા 'ભંડારા'માં નફો કમાવવાના આશયથી જ્વલનશીલ કેમિકલયુક્ત પાવડરની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે, કારણ કે કુદરતી હળદરમાં આ પ્રકારે આગ લાગવાની શક્યતા નહિવત હોય છે. બીજી તરફ, નિષ્ણાતો આ ઘટનાને 'ડસ્ટ એક્સપ્લોઝન' (ધૂળનો વિસ્ફોટ) તરીકે પણ જોઈ રહ્યા છે, જેમાં હવામાં ઉડતા બારીક પાવડરના કણો ફટાકડાના તણખા કે ગરમીના સંપર્કમાં આવતા જ વીજળીની ઝડપે સળગી ઉઠ્યા હતા. આ સંજોગોમાં, આ હોનારત ભેળસેળિયા તત્વોના પાપે સર્જાઈ છે કે પછી ભીડ વચ્ચે ફટાકડા ફોડવાની બેદરકારીને કારણે, તે હવે પોલીસ તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
રાજકીય પ્રતિક્રિયા અને તપાસની માંગ
આ ઘટનાની ગંભીરતા જોતા સાંસદ સુપ્રિયા સુલેએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પ્રશાસન પાસે માંગ કરી છે કે આ ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે. જો ખરેખર ભંડારામાં ભેળસેળ હતી, તો તે વેચનારા અને બનાવનારા લોકો સામે ગુનાહિત માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. જેજુરી પોલીસે હાલ આ મામલે તપાસ તેજ કરી છે અને પાવડરના નમૂના ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : Ahmedabad : બાપુનગર એપ્રોચ પાસે દુકાનમાં લાગી ભયંકર આગ, ફાયર વિભાગ ઘટનાસ્થળે


