બિહારમાં ચૂંટણી પ્રચાર છોડી રાહુલ ગાંધી મલેશિયા પહોંચ્યા? બીજેપીએ ફોટો શેર કરીને કર્યો સનસનીખેજ ખુલાસો
- બિહારમાં ચૂંટણી પ્રચાર વચ્ચે રાહુલ ગાંધી મલેશિયા પહોંચ્યા (Rahul Gandhi Malaysia)
- ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ ફોટો કર્યો શેર
- ભાજપે રાહુલ ગાંધીને ગાયબ થવાની કળામાં માહિર ગણાવ્યાં
- રાહુલ ગાંધીએ હાલમાં જ વોટર અધિકાર યાત્રા પૂર્ણ કરી છે
Rahul Gandhi Malaysia : બિહાર વિધાનસભા ચૂંટણીના જોરદાર પ્રચાર વચ્ચે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મલેશિયાના પ્રવાસી સ્થળ લંગકાવીમાં રજાઓ ગાળવાના સમાચારથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ મામલે બીજેપીએ રાહુલ ગાંધી પર આકરો હુમલો કર્યો છે અને તેમને 'ગુમ થવાની કળા'માં માહિર ગણાવ્યા છે. બીજેપીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ રાહુલ ગાંધીનો એક ફોટો શેર કરીને દાવો કર્યો છે કે તેઓ આ દિવસોમાં મલેશિયામાં રજાઓ માણી રહ્યા છે. આ તસવીરમાં તેઓ સફેદ ટોપી અને જીન્સ શોર્ટ્સમાં કેમેરા તરફ જોઈ રહ્યા છે.
અમિત માલવીયાએ આ તસવીર શેર કરતા દાવો કર્યો કે રાહુલ ગાંધી ફરી એકવાર ગાયબ થઈ ગયા છે, અને આ વખતે તેઓ મલેશિયાના લંગકાવીમાં એક 'ગુપ્ત રજા' પર છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "એવું લાગે છે કે બિહારની રાજનીતિની ગરમી અને ધૂળ કોંગ્રેસના યુવરાજ માટે બહુ વધારે હતી, એટલે તેમને રજા પર જવું પડ્યું, અથવા કદાચ આ એ ગુપ્ત મીટિંગ્સમાંથી એક છે જેના વિશે કોઈ જાણતું નથી?" તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે લોકો વાસ્તવિક સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી ગાયબ થઈને રજાઓ માણવાની કળામાં માહેર છે.
હાલમાં જ વોટર અધિકાર યાત્રા પૂર્ણ કરી
રાહુલ ગાંધીના આ પ્રવાસને કારણે વિવાદ વધુ વકર્યો છે કારણ કે તાજેતરમાં જ તેમણે અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવે બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' પૂરી કરી હતી. આ યાત્રા 1 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી, જેમાં રાહુલ અને તેજસ્વીએ લગભગ 1,300 કિલોમીટરનું અંતર કાપીને 25 જિલ્લા અને 110 વિધાનસભા ક્ષેત્રોને આવરી લીધા હતા. આ બે અઠવાડિયાની લાંબી યાત્રા પછી તરત જ રાહુલ ગાંધીની લંગકાવી મુસાફરીએ બીજેપીને તેમના પર નિશાન સાધવાની તક આપી દીધી છે.
વિદેશી યાત્રા અંગે ભાજપ કરે છે સવાલ (Rahul Gandhi Malaysia)
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે બીજેપીએ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોને લઈને સવાલો ઉઠાવ્યા હોય. ખાસ કરીને સંસદના સત્રો કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના વિદેશ પ્રવાસને લઈને બીજેપી હંમેશા ટીકા કરતી રહી છે. અગાઉના બજેટ સત્ર દરમિયાન પણ બીજેપીએ રાહુલ ગાંધીના વિયેતનામ અને અન્ય દેશોના સતત પ્રવાસો પર પ્રશ્નો ઉભા કર્યા હતા, જેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવ્યું હતું. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીના વિયેતનામ પ્રત્યેના "અસામાન્ય પ્રેમ" પર સવાલ ઉઠાવ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર ભારતીય રાજકારણમાં નેતાઓના અંગત જીવન અને રાજકીય જવાબદારીઓ વચ્ચેની સીમાઓ પર ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો : Red Fort kalash stolen : 1 કરોડના કળશ ચોરીમાં આરોપીની થઈ ઓળખ, જાણો કોણ કરે છે લાલ કિલ્લાની સુરક્ષા?