Rahul Gandhi Indore Visit : 'પૈસા નહીં, અમને શુદ્ધ પાણી જોઈએ છે!' પીડિત પરિવારોએ રાહુલ ગાંધી સમક્ષ ઠાલવી વેદના
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઇન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણીથી જીવ ગુમાવનાર પરિવારોની મુલાકાત લીધી હતી. તેમણે પીડિતોને ₹1 લાખની સહાય આપી સરકારના 'સ્માર્ટ સિટી' મોડલની આકરી ટીકા કરતા પૂછ્યું કે, જ્યાં શુદ્ધ પાણી પણ ન મળે તે કેવું સ્માર્ટ સિટી? બીજી તરફ, સ્વજન ગુમાવનાર મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "પૈસાથી જીવ પાછો નહીં આવે, અમને માત્ર સાફ પાણી આપો." રાહુલે આ દુર્ઘટના માટે સરકારની બેદરકારીને જવાબદાર ગણાવી હતી.
Advertisement
- રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ઇન્દોરની કરી મુલાકાત (Rahul Gandhi Indore Visit)
- દૂષિત પાણીથી શહેરમાં અનેક લોકોના થયા હતા મોત
- રાહુલ ગાંધીએ પીડિત પરિવારને મળીને આપ્યો વળતરનો ચેક
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે મધ્યપ્રદેશના ઇન્દોરની મુલાકાતે પહોંચ્યા હતા. ઇન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી અનેક લોકોના મોત થયા હતા. આ ગંદા પાણી પીવાથી મોત થયેલા પીડિત પરિવારોને મળીને રાહુલ ગાંધીએ સાંત્વના આપી હતી. આ મુલાકાત દરમિયાન રાહુલે માત્ર શોક વ્યક્ત ન કર્યો, પરંતુ ભાજપ સરકારના 'સ્માર્ટ સિટી' અભિયાન પર આકરા સવાલ ઉઠાવતા લોકોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ રહેલી સરકારની આકરી ટીકા કરી હતી.

