Jaisalmer Power Outage : ભીષણ વાવાઝોડાએ ઉખેડ્યા 1500 વીજળીના થાંભલા, 200 ગામ અંધારામાં!
Jaisalmer Power Outage : રાજસ્થાનના જેસલમેર (Jaisalmer) જિલ્લામાં સોમવારે સાંજે આવેલા વિનાશક વાવાઝોડા અને ભારે વરસાદે તબાહી મચાવી છે. આ કુદરતી આફતને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડાની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોધપુર ડિસ્કોમ (Jodhpur Discom) ના અંદાજે 1500 જેટલા વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે. આ ભયાનક સ્થિતિના કારણે લગભગ 200 થી વધુ ગામડાઓ છેલ્લા 16 કલાકથી અંધારામાં ડૂબેલા છે.
Jaisalmer Power Outage : 2.5 કરોડનું આર્થિક નુકસાન અને અંધારપટ
વીજળીની વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાથી ગ્રામીણ વિસ્તારોમાં માત્ર અંધારપટ જ નથી છવાયો, પરંતુ વીજળી વગર પાણીનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે, જેનાથી પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ તોફાનને કારણે ડિસ્કોમ (Discom) વિભાગને લગભગ અઢી કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે. સમ (Sam), મોહનગઢ (Mohangarh) અને ચાંધણ (Chandan) જેવા વિસ્તારો આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત ખુઈયાલા, સિયામ્બર અને સાંગડ જેવા અનેક અંતરિયાળ ગામડાઓનો જિલ્લા મુખ્યાલય સાથેનો વીજ-સંપર્ક કપાઈ ગયો છે.
યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કામગીરી
જેસલમેરના અધિક્ષણ અભિયંતા ભૈરામ ચૌધરીએ જણાવ્યું કે, 33 કેવી (33 KV) અને 11 કેવી (11 KV) ની અનેક મુખ્ય લાઈનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ડિસ્કોમની ટેકનિકલ ટીમો સોમવાર રાતથી જ ક્ષતિગ્રસ્ત લાઈનો અને ટ્રાન્સફોર્મર સુધારવા માટે મેદાનમાં ઉતરી છે. જેસલમેર અને પોકરણ (Pokaran) શહેરમાં વીજ પુરવઠો મોટાભાગે પુનઃસ્થાપિત કરી દેવાયો છે, પરંતુ દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થવામાં હજુ 24 થી 48 કલાકનો સમય લાગી શકે છે.
નુકસાનનો આંકડો વધી શકે તેમ છે : અધિકારી
અધિકારીઓના મતે, જેમ જેમ અંતરિયાળ વિસ્તારોમાંથી વધુ રિપોર્ટ આવશે, તેમ નુકસાનનો આંકડો હજુ વધી શકે છે. હાલ તંત્રની મુખ્ય પ્રાથમિકતા મોટા ફીડરો અને હાઈ વોલ્ટેજ લાઈનોને તાત્કાલિક કાર્યરત કરવાની છે જેથી ગામડાઓમાં પાણી અને વીજળીની સુવિધા પુનઃ શરૂ થઈ શકે. આ કુદરતી આફત સામે તંત્ર સતત કામ કરી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : West Bengal Politics : 'ત્યાં સુધી નહીં મરું, જ્યાં સુધી...', બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો પ્રથમ હુંકાર!


