કોલકાતામાં રેકોર્ડબ્રેક વરસાદ, શહેરમાં જળબંબાકારની સ્થિતિ
- Kolkata માં રેકોર્ડબ્રેક વરસાદ, શહેરમાં જળબંબાકારની સ્થિતિ
- માત્ર 6 કલાકમાં 250 mm વરસાદ
- ભારે વરસાદથી 5 લોકોના કરંટ લાગવાથી મૃત્યુ
- ટ્રાફિક, મેટ્રો અને રેલ સેવાઓ પર ભારે અસર
Heavy rain in Kolkata : મંગળવારની રાત્રે કોલકાતા શહેર (Kolkata City) પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મુશળધાર વરસાદના કારણે શહેરનું જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. ગણતરીના કલાકોમાં જ શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો, જેના પરિણામે મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા અને 5 જેટલા લોકોના કરંટ લાગવાથી દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયા. આ ઘટનાએ ફરી એકવાર શહેરી આયોજન અને હવામાનની અણધારી વર્તણૂક પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
કોલકાતામાં રેકોર્ડબ્રેક વરસાદ અને જળબંબાકારની સ્થિતિ
મંગળવારે રાત્રે માત્ર 6 કલાકના સમયગાળામાં કોલકાતા (Kolkata) માં 250 mm થી વધુ વરસાદ પડ્યો હતો. આટલા ઓછા સમયમાં આટલો વરસાદ પડવાથી શહેરની ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. પરિણામે, ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના આંકડા ચોંકાવનારા છે :
- કામદહરી: 332 mm
- જોધપુર પાર્ક: 285 mm
- કાલીઘાટ: 280.2 mm
- તાપસિયા: 275 mm
- બાલીગંજ: 264 mm
- ચેતલા: 262 mm
આ ઉપરાંત મોમિનપુર, ચિંગરીહાટા, પામર બજાર, ધાપા, ઉલ્ટાડાંગા અને અન્ય વિસ્તારોમાં પણ 200 mm થી વધુ વરસાદ નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કોઈ સામાન્ય વરસાદ નહોતો, પરંતુ એક મોટો કુદરતી આફત હતો જેણે શહેરને અચાનક ઘેરી લીધું હતું.
Kolkata ના જનજીવન પર સીધી અસર
આ ભારે વરસાદની સૌથી દુર્ભાગ્યપૂર્ણ અસર માનવજીવન પર થઈ. પાણી ભરાવા અને વીજળીના તાર તૂટી જવાના કારણે કરંટ લાગવાથી 5 લોકોના મૃત્યુ થયા. આ ઘટના શહેરી વિસ્તારોમાં વીજળીના સુરક્ષા માપદંડો પર સવાલો ઊભા કરે છે.
વરસાદ અને પાણી ભરાવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મુખ્ય રસ્તાઓ પર વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ, જેના કારણે લોકોને કામ પરથી ઘરે જવામાં કે અન્ય સ્થળોએ પહોંચવામાં ભારે મુશ્કેલી પડી. આ સાથે જ, મેટ્રો અને રેલ સેવાઓ પણ પ્રભાવિત થઈ.
રેલ સેવાઓ પર અસર :
- કોલકાતાના હાવડા સ્ટેશન યાર્ડ, સિયાલદાહ યાર્ડ અને વિવિધ કાર શેડમાં પાણી ભરાઈ ગયા હતા. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયો.
- સિયાલદાહ દક્ષિણ વિભાગમાં ટ્રેન સંચાલન સંપૂર્ણ બંધ.
- સર્ક્યુલર રેલવે પર ટ્રેન સંચાલન સ્થગિત.
- કેટલીક લોકલ અને લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી, જેમાં 13113 યુપી હઝાર્દુઆરી એક્સપ્રેસ અને 13177 સિયાલદાહ જંગીપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
- રેલવે યાર્ડમાંથી પાણી કાઢવા માટે પંપ લગાવવામાં આવ્યા હતા, પરંતુ સતત વરસાદ અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પાણીને કારણે આ કામગીરી મુશ્કેલ બની ગઈ હતી.
આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર સર્જાયો છે, જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. આના કારણે દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, ઝારગ્રામ અને બાંકુરા જિલ્લાઓમાં બુધવાર સુધી ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત, હવામાન વિભાગે વધુ એક ચેતવણી આપી છે કે 25 સપ્ટેમ્બરની આસપાસ પૂર્વ-મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં બીજું નવું લો પ્રેશર ક્ષેત્ર બની શકે છે. આ સંભવિત લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં ફરી વરસાદ લાવી શકે છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
આ પણ વાંચો : Chamoli Cloudburts: ઉત્તરાખંડમાં ફરી એક વાર વિનાશની લહેર, ચમોલીમાં વાદળ ફાટવાનું 3 લોકો ગુમ