'ખડગેને હટાવી, પ્રિયંકાને બનાવો પ્રમુખ': સોનિયા ગાંધીને કૉંગ્રેસ નેતાનો પત્ર
. ઓડિશાથી કૉંગ્રેસ નેતૃત્વ બદલવાનો ઉઠયો અવાજ
. ખડગેને હટાવી પ્રિયંકાને કમાન સોંપવાની માંગ સાથેનો પત્ર
. ઓડિશા નૌપાડા બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ અસંતોષ
નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ફરી એકવાર કૉંગ્રેસના નેતૃત્વ સામે અસંતોષનો મામલો (Crisis in Congress) સામે આવ્યો છે. ઓડિશાથી કૉંગ્રેસના નેતા મોહમ્મદ મોકિમે સોનિયા ગાંધીને પત્ર લખીને નેતૃત્વ પરિવર્તનની માગણી કરી છે. તેમણે પત્રમાં સીધેસીધું ખડગેને કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવવાની માગણી કરી દીધી છે. તેની સાથે કૉંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધી વાડ્રાને સોંપવાની પણ માંગ કરી છે.
એએનઆઈ સાથેની વાતચીતમાં કટકથી કૉંગ્રેસના ધારાસભ્ય રહી ચુકેલા મોહમ્મદ મોકિમે કહ્યુ છે કે "મે સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે કે પાર્ટી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેને તેમની સલાહ અને નવા નેતૃત્વની જરૂરત છે. એઆઈસીસી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે માટે ઉંમર યોગ્ય નથી. આપણે યુવા નેતાઓને આગળ લાવવા જોઈએ. મને ખબર છે કે સોનિયાજી અને સીવીસીના સદસ્યો આના પર જરૂર વાત કરશે. નૌપાડા પેટાચૂંટણી ચિંતાની વાત હતી."
ઓડિશા કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ પર ઉઠાવ્યા સવાલ (Crisis in Congress)
મોકિમે ગુરુવારે ઓડિશા ખાતેના કૉંગ્રેસ પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીને પત્ર લખીને પ્રદેશાધ્યક્ષ ભક્તચરણ દાસના નેતૃત્વને નિશાને લીધું હતું. ભક્તચરણ દાસને ફેબ્રુઆરીમાં ઓડિશા પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે પ્રદેશ એકમના પ્રમુખ ભક્તચરણ દાસે તાત્કાલિક કોઈ ટીપ્પણી કરી નથી.
મુકિમે બુધવારે લખેલા પત્રમાં કહ્યું હતું કે દાસને આ વર્ષી શરૂઆતમાં સતત ત્રણ ચૂંટણી હારવા અને કોંગ્રેસ વિરોધી રાજકીય વિચારધારા સાથે જોડાયેલા રહેવા છતાં પ્રદેશ એકમના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. બારાબતી-કટકથી પૂર્વ ધારાસભ્યે પ્રદેશ પ્રમુખ અને તેમના ધારાસભ્ય પુત્ર સાગર દ્વારા અલગ કોસલ રાજ્ય માટે આપવામાં આવેલા જાહેર સમર્થન પર પણ સવાલ ઉઠાવ્યા. તેમનો દાવો છે કે આ વલણથી પાર્ટી કાર્યકર્તાઓમાં ઘેરા અસંતોષનો ભાવ પેદા થયો છે.
નૌપાડામાં કૉંગ્રેસની હાર બાદ પાર્ટીમાં ઉકળતો ચરુ
મુકિમે નૌપાડા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હારને જનતાના ઓછા થતાં વિશ્વાસનો વધુ એક પુરાવો ગણાવ્યો. મુકિમ પણ ફેબ્રુઆરીમાં પ્રદેશ પ્રમુખની દોડમાં સામેલ હતા. તેમણે પત્રમમાં લખ્યું છે કે જ્યારે કોઈ નેતા પોતાના જ મતવિસ્તારમાં વિશ્વાસ પ્રાપ્ત કરી શકતો નથી, તો કાર્યકર્તા સ્વાભાવિકપણે તેના નેતૃત્વ પરથી ભરોસો ગુમાવી બેસે છે અને ઓડિશામાં પાર્ટીનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવે છે.
તેમણે કહ્યુ કે કોંગ્રેસની નૌપાડા બેઠક પર લગભગ 83,000 મતોથી હાર થઈ હતી. પૂર્વ ધારાસભ્યે કહ્યુ છે કે હજારો જમીની સ્તરના કૉંગ્રેસી કાર્યકર્તાઓ હવે ગુંચવાડામાં, નિરાશામાં અને દિશાહીનતાની સ્થિતિમાં છે.
આ પણ વાંચો: પ.બંગાળમાં 'BABRI MOSQUE વાળો ખેલ': મમતા બેનર્જીથી મુસ્લિમ વોટર્સ કેટલા દૂર, કેટલા પાસે?